ભાજપના દિગ્ગજ નેતા આર-પારના મૂડમાં, સમર્થકો સાથે અન્યાય થતાં પક્ષ પર ભડક્યાં
Ambala Municipal Corporation: અંબાલા નગર પાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટરની ટિકિટ ફાળવણી મામલે વિવાદ સતત વધી રહ્યો છે. અંબાલા બેઠક પરથી ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ મંત્રી અનિલ વીજ પોતાના 15 સમર્થકોને ટિકિટ ન મળવા બદલ ઉગ્ર બન્યા છે. ઉલ્લેખનીય છે, ભાજપ દ્વારા કોર્પોરેટ માટે કુલ 32 ઉમેદવારોની જાહેરાત થઈ છે. જેમાં 15 લોકોની ભલામણ કોઈ પણ નેતા દ્વારા કરવામાં આવી નથી. જ્યારે અનિલ વીજના 15 સમર્થકોની ટિકિટ કપાઈ જતાં તેમણે વિરોધ દર્શાવતાં કહ્યું છે કે, શું હું વિદેશ જતો રહું, અહીં કોઈ મારૂ સાંભળતું જ નથી.
શુક્રવારે 14 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે નગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત થતાં જ સમર્થકો અનિલ વીજના ઘરે પહોંચ્યા હતાં. શનિવારે પણ તેઓએ અનિલ વીજ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. સ્થાનિક કાર્યકરો, બૂથ અને મંડળના અધ્યક્ષ પણ તેમને મળવા આવી પહોંચ્યા હતા.
તમામ આદેશ હાઈકમાન્ડના જ, તો લોકલનું કોઈ કામ નથી...
અનિલ વીજના એક સમર્થકે જણાવ્યું હતું કે, જો પસંદગીથી માંડી અરજી ફગાવી દેવાના નિર્ણયો હાઈ કમાન્ડથી જ લેવામાં આવી રહ્યા છે, તો સ્થાનિક નેતાઓનુ શું કામ છે? અમારી કોઈ જરૂર જ નથી ને... ઉલ્લેખનીય છે, ભાજપના સ્થાનિક એકમે હાઈકમાન્ડને ઈમેઈલ કરી ટિકિટ ફાળવણી માટે અસંતોષ જાહેર કર્યો છે. અનિલ વીજના સમર્થકો સુત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. નગર પાલિકાની ચૂંટણીમાં અનિલ વીજના વિરોધીઓને ટિકિટ ફાળવવામાં આવી હોવાનો આરોપ મૂકાયો છે.
અનિલ વીજ મંત્રી પદ છોડશે?
અનિલ વીજનો રોષ જોતાં તેમના સમર્થકોએ જણાવ્યું છે કે, પક્ષના હાઈકમાન્ડ તરફથી પોઝિટિવ જવાબ આપવામાં ન આવ્યો તો ભવિષ્યમાં તેઓ મંત્રી પદ છોડી શકે છે. બીજી બાજુ અનિલ વીજે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે, મારુ ધારાસભ્ય પદ કોઈ છીનવી શકે તેમ નથી. મંત્રી પદની વાત કરૂ તો મેં બંગ્લો પહેલાંથી જ લીધો નથી, અને કાર પણ છોડવા માટે તૈયાર છું. એક સ્થાનિક નેતાએ કહ્યું હતું કે, 32 ઉમેદવારોની એક યાદી હાઈકમાન્ડને મોકલવામાં આવી હતી. પરંતુ અંતિમ યાદી જાહેર થઈ ત્યારે તેમાંથી 15 નામો ગુમ હતાં. જો પક્ષના હાઈકમાન્ડે અગાઉથી જ નિર્ણય લઈ લીધો હતો, તો પછી સ્થાનિક એકમને યાદી મોકલવા માટે શા માટે કહ્યું. તેમણે આ નેતાઓના નામ કાપી અન્યાય કર્યો છે.
વિવાદ બાદ યાદી હોલ્ડ પર
મીડિયા રિપોર્ટ અનુસાર, અનિલ વીજ અને તેમના સમર્થકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવતાં હાલ કોર્પોરેટર્સની યાદી હોલ્ડ પર રાખવામાં આવી છે. હાઈકમાન્ડ તરફથી અનિલ વીજને નોટિસ પણ મોકલવામાં આવી છે. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, દિલ્હી ચૂંટણી વચ્ચે તમે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ વિરૂદ્ધ નિવેદનો કેમ આપ્યાં? જેનો જવાબ અિલ વીજે પોતાના જ અંદાજમાં આપ્યો હતો.