ટ્રમ્પ અને PM મોદી વચ્ચે અડધો કલાક ટેલિફોનિક વાતચીત થઈ, જાણો કયા-કયા મુદ્દા ચર્ચાયા
Donald Trump Phone Call with PM Modi : કેનેડામાં G7 સમિટ પછી, વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર 35 મિનિટ વાતચીત થઈ. માહિતી અનુસાર, આ ફોન ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, બંને વચ્ચે ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર ચર્ચા થઈ. જે બંને નેતા વચ્ચે પહેલી સીધી વાતચીત હતી.
ટેલિફોનિક વાતચીત અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આપી જાણકારી
આ વાતચીત અંગે જાણકારી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, 'ઓપરેશન સિંદૂરની સમગ્ર ઘટના દરમિયાન, ભારત-અમેરિકા વેપાર કરાર પર કોઈ પણ સ્તરે ચર્ચા થઈ નથી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ પ્રકારની મધ્યસ્થીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી.'
માહિતી અનુસાર, ટ્રમ્પે પીએમ મોદીને વિનંતી કરી હતી કે કેનેડામાં G7 સમિટ પછી, જો તેઓ પરત ફરતી વખતે અમેરિકા થઈને ભારત જાય છે, તો તેઓ મુલાકાત કરી શકે છે. પરંતુ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોના કારણે, પીએમ મોદીએ આમાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી.
35 મિનિટ ચાલી ટેલિફોનિક ચર્ચા
G7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પની મુલાકાત થવાની હતી, પરંતુ ટ્રમ્પને વહેલા અમેરિકા પાછા ફરવું પડ્યું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં. આ પછી, ટ્રમ્પની વિનંતી પર, બંને નેતાઓએ આજે ફોન પર વાત કરી. આ વાતચીત લગભગ 35 મિનિટ ચાલી. જો કે 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલા પછી, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફોન પર વડાપ્રધાન મોદીને સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદ વિરુદ્ધ સમર્થન વ્યક્ત કર્યું હતું. પરંતુ ત્યાર પછીથી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી.
વિદેશ સચિવ મિસરીએ જણાવ્યું હતું કે, 'પીએમ મોદીએ આતંકવાદ પર ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર પણ ચર્ચા થઈ હતી. તેમજ ભારતે પાકિસ્તાન સાથેના તણાવ પર કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી. સીઝફાયર પર અમેરિકા સાથે કોઈ વાત થઈ નથી. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે ઇઝરાયલ-ઈરાન તણાવ પર પણ ચર્ચા થઈ.'
આ પણ વાંચો: યુવકના આંતરડામાંથી ડૉક્ટરોએ 8 સે.મી.ની ચમચી કાઢી, 30 જ મિનિટમાં સફળ ઓપરેશન
પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ થયું
વિક્રમ મિસરીએ સ્પષ્ટતા કરી કે, 'વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા સાથે ભારતની ઓપરેશન સિંદૂર સંબંધિત કોઈપણ વિષય પર કે વેપાર સંબંધિત કોઈ વિષય પર ચર્ચા થઈ નથી. ભારતે ફક્ત પાકિસ્તાનની વિનંતી પર જ યુદ્ધવિરામ કર્યું હતું. ભારતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ એવું કરશે નહીં.' ઉપરાંત, પીએમ મોદીએ એ પણ ભાર મૂક્યો હતો કે હવે ભારત આતંકવાદની ઘટનાઓને પ્રોક્સી વોર (પડદા પાછળની લડાઈ) તરીકે નહીં, પરંતુ યુદ્ધની સીધી કાર્યવાહી તરીકે જોશે.'
ઓપરેશન સિંદૂર પર થઈ લાંબી ચર્ચા
અમેરિકન પ્રમુખે પીએમ મોદી સાથે ઓપરેશન સિંદૂર પર વિગતવાર ચર્ચા કરી. ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવ્યું કે, '22 એપ્રિલ પછી, ભારતે આખી દુનિયાને આતંકવાદ સામે કાર્યવાહી કરવાના પોતાના દૃઢ સંકલ્પ વિશે જણાવ્યું હતું. 6-7 મેની રાત્રે, ભારતે ફક્ત પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ઓપરેશનમાં સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.'