દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: 'અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશે?'

Pawan Khera on Delhi Blast: કોંગ્રેસના મીડિયા પ્રભારી અને AICC મીડિયા તથા પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેડાએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ સરકારના વલણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સંસદ અને રાષ્ટ્રપતિ ભવનની નજીક થયેલા આ વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા છે અને સરકારને આ ઘટનાને આતંકી હુમલો જાહેર કરવામાં 48 કલાક લાગ્યા જે આશ્ચર્યજનક છે.
દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ
પવન ખેડાએ સવાલ ઉઠાવ્યો કે, 'ગૃહમંત્રી અમિત શાહ, અજીત ડોભાલ અને સુરક્ષા એજન્સીઓની કડક નજર હોવા છતાં, ફરીદાબાદમાં 2900 કિલો વિસ્ફોટક સામગ્રી કેવી રીતે પહોંચી ગઈ અને લાલ કિલ્લા પાસે થયેલા ધમાકાની જવાબદારી કોણ લેશે? ખાસ કરીને જ્યારે પુલવામા હુમલામાં RDX કેવી રીતે પહોંચ્યું તેનો જવાબ પણ આજ સુધી મળ્યો નથી.'
દિલ્હી ધમાકાની જવાબદારી કોણ લેશે?: પવન ખેડા
પવન ખેડાએ આ મામલે પૂછ્યું કે, 'આ વિસ્ફોટ કેવી રીતે થયો, કયા સ્તરે નિષ્ફળતા થઈ અને તેની જવાબદારી કોણ લેશે?' આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડાપ્રધાનની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવવાની અને સંસદનું સત્ર વહેલી તકે બોલાવવાની માંગ કરી છે, તેમજ સરકાર મજબૂત વલણ અપનાવે તો તેમને સમર્થન આપવાની વાત પણ કરી છે.
અંતમાં, તેમણે પહલગામ બાદ 'ઓપરેશન સિંદૂર' વખતે અપાયેલા વડાપ્રધાનના નિવેદનને યાદ અપાવતાં પૂછ્યું કે, સરકાર આ હુમલાને કઈ રીતે જોઈ રહી છે, કારણ કે આ હુમલાને બાહ્ય તાકાતો દ્વારા સમર્થન અને પ્રેરણા મળી રહી છે.

