પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો
Pakistan Delegation Visits America : ભારતે ઑપરેશન સિંદૂર સહિતની કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ અને પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ વિનંતી કરી કહ્યું છે કે, ‘પાકિસ્તાન ભારતની તમામ શરતો માનવા તૈયાર છે. જો ભારત આતંકવાદ વિરુદ્ધ લડવામાં પાકિસ્તાનની મદદ કરે તો કદાચ આતંકવાદને ખતમ કરી શકાય છે.
પાકિસ્તાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે ભુટ્ટો
પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto)એ હાલ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ તેમના દેશના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયા બાદ તેઓ વૈશ્વિક રાજદ્વારી હેઠળ સમર્થન પ્રાપ્ત કરવનો પ્રયાસ કરી રહ્યા છે. ભુટ્ટોએ કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે, જો ISI અને રૉ આતંકવાદીઓની તાકાત સામે લડવા એક સાથે કામ કરવા તૈયાર થઈ જાય તો આપણે બંને દેશોમાં આતંકી ઘટનાઓમાં ઉલ્લેખનીય ઘટાડો થશે.
ભુટ્ટોએ યુદ્ધવિરામનો શ્રેય ટ્રમ્પને આપ્યો
ભુટ્ટોએ ચેતવણી આપી છે કે, ‘પરમાણુ શસ્ત્રો ધરાવતા પડોશી દેશો વચ્ચે તાજેતરમાં યુદ્ધવિરામ થયું હતું, જોકે બંને દેશો વચ્ચેના ઘર્ષણનું જોખમ ઓછું થયું નથી, પરંતુ વધી ગયું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના હસ્તક્ષેપના કારણે અને ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો (Marco Rubio)ના નેતૃત્વ હેઠળની ટીમે નિભાવેલી ભૂમિકાનો ઉલ્લેખ કરવા માગું છું અને હું કહેવા માંગું છું કે, આપણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં સફળ થયા. આ સ્વાગતભર્યું પહેલું પગલું છે, જોકે આ માત્ર પહેલું પગલું છે.’
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે
પહલગામ હુમલો, ભારતનો પાકિસ્તાનને જવાબ અને ટ્રમ્પનો દાવો
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ-2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરીને 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં સૌથી વધુ પ્રવાસીઓ હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને છ અને સાતમી મેએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરી ખાતમો બોલાવી દીધો હતો. ત્યારબાદ પાકિસ્તાને 8, 9 અને 10 મેએ ભારતીય સેનાના ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંને દેશો 10 મેએ સૈન્ય કાર્યવાહી અટકાવવા પર સંમત થયા હતા.
ભારત અને પાકિસ્તાને સૈન્ય કાર્યવાહી અટકાવવાની જાહેરાત કરી, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો દાવો કર્યો હતો કે, અમેરિકાના પ્રયાસથી બંને દેશો વચ્ચે યુદ્ધ અટક્યું છે. જોકે ટ્રમ્પના દાવા બાદ ભારતે કહ્યું હતું કે, બંને દેશોના DGMO વચ્ચે વાતચીત બાદ જ સૈન્ય કાર્યવાહી અટકાવાઈ છે, તેમાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી.