Get The App

પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો - અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઇટર જેટ તોડી પાડ્યા

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો - અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઇટર જેટ તોડી પાડ્યા 1 - image

India-Pakistan Conflict : પાકિસ્તાન ઓપરેશન સિંદૂરને લઈને પુરાવા વગરનો ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાન એરફોર્સે (PAF) દાવો કર્યો છે કે, ગત વર્ષે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતના 8 લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.

પાકિસ્તાની માર્શલનો ફેક દાવો

પાકિસ્તાની વાયુસેનાના એર વાઇસ માર્શલ તારિક ગાઝીએ ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આ દાવો કર્યો છે. જોકે નિવેદનબાજી સિવાય તેમણે પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ગાઝીએ આ દરમિયાન એ વાત પર ભાર મૂક્યો હતો કે આ અથડામણો દરમિયાન પાકિસ્તાનનું એક પણ વિમાન નષ્ટ થયું નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય વિવાદ

ગયા વર્ષે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ સૈન્ય સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષ 22 એપ્રિલ- 2025એ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે શરૂ થયો હતો. આ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.

ભારતે આતંકી હુમલાનો આપ્યો જોરદાર જવાબ

ભારતે આ હુમલાના ગુનેગારોને પાઠ ભણાવવા માટે 7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત સરહડ પાર હુમલા કર્યા હતા જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં આતંકવાદી ઠેકાણાઓનો ખાતમો કરવામાં આવ્યો છે. 

પાકિસ્તાનનું ઓપરેશન નિષ્ફળ

ત્યારબાદ પાકિસ્તાને ઓપરેશન બુનિયાન-ઉન-મરુસ નામથી વળતી કાર્યવાહી કરી હતી, જોકે તે સફળ થયું ન હતું. બંને દેશો વચ્ચે ભીષણ હવાઈ સંઘર્ષ થયો જેમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. આ લડાઈમાં લડાકુ વિમાનોએ પણ ભાગ લીધો હતો. 10 મેના રોજ બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો.

આ પણ વાંચો : હોર્મુઝ બન્યું ‘પર્લ હાર્બર’: ઈરાની મિસાઈલોના વરસાદથી અમેરિકન નેવી સ્તબ્ધ, 3 ડિસ્ટ્રોયરની પીછેહઠ

પાકિસ્તાની એર વાઇસ માર્શલનો દાવો

પાકિસ્તાનના એર વાઇસ માર્શલ તારિક ગાઝીએ ચાર દિવસના યુદ્ધ વિશે માહિતી આપતાં કહ્યું કે, પાકિસ્તાની વાયુસેનાએ ભારતના 8 લડાકુ વિમાનો તોડી પાડ્યા હતા, જેમાં 4 રાફેલ ફાઇટર જેટ, એક સુખોઈ-30, એક મિગ-29, એક મિરાજ 2000 જેટની સાથે એક મલ્ટી રોલ માનવરહિત હવાઈ સિસ્ટમ (UAV) શામેલ છે.

પાકિસ્તાને કોઈ પુરાવા આપ્યા નથી

પાકિસ્તાની એર વાઇસ માર્શલે ભારતના 8 સૈન્ય વિમાનો તોડી પાડવાનો દાવો તો કર્યો પરંતુ તેના સમર્થનમાં એક પણ પુરાવો આપવો જરૂરી સમજ્યો નહીં. એટલું જ નહીં તેમણે વિમાનોની સંખ્યા પણ અગાઉના નિવેદનો કરતાં વધારી દીધી છે. આ પહેલા પાકિસ્તાન સરકાર અને સેનાએ કહ્યું હતું કે તેમણે 6 ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. એટલે કે બે ભારતીય વિમાનો પાકિસ્તાને કોઈપણ લડાઈ વિના ઘરે બેઠા જ તોડી પાડ્યા. પાકિસ્તાની સેનાના આ દાવાઓ પર તેની જ મજાક ઉડી રહી છે.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: 10% ગ્લોબલ ટેરિફ રદ, કોર્ટે 5 દિવસમાં રિફંડ આપવા કર્યો આદેશ