પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો - અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઇટર જેટ તોડી પાડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-Pakistan Conflict : પાકિસ્તાન ઓપરેશન સિંદૂરને લઈને પુરાવા વગરનો ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાન એરફોર્સે (PAF) દાવો કર્યો છે કે, ગત વર્ષે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતના 8 લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.
પાકિસ્તાની માર્શલનો ફેક દાવો
પાકિસ્તાની વાયુસેનાના એર વાઇસ માર્શલ તારિક ગાઝીએ ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આ દાવો કર્યો છે. જોકે નિવેદનબાજી સિવાય તેમણે પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ગાઝીએ આ દરમિયાન એ વાત પર ભાર મૂક્યો હતો કે આ અથડામણો દરમિયાન પાકિસ્તાનનું એક પણ વિમાન નષ્ટ થયું નથી.
ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય વિવાદ
ગયા વર્ષે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ સૈન્ય સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષ 22 એપ્રિલ- 2025એ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે શરૂ થયો હતો. આ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
ભારતે આતંકી હુમલાનો આપ્યો જોરદાર જવાબ
ભારતે આ હુમલાના ગુનેગારોને પાઠ ભણાવવા માટે 7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત સરહડ પાર હુમલા કર્યા હતા જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં આતંકવાદી ઠેકાણાઓનો ખાતમો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનનું ઓપરેશન નિષ્ફળ
ત્યારબાદ પાકિસ્તાને ઓપરેશન બુનિયાન-ઉન-મરુસ નામથી વળતી કાર્યવાહી કરી હતી, જોકે તે સફળ થયું ન હતું. બંને દેશો વચ્ચે ભીષણ હવાઈ સંઘર્ષ થયો જેમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. આ લડાઈમાં લડાકુ વિમાનોએ પણ ભાગ લીધો હતો. 10 મેના રોજ બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો.
પાકિસ્તાની એર વાઇસ માર્શલનો દાવો
પાકિસ્તાનના એર વાઇસ માર્શલ તારિક ગાઝીએ ચાર દિવસના યુદ્ધ વિશે માહિતી આપતાં કહ્યું કે, પાકિસ્તાની વાયુસેનાએ ભારતના 8 લડાકુ વિમાનો તોડી પાડ્યા હતા, જેમાં 4 રાફેલ ફાઇટર જેટ, એક સુખોઈ-30, એક મિગ-29, એક મિરાજ 2000 જેટની સાથે એક મલ્ટી રોલ માનવરહિત હવાઈ સિસ્ટમ (UAV) શામેલ છે.
પાકિસ્તાને કોઈ પુરાવા આપ્યા નથી
પાકિસ્તાની એર વાઇસ માર્શલે ભારતના 8 સૈન્ય વિમાનો તોડી પાડવાનો દાવો તો કર્યો પરંતુ તેના સમર્થનમાં એક પણ પુરાવો આપવો જરૂરી સમજ્યો નહીં. એટલું જ નહીં તેમણે વિમાનોની સંખ્યા પણ અગાઉના નિવેદનો કરતાં વધારી દીધી છે. આ પહેલા પાકિસ્તાન સરકાર અને સેનાએ કહ્યું હતું કે તેમણે 6 ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. એટલે કે બે ભારતીય વિમાનો પાકિસ્તાને કોઈપણ લડાઈ વિના ઘરે બેઠા જ તોડી પાડ્યા. પાકિસ્તાની સેનાના આ દાવાઓ પર તેની જ મજાક ઉડી રહી છે.








