પાકિસ્તાન સામેની કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ કેમ અપાયું? જાણો પહલગામની પીડિતાઓએ શું કહ્યું
Operation Sindoor 2025 : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી મૂક્યો હતો. આ હુમલાને પગલે અનેક પરિવારોનું જીવન હંમેશા માટે બદલાઇ ગયું. જો કે, પાકિસ્તાનના આ આતંકી હુમલાનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે 'ઓપરેશન સિંદૂર' અંતગર્ત પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓને ટાર્ગેટ બનાવ્યા અને પહલગામમાં વિધવા થયેલી ભારતની પુત્રીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું છે.
ભારતીય સશસ્ત્ર દળોએ 7 મેના રોજ સવારે 1:44 વાગ્યે "ઓપરેશન સિંદૂર" અંતગર્ત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા. આ ઓપરેશન ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના સંયુક્ત પ્રયાસો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને તેનું નિરીક્ષણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ પહલગામ હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર મહિલાઓ અને પીડિતોના પરિવારોએ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને પીએમ મોદીનો આભાર માન્યો હતો.
ઓપરેશન સિંદૂર શું છે?
પહેલગામ હુમલા દરમિયાન આતંકવાદીઓએ નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા. કાશ્મીર ફરવા ગયેલા પરિણીત કપલોને પકડીને તેમની પતિઓને સામે ગોળી મારી દેવામાં આવી હતી. તેમના સુહાગ અને તેમના સિંદૂરને તેમની નજર સામે જ ભૂંસી નાખવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્યના પ્રતીક તરીકે સિંદૂર લગાવે છે. આતંકવાદીઓને તેમના આકાઓ તરફથી સ્પષ્ટ સૂચનાઓ મળી હતી કે ફક્ત સિંદૂર ભૂંસી નાખો, એટલે કે હિન્દુઓને નિશાન બનાવો. એટલે જ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે શરૂ કરાયેલા ઓપરેશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Operation Sindoor | 90થી વધુ આતંકીઓનો સફાયો, ભારતે પાકિસ્તાનમાં કહેર વરસાવ્યો
પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ
પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા સંતોષ જગદાલેની પુત્રી અસ્વરી જગદાલે જ્યારે ઓપરેશનના સમાચાર સાંભળ્યા તો તે પોતાની લાગણીઓ રોકી શકી નહીં. ANI સાથે વાત કરતા અસ્વરીએ કહ્યું, "અમે ખુશીથી રડી પડ્યા. (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીએ બદલો લીધો છે અને જે રીતે આ ઓપરેશનનું નામ 'સિંદૂર' રાખવામાં આવ્યું છે, તેનાથી અમારી આંખોમાંથી આંસુ અટકતા નથી. જે બહેનોનું સિંદૂર આતંકવાદીઓએ છીનવી લીધું હતું, આજે ભારતે તેમને 9 જગ્યાએ જવાબ આપ્યો છે. આ ભાવ અલગ છે, અને અમારી આંખોમાંથી ખુશીના આંસુ અટકતા નથી."
'સરકાર પર વિશ્વાસ જાગ્યો'
હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પિતા સંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ કામગીરીથી દેશની સરકાર પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. તેમણે કહ્યું, "હું સતત સમાચાર જોઉં છું. હું ભારતીય સેનાને સલામ કરું છું અને દેશના લોકોની પીડા સાંભળવા બદલ પીએમ મોદીનો આભાર માનું છું. હું સેનાનો આભાર માનું છું જેમણે પાકિસ્તાનમાં ઉદભવતા આતંકવાદનો અંત આણ્યો છે. આ સમાચાર સાંભળીને અમારા સમગ્ર પરિવારનું હૃદય હળવું થયું છે."
"આ સાચી શ્રદ્ધાંજલિ છે"
શુભમ દ્વિવેદીના અન્ય એક સંબંધી મનોજ દ્વિવેદીએ કહ્યું, "જ્યારે 22 એપ્રિલે અમારો પુત્ર (શુભમ) શહીદ થયું, ત્યારે અમે કહ્યું હતું કે આપણા દેશમાં ક્રાંતિ આવવાની છે. અમને પૂર્ણ વિશ્વાસ હતો કે પીએમ મોદી આતંકવાદનો અંત લાવવા માટે કડક પગલાં લેશે. આજે સેનાએ અમારા પુત્રને સાચી શ્રદ્ધાંજલિ આપી છે, જેના માટે અમે ખૂબ આભારી છીએ."
પહલગામ હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર મહિલાઓ અને પરિવારજનોએ ઓપરેશન સિંદૂરને પોતાના દુ:ખનો બદલો લેનાર પગલું ગણાવ્યું છે. તેમની ભાવનાત્મક પ્રતિક્રિયાઓ આખા દેશને સ્પર્શી ગઈ. શુભમ દ્વિવેદીની વિધવા પત્નીએ કહ્યું, "આજે મારા પતિનો બદલો પુરો થયો છે. હું ભારતીય સેનાને સલામ કરું છું અને પીએમ મોદીનો આભાર માનું છું. આજે મારા પતિના આત્માને શાંતિ મળશે."
આ હુમલામાં મહારાષ્ટ્રના કૌસ્તુભ ગણબોતે પણ શહીદ થયા હતા. તેમની વિધવા પત્ની સંગીતા ગણબોતેએ કહ્યું, "સેનાનું આ પગલું પ્રશંસનીય છે. ઓપરેશન સિંદૂરનું નામ સાંભળીને હું ભાવુક થઈ ગઈ. આ મહિલાઓના સન્માનનું પ્રતીક છે. પીએમ મોદીએ આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો. આતંકવાદનો ખાતમો થાય!"
શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલના પિતાની પ્રતિક્રિયા
પહલગામમાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલના પિતા રાજેશ નરવાલે આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા રાજેશ નરવાલે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જ્યારે પણ મીડિયાએ મને પૂછ્યું કે હું ભારત સરકાર પાસેથી શું ઇચ્છું છું, ત્યારે મેં તેમને કહ્યું કે મને તેમના પર વિશ્વાસ છે અને તેઓ તેમનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "અને હવે એ દિવસ આવી ગયો છે જ્યારે કામ પુરૂ થઇ ગયું છે. એમાં કોઈ શંકા નથી કે જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેઓ તેમને પાછા મેળવી શક્યા નહીં, પરંતુ અમે એવી કાર્યવાહી ઇચ્છતા હતા જે એક મોટો સંદેશ આપે. મને લાગે છે કે તેઓ (પાકિસ્તાન) આ કાર્યવાહી ક્યારેય ભૂલશે નહીં." નરવાલે ઓપરેશન "સિંદૂર" ની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે ચોક્કસપણે 26 મહિલાઓને સાંત્વના આપશે જેમણે તેમના પુરુષોને (પતિઓ) ગુમાવ્યા છે. તેમણે સશસ્ત્ર દળોનો આભાર માન્યો અને કહ્યું કે આપણે હંમેશા તેમનું સન્માન કરવું જોઈએ, જેથી તેમનું મનોબળ ઊંચું રહે છે.
"પુત્રનું બલિદાન વ્યર્થ ન ગયું"
પહલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલની માતા આશા નરવાલે કહ્યું, "મારો આખો પરિવાર મોદી સાહેબની સાથે છે, જેમણે આજે બદલો લીધો છે. હું સશસ્ત્ર દળોના જવાનોને કહેવા માંગુ છું કે તે આગળ વધતા રહે. આજે જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે."
પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા કર્ણાટકના વતની મંજુનાથ રાવની માતા સુમતિએ કહ્યું, "મારા પુત્રનું બલિદાન વ્યર્થ ગયું નથી... અમને આશા હતી કે વડા પ્રધાન મોદી યોગ્ય કાર્યવાહી લેશે અને તેમણે કાર્યવાહી કરી."
જમ્મુમાં 'ભારતીય સેના ઝિંદાબાદ'ના નારા ગુંજી ઉઠ્યા
આ કાર્યવાહી બાદ જમ્મુમાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને 'ભારતીય સેના ઝિંદાબાદ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા. લોકોએ સેના અને સરકારની દિલથી પ્રશંસા કરી. એક સ્થાનિક રહેવાસીએ ANI ને જણાવ્યું, "પાકિસ્તાન તરફથી થયેલા હુમલાનો જવાબ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. અમે સરકાર અને ભારતીય સેનાના ચોક્કસ અને અસરકારક કાર્યવાહી કરવા બદલ આભારી છીએ."