India

100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે... પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચર્ચા

By GS Team
30 Jul 20253 mins read
This article was originally published on 30 Jul 2025
TukuTouch Logo
લાખો ભક્તો ધરાવતા જાણીતા ધર્મગુરુ પ્રેમાનંદ સ્વામી મહારાજ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તેમના વીડિયો ખૂબ જોવાય છે. પ્રેમાનંદ મહારાજે તાજેતરમાં યુવાનોના ચરિત્ર બાબતે કંઈક એવું કહી દીધું કે, જેના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ અને યુઝર્સ બે હિસ્સામાં વહેંચાઈ પણ ગયા. પ્રેમાનંદજીએ એક વીડિયોમાં એવું કહી રહ્યા છે કે, ‘લગ્ન અગાઉ છોકરા કે છોકરીઓને શારીરિક સંબંધ બનાવતાની આદત પડી જાય છે અને લગ્ન પછી પણ અનેક લોકો આ આદત છોડી શકતા નથી.’ ખેર, આ મુદ્દે કેટલાક લોકો તેમની ટીકા કરી રહ્યા છે જ્યારે ઘણા લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે... પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચર્ચા

Premanand Maharaj: લાખો ભક્તો ધરાવતા જાણીતા ધર્મગુરુ પ્રેમાનંદ સ્વામી મહારાજ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તેમના વીડિયો ખૂબ જોવાય છે. પ્રેમાનંદ મહારાજે તાજેતરમાં યુવાનોના ચરિત્ર બાબતે કંઈક એવું કહી દીધું કે, જેના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ અને યુઝર્સ બે હિસ્સામાં વહેંચાઈ પણ ગયા. પ્રેમાનંદજીએ એક વીડિયોમાં એવું કહી રહ્યા છે કે, ‘લગ્ન અગાઉ છોકરા કે છોકરીઓને શારીરિક સંબંધ બનાવતાની આદત પડી જાય છે અને લગ્ન પછી પણ અનેક લોકો આ આદત છોડી શકતા નથી.’ ખેર, આ મુદ્દે કેટલાક લોકો તેમની ટીકા કરી રહ્યા છે જ્યારે ઘણા લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે. 

પ્રેમાનંદ મહારાજે શું કહ્યું?

પ્રેમાનંદ મહારાજે આજના યુવાનોના ચરિત્ર વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘આજના યુગમાં 100 છોકરીમાંથી 2-4 છોકરી જ એવી હશે જે પોતાનું જીવન પવિત્ર રાખીને પોતાના પતિને સમર્પિત રહેતી હશે. ચાર-ચાર પુરુષ સાથે સંબંધ રાખી ચૂકેલી છોકરીઓ લગ્ન કરે પછી પતિ સાથે સંબંધ જાળવી શકતી નથી. એ જ રીતે અનેક છોકરીઓ સાથે સંબંધ રાખનારા છોકરો પણ પત્નીથી સંતુષ્ટ નથી રહી શકતા. એ ચાર સાથે વ્યભિચાર કરશે જ, કેમ કે એમ કરવું એની આદત બની ગઈ છે. આવા લોકોને તો અમૃત પણ શુદ્ધ ન કરી શકે.’ 



યુવાનોના આચરણને રેસ્ટોરન્ટના ભોજન સાથે સરખાવ્યું

આ વાત કરતા પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, ‘આજની છોકરીઓ કેવા વસ્ત્રો પહેરે છે! કેવું આચરણ કરે છે! એક બ્રેક અપ થાય એટલે બીજો શોધી લે, બીજું બ્રેક અપ થાય એટલે ત્રીજો શોધી લે. આવો તેમનો વ્યવહાર હોય છે અને એ વ્યવહાર પછી વ્યભિચાર બની જાય છે. ચાર રેસ્ટોરન્ટનું ભોજન ખાવાની આદત પડી ગઈ હોય, તેમને ઘરનું ભોજન સારું નથી લાગતું. આજની યુવા પેઢીના સંબંધો એવા છે. આ આપણો મહાન ભારત દેશ છે, વિદેશ નથી કે જ્યાં આજે આની સાથે, કાલે બીજાની સાથે પરમ દિવસે ત્રીજાની સાથે સંબંધ બાંધવાનો હોય.’

લિવ-ઈન રિલેશનશિપને ગંદકીથી વિશેષ કંઈ નથી  

પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે, ‘લિવ-ઈન રિલેશનશિપ ગંદકી છે. એ પશ્ચિમની સંસ્કૃતિ છે, આપણી નહીં. આપણા દેશમાં જ્યારે મુઘલોએ આક્રમણ કર્યું હતું ત્યારે સ્ત્રીઓએ જીવ આપી દીધો હતો, પણ પરપુરુષોને પોતાનું શરીર સ્પર્શવા નહોતું દીધું. લગ્ન સમયે પત્નીનું પાણીગ્રહણ કરનારા પતિ માટે પત્ની અર્ધાંગિની કહેવાય. તેના માટે તો જીવન સમર્પિત કરી દેવાનું હોય. આજે છે આવી ભાવના?’  

આ પણ વાંચોઃ કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા

સોશિયલ મીડિયા પર સમર્થનમાં અને વિરોધમાં ગરમાગરમી 

પ્રેમાનંદ મહારાજના નિવેદનનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકો બે પક્ષમાં વહેંચાઈ ગયા છે. એક પક્ષ એમ કહીને મહારાજના વિચારોને સમર્થન આપી રહ્યા છે કે, મહારાજે કશું ખોટું નથી કહ્યું, તેમણે સમાજની કઠોર વાસ્તવિકતા ઉઘાડી પાડી છે. તો બીજી બાજુ ટીકાકારો મહારાજની ટિપ્પણીઓને સ્ત્રીઓ પ્રત્યેનો પૂર્વગ્રહ ગણાવી રહ્યા છે. 

મહારાજના સમર્થકોની દલીલ છે કે, સમાજમાં નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું હોવાથી તેના પર ચર્ચા થવી જોઈએ. જ્યારે ટીકાકારોનું કહેવું છે કે, ધાર્મિક નેતાઓએ સમાજને જાગૃત કરવા જોઈએ, વિભાજન કરતા વિવાદાસ્પદ નિવેદનો કરવાથી દૂર રહેવું જોઈએ. 


સોશિયલ મીડિયા યુઝર્સ પણ ચર્ચાના ચકડોળે 

એક યુઝરે એક્સ પર પૂછ્યું હતું કે, ‘શું પ્રેમાનંદ મહારાજે ક્યારેય આસારામ કે રામ રહીમ જેવા ગુરુઓના ચરિત્ર પર ટિપ્પણી કરી છે?’  

બીજા યુઝરે લખ્યું હતું કે, ‘મહારાજે ફક્ત છોકરીઓના ચરિત્ર વિશે નહીં, છોકરાઓના ચરિત્ર વિશે પણ ટિપ્પણી કરી છે, પરંતુ મીડિયા ફક્ત છોકરીઓ વિરુદ્ધ નિવેદન અપાયું હોવાનું દેખાડી રહ્યું છે!’ 

મહારાજના સમર્થનમાં એક યુઝરે લખ્યું કે, ‘જો સત્ય બોલવું ગુનો હોય, તો પછી આજના સમાજમાં શું સાચું છે?’ 

નોંધનીય છે કે, ધર્મગુરુઓ દ્વારા યુવા પેઢીના ચરિત્ર પર ઉઠાવાતા સવાલો કોઈ નવી બાબત નથી. થોડા દિવસો અગાઉ અનિરુદ્ધાચાર્ય પણ એવું બોલી ગયા હતા કે, ‘25 વર્ષની છોકરી પરણીને સાસરે જાય ત્યાં સુધીમાં 4 જગ્યે મોં મારી ચૂકી હોય છે.’ આવા નિવેદન માટે અનિરુદ્ધાચાર્ય પણ આકરી ટીકાનો ભોગ બન્યા હતા.