Ola Engineer Death Case: ઓલા ઇલેક્ટ્રિક્સમાં કાર્યરત 38 વર્ષીય હોમોલોગેશન એન્જિનિયર કે. અરવિંદે કથિત રીતે તેમના ઉપરી અધિકારીઓ દ્વારા માનસિક સતામણી અને નાણાકીય શોષણના કારણે આત્મહત્યા કરી હોવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. મૃતક અરવિંદે 28 પાનાની સુસાઈડ નોટ લખી છે, જેમાં ઓલાના સ્થાપક ભવિશ અગ્રવાલ સહિત અન્ય અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો
મૃતક કે. અરવિંદ વર્ષ 2022થી ઓલા કંપનીમાં કામ કરતા હતા, તેણે 28મી સપ્ટેમ્બરના રોજ બેંગલુરુના ચિક્કલાસન્દ્રા સ્થિત તેમના નિવાસસ્થાને ઝેર પી લીધુ હતું. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે જ દિવસે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અરવિંદના મૃત્યુ બાદ તેમના ભાઈને અરવિંદની હસ્તલિખિત સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં અરવિંદે ઉપરી અધિકારીઓ સુબ્રત કુમાર દાસ અને ભવિશ અગ્રવાલ પર સતત માનસિક ત્રાસ આપવા, અપમાનિત કરવા અને પગાર તેમજ ભથ્થાં અટકાવીને નાણાકીય શોષણ કરવાનો આરોપ મૂક્યો છે, જેને કારણે તે આપઘાત કરવા મજબૂર થયો હતો.
પોલીસ કાર્યવાહી અને FIR
મૃતકના ભાઈની ફરિયાદના આધારે, પોલીસે છઠ્ઠી ઑક્ટોબરના રોજ ભવિશ અગ્રવાલ, સુબ્રત કુમાર દાસ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, ઉપરી અધિકારીઓ દ્વારા સતત સતામણી અરવિંદના મૃત્યુ માટે સીધી રીતે જવાબદાર છે અને પોલીસે આપઘાત માટે ઉશ્કેરણી બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શંકાસ્પદ નાણાકીય વ્યવહાર
આ ઘટનામાં એક શંકાસ્પદ નાણાકીય વ્યવહાર પણ સામે આવ્યો છે. અરવિંદના મૃત્યુના બે દિવસ પછી તેના ખાતામાં 17,46,313 રૂપિયાની NEFT દ્વારા બેન્ક ટ્રાન્સફર થઈ હતી. મૃતકના ભાઈએ આ વ્યવહાર અંગે સ્પષ્ટતા માટે કંપનીનો સંપર્ક કર્યો, પરંતુ ગોળગોળ જવાબો મળ્યા હતા. બાદમાં કંપનીના પ્રતિનિધિઓ અરવિંદના ઘરે આવ્યા હોવા છતાં, તેણે આ રકમ વિશે ચોક્કસ માહિતી આપી શક્યા નહોતા, જેનાથી પરિવારમાં કંપનીના ઈરાદાઓ વિશે શંકા ઊભી થઈ છે.
ઓલાનું સત્તાવાર નિવેદન
ઓલા કંપનીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે અરવિંદે તેમની નોકરી દરમિયાન ક્યારેય કોઈ ફરિયાદ કે સતામણીની વાત ઉઠાવી નહોતી, અને તેમની ભૂમિકામાં પ્રમોટર (ભવિશ અગ્રવાલ) સહિતના ટોચના મેનેજમેન્ટ સાથે કોઈ સીધો સંપર્ક સામેલ નહોતો.
કંપનીએ એમ પણ જણાવ્યું છે કે તેણે તેમના બેન્ક ખાતામાં સંપૂર્ણ અને અંતિમ સેટલમેન્ટ તાત્કાલિક જમા કરાવી દીધું છે અને હાલમાં આ અધિકારીઓ વિરુદ્ધ નોંધાયેલી FIRને કર્ણાટક હાઈકોર્ટમાં પડકારી છે, જ્યાં કંપનીના પક્ષમાં સંરક્ષણાત્મક આદેશો પસાર કરવામાં આવ્યા છે. કંપની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે.


