'અમને સમજાવવાની જરૂર નથી...', US યાત્રા પહેલા થરુર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો
File Photo |
Shashi Tharoor Message to Donald Trump: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને દુનિયા સામે ઉઘાડું પાડવા માટે કોંગ્રેસ નેતા શશી થરુરના નેતૃત્વમાં ભારતીય ડેલિગેશન બ્રાઝિલના બ્રાસીલિયામાં છે. ત્યારબાદ ડેલિગેશન અમેરિકા જશે. જોકે, આ પહેલાં જ થરુરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, 'ભારત યુદ્ધ નથી ઇચ્છતું અને તેને સમજાવવા માટે કોઈની જરૂર નથી. ટ્રમ્પ સતત કહી રહ્યા છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરવા માટે મધ્યસ્થી કરી છે. તેઓ એવું પણ કહે છે કે, તેમણે બંને દેશના વેપારને બંધ કરવાની ચેતવણી પણ આપી હતી. આ વાત પાયાવિહોણી છે.'
અમે યુદ્ધ નથી ઇચ્છતાઃ થરુર
થરુરે બ્રાસીલિયામાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, 'અમેરિકન પ્રમુખના પદ માટે અમારા મનમાં ખૂબ જ સન્માન છે અને અમે આ સન્માનને ધ્યાનમાં રાખીને નથી બોલતા પરંતુ, વ્યાપક રીતે કહીએ તો આ બાબતે અમારી સમજ થોડી અલગ છે. અમને રોકવા માટે કોઈને સમજાવવાની જરૂર નથી. જો અમેરિકન પ્રમુખ અથવા તેમના વરિષ્ઠ અધિકારીઓ તરફથી કોઈ સમજાવવાની જરૂર હોત, તો તે પાકિસ્તાનીઓને સમજાવવાનું હતું. અમને સમજાવવાની જરૂર નથી કારણ કે અમે યુદ્ધ નથી ઇચ્છતા. અમે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આ મૂળભૂત સંદેશ છે. 7 મેની શરુઆતથી જ અમે સતત કહ્યું હતું કે, સંઘર્ષને લાંબો ખેંચવામાં અમારી રુચિ નથી. આ કોઈપણ પ્રકારના યુદ્ધની શરુઆત નથી. આ ફક્ત આતંકવાદીઓ સામેનો બદલો છે. જો પાકિસ્તાને પ્રતિક્રિયા ન આપી હોત, તો અમે પણ પ્રતિક્રિયા ન આપત.'
અમેરિકામાં શું કરશે શશી થરુર?
બ્રાસીલિયાની યાત્રા બાદ શશી થરુરના નેતૃત્વમાં ડેલિગેશન પોતાની યાત્રાના અંતિમ તબક્કામાં અમેરિકા જશે. આ યાત્રાને લઈને તેમણે કહ્યું કે, 'આ એક પડકારપૂર્ણ માહોલ છે, જોકે દુનિયા ન્યૂઝ જનરેટર છે તેથી અમારી સ્ટોરી કદાચ તેમના માટે સૌથી ઉપર ન હોય, પરંતુ જો અમે તેના ઉપર લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકીએ જે દક્ષિણ એશિયાની ચિંતા કરે છે, જે ભારતની ચિંતા કરે છે, જે આતંકવાદ સામેની લડાઈની ચિંતા કરે છે.'
છથી સાત ઇન્ટરવ્યુ આપશે થરુર
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'અમે વોશિંગ્ટનની જનતાનો અભિપ્રાય, સરકારી અધિકારી, ધારાસભ્યો, સેનેટરો અને કોંગ્રેસમેન, ગૃહ અને સેનેટમાં વિવિધ સમિતિઓ, વોશિંગ્ટનમાં ખૂબ જ પ્રભાવશાળી થિંક ટેન્કો, ખાસ કરીને વિદેશ નીતિ, મીડિયા અને કેટલાક જાહેર સંબોધનો પર ધ્યાન કેન્દ્રિત કરતી સમિતિઓ સાથે બેઠકો કરીશું. મને છ અથવા સાત ઇન્ટરવ્યુ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ ઇન્ટરવ્યુ વ્યક્તિગત અમેરિકન ચેનલ અને બ્રોડકાસ્ટર્સ, પૉડકાસ્ટરોની દેન છે.'
આ પણ વાંચોઃ અટકાયતીઓની મુક્તિ સાથે કાશ્મીરી પંડિતોના પુનર્વસવાટ માટે મુફ્તિનો મનોજ પાંડેને અનુરોધ
ભારત-પાકિસ્તાનના ડેલિગેશન અમેરિકા પહોંચશે
અમેરિકા વિશે વાત કરતાં શશી થરુરે કહ્યું કે, 'અમેરિકા અમારા માટે તમામ પ્રકારે મહત્ત્વપૂર્ણ છે કારણ કે, સ્પષ્ટરૂપે સુરક્ષા પરિષદ અમેરિકા સાથે અમારા સંબંધોનો એક નાનકડો ભાગ છે. અમરો સંબંધ ખૂબ બહોળો છે, ભલે તે વેપારની વાત હોય, સંરક્ષણની વાત હોય, ગુપ્ત જાણકારી શેર કરવાની વાત હોય કે ભલે G-20 સ્ક્વૉડમાં અમારી ભાગીદારીની વાત હોય, આવા ઘણાં રસ્તા છે, જેમાં અમેરિકાએ અમારો સહયોગ કર્યો છે. આ કોઈ સંયોગ નથી કે, પાકિસ્તાને પણ વિદેશમાં એક ડેલિગેશન મોકલ્યું છે પરંતુ, તે એટલા દેશમાં નથી જઈ રહ્યા જેટલા દેશમાં ભારતીય ડેલિગેશન જઈ રહ્યું છે. તે અમુક પ્રમુખ રાજધાનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમકે, વોશિંગ્ટન, બ્રુસેલ્સ અને લંડન.'
વળી, થરુરે જણાવ્યું કે, કાલે અમેરિકામાં ભારત અને પાકિસ્તાન બંનેના ડેલિગેશન હાજર રહેવાના છે. જોકે, આ એક રસપ્રદ વાત છે. કદાચ આ વિશે રસ વધશે કારણ કે, એક જ શહેર વોશિંગ્ટનમાં બે હરીફ પ્રતિનિધિમંડળ છે.