અટકાયતીઓની મુક્તિ સાથે કાશ્મીરી પંડિતોના પુનર્વસવાટ માટે મુફ્તિનો મનોજ પાંડેને અનુરોધ
- 370 દૂર કરાયા પછી પહેલી જ વાર મુફ્તિ એલજીને મળ્યાં
- જેમને નાના અપરાધો માટે બંદીવાન રખાયા હોય તે બધાને માનવતા ખાતર પણ 'ઈદ' પહેલા મુક્ત કરવા કહ્યું
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના પ્રમુખ અને રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને મળ્યા હતા. જમ્મુ અને કાશ્મીર સંબંધી સંવિધાનની કલમ ઓગસ્ટ ૨૦૧૯માં દૂર કરાયા પછી મહેબૂબા પહેલી જ વાર ઉપ રાજ્યપાલને મળ્યા હતાં. આજે યોજાયેલી આ મુલાકાતમાં મુફિતએ ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને માનવતાની દ્રષ્ટિએ પણ ઈદ પહેલાં જે અટકાયતીઓને નાના નાના અપરાધો માટે બંદીવાન રાખવામાં આવ્યાં હોય તેઓને મુક્ત કરવા અપીલ કરી હતી. આ સાથે તેઓએ કહ્યું, કાશ્મીરી પંડિતોને પાછા બોલાવી તેઓનો પુનર્વસવાટ કરાવવા અનુરોધ કર્યો હતો. તે માટે તેઓએ કહ્યું હતું કે તે પંડિતોને રહેવા માટે ઘર, ખેડાણ માટે જમીન, અને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય છે. આ ઉપરાંત તે પંડિતોને લઘુમતિઓને મળતા તમામ અધિકારો આપવા પણ વિનંતિ કરી હતી.
ઉપ રાજ્યપાલને મળ્યા પછી પત્રકારોને કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું, 'કાશ્મીરી પંડિતોની રાજ્યમાંથી થયેલી સામુહિક હીજરત કાશ્મીર ઉપરનું સૌથી મોટું કલંક છે.' આ સાથે તેઓએ અમરનાથ યાત્રા પણ ખૂબ સરળતાથી ચાલે તે માટે વ્યવસ્થા ગોઠવવા ઉપરાજ્યપાલને અનુરોધ કર્યો હતો.
જમ્મુ અને કાશ્મીરની રાજકીય પરિસ્થિતિ અને ગતિવિધિ બોલતાં તેઓએ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ઉપર આક્ષેપ મુક્યો હતો કે તેઓએ તો ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરી હતી તેમજ વકફ બિલ સંબંધી તેમનું વલણ તેમનાં માનસને છતું કરે છે.
કેટલાક વિશ્લેષકો કહે છે કે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનને મળેલા પછડાટ પછી અને તે પૂર્વે ભારતે કરેલી 'સર્જિકલ સ્ટ્રાઈક' પછી હવે મહેબૂબા મુફ્તિના વલણમાં ફેરફાર આવ્યો છે, તેમ લાગે છે.