સાયબર ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરુ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ
E-Zero FIR: કેન્દ્ર સરકારે ઈ-ઝીરો એફઆઇઆર નામથી એક નવી સર્વિસ શરુ કરી છે. જેનો હેતુ સાયબર સુરક્ષાને મજબૂત બનાવવાનો અને સાયબર છેતરપિંડી કેસની ઝડપી પતાવટ લાવવાનો છે. આ વ્યવસ્થા હાલ દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરુકરવામાં આવી છે. જેમાં રૂ. 10 લાખથી વધુની ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો આપોઆપ એફઆઇઆરમાં તબદીલ થશે. આ પહેલ પાછળનો ઉદ્દેશ સાયબર ક્રાઇમના ગુનેગારો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાનો અને તપાસમાં થતો વિલંબ ઘટાડવાનો છે.
રૂ. 10 લાખથી વધુની સાયબર છેતરપિંડીની ફરિયાદો આપોઆપ એફઆઇઆરમાં તબદીલ થઈ જશે. આ સુવિધા 1930 હેલ્પલાઇન અથવા નેશનલ સાયબર રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદો પર લાગુ થશે. આ નવી વ્યવસ્થા ઈ-ઝીરો એફઆઇઆર તરીકે ઓળખાશે. જેનાથી સાયબર ગુનો આચરતાં ગુનેગારોને ઝડપથી પકડી જેલના સળિયા પાછળ ધકેલી શકાય. આ પ્રણાલી હાલ દિલ્હીમાં શરુ કરવામાં આવી છે. ધીમે ધીમે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. ગૃહ મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી.
શું છે ઈ-ઝીરો એફઆઇઆર?
એક અધિકારીએ જણાવ્યું હતું કે, NCRP અને 1930 પર નોંધાયેલા 10 લાખથી વધુની સાયબર છેતરપિંડીની ફરિયાદો હવે આપોઆપ ઝીરો એફઆઇઆરમાં તબદીલ થઈ જશે. હાલ દિલ્હીના ઈ-ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ એફઆઇઆર નોંધાશે અને તે સંબંધિત વિસ્તારના સાયબર પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. ફરિયાદીએ ત્રણ દિવસની અંદર સંબંધિત સાયબર પોલીસ સ્ટેસન જઈ ઝીરો એફઆઇઆરને નિયમિત એફઆઇઆરમાં તબદીલ કરવી પડશે. આ પ્રક્રિયામાં I4C (ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટ) દિલ્હી પોલીસની ઈ-એફઆઇઆર પ્રણાલી અને NCRBના ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્કને જોડી શકો છો.
કાયદાકીય આધાર
આ પહેલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 (1) અને 1(ii) હેઠળ શરુ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને I4Cની પ્રણાલી પીડિત વ્યક્તિએ ગુમાવેલા નાણાં તુરંત મેળવી આપવા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરશે અને ગુનેગારોને આકરી સજા આપશે.
ઈ-એફઆઇઆરના ફાયદા
- ફરિયાદ કરવી સરળ બનશે
- તાત્કાલિક ધોરણે એફઆઇઆર નોંધાવી શકાશે
- છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં પરત મળવાની તકો વધશે
- ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાર્યવાહી