West Asia War Briefing: પશ્ચિમ એશિયામાં વધતાં તણાવને કારણે ભારતીય અર્થતંત્ર અને વૈશ્વિક વેપાર સામે મોટો પડકાર ઊભો થયો છે. ગુરુવારે યોજાયેલી ઇન્ટર-મિનિસ્ટ્રિયલ બ્રીફિંગમાં જણાવવામાં આવ્યું હતું કે અનેક મહત્ત્વના ક્ષેત્રો પર તેની સીધી અસર પડી શકે છે. વાણિજ્ય મંત્રાલયે આ સંકટનું સેક્ટર-વાઇઝ વિશ્લેષણ કર્યું છે. તણાવને કારણે 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગો પર સપ્લાય ચેઇન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ભારતનો ગલ્ફ દેશો સાથે લગભગ 178 બિલિયન ડૉલરનો દ્વિપક્ષીય વેપાર છે, જે હવે સીધો જોખમમાં છે. એડિશનલ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિ માત્ર ક્રૂડ ઓઇલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ નિકાસ અને ઔદ્યોગિક પુરવઠા પર પણ દબાણ વધી રહ્યું છે. ખાસ કરીને શિપિંગ રૂટ, વીમા ખર્ચ અને કાચા માલની ઉપલબ્ધતા પર અસર પડી રહી છે.
કયા સેક્ટર પર સૌથી વધુ અસર?
-સૌથી વધુ અસર ખાદ્ય અને કૃષિ ઉત્પાદન ક્ષેત્ર પર જોવા મળી શકે છે. પશ્ચિમ એશિયા ભારત માટે મોટું બજાર છે, જ્યાં ચોખા, મસાલા અને અન્ય કૃષિ ઉત્પાદનો મોટી માત્રામાં મોકલવામાં આવે છે. તણાવ વધવાથી લોજિસ્ટિક્સ ખર્ચાળ બની શકે છે અને ડિલિવરીમાં વિલંબ વધી શકે છે. તેનાથી નિકાસકારોનો ખર્ચ અને જોખમ બંને વધશે.
-એન્જિનિયરિંગ પ્રોડક્ટ સેક્ટર પણ દબાણમાં આવી શકે છે. આ સેક્ટરનો મોટો હિસ્સો ગલ્ફ દેશોમાં જાય છે. જો પરિસ્થિતિ વધુ વણશે તો ઑર્ડર ધીમા પડી શકે છે અને નવા કોન્ટ્રાક્ટ પર અસર પડશે.
-આ સાથે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પણ પ્રભાવિત થશે, કારણ કે દુબઈ જેવા હબ પર નિર્ભરતા વધુ છે. ત્યાં વેપાર ખોરવાવાને કારણે બિઝનેસમાં ઘટાડો આવી શકે છે.
-ઊર્જા અને પેટ્રોલિયમ ક્ષેત્રને સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે. ઓઇલના ભાવમાં વધારો થવાથી ભારતનું આયાત બિલ વધી શકે છે. આ સાથે પેટ્રોકેમિકલ ઉદ્યોગનો ખર્ચ પણ વધશે, જેની અસર અનેક મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર પડશે.
-કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં કાચા માલના પુરવઠામાં અવરોધ આવવાની આશંકા છે.
મોટું આર્થિક જોખમ
ફાર્માસ્યુટિકલ સેક્ટર પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. ઘણા જરૂરી કેમિકલ્સ અને ઇન્ટરમીડિયેટ્સ આ પ્રદેશમાંથી આવે છે. સપ્લાય ચેઇનમાં અવરોધ આવવાથી ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે. એકંદરે, પશ્ચિમ એશિયાનો તણાવ ભારતના અનેક ક્ષેત્રો માટે મોટું આર્થિક જોખમ બનીને ઊભરી રહ્યો છે, જેના પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં સરકારે 2 માર્ચ, 2026ના રોજ એક ઇન્ટર-મિનિસ્ટ્રિયલ ગ્રૂપ(IMG)ની રચના કરી છે.
દેશમાં ઓઇલ અને ગેસને લઈને ઊભી થઈ રહેલી ચિંતાઓ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ગણાવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત પાસે લગભગ 60 દિવસનો ઓઇલનો પર્યાપ્ત ભંડાર ઉપલબ્ધ છે અને સલ્ફરની કોઈ અછત નથી. પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેનાથી સામાન્ય લોકોને રાહત મળી છે. LPG સપ્લાય પણ સંપૂર્ણ રીતે સ્થિર છે અને દેશભરમાં કોઈપણ ગેસ એજન્સી પર ડ્રાય-આઉટની સ્થિતિ નથી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તમામ રિટેલ આઉટલેટ્સ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે અને કોમર્શિયલ સપ્લાય લગભગ 70 ટકા સુધી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. બીજી તરફ, મિરાન્ડા કૉલેજ સાથે જોડાયેલા એક વાઇરલ વીડિયોની તપાસમાં જાણવા મળ્યું છે કે LPGની કોઈ સમસ્યા ન હતી, પરંતુ વિદ્યાર્થીઓનો વિરોધ ખોરાકની ગુણવત્તાને લઈને હતો.
કયા સેક્ટર્સ પર તોળાઈ રહ્યું છે સૌથી મોટું સંકટ?
વાણિજ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે આ સંઘર્ષથી મુખ્યત્વે છ સેક્ટર પ્રભાવિત થઈ રહ્યા છે. સૌથી વધુ અસર ‘જેમ્સ એન્ડ જ્વેલરી’ પર પડવાની આશંકા છે, જ્યાં લગભગ 1980 મિલિયન ડૉલરની નિકાસ દાવ પર છે. આ સિવાય ફાર્મા, એન્જિનિયરિંગ ગુડ્સ અને એગ્રો પ્રોડક્ટ્સ પર પણ ખરાબ અસર જોવા મળી રહી છે. દરિયાઈ માર્ગોમાં અવરોધને કારણે નૂર ખર્ચ (ફ્રેટ કોસ્ટ) વધી ગયો છે અને ક્રેડિટ રોટેશન પણ પ્રભાવિત થયું છે.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાથી શું નુકસાન?
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ પોઇન્ટ્સમાંનું એક છે. ભારતની ક્રૂડ ઓઇલની 45 ટકા આયાત આ માર્ગે થાય છે. જ્યારે 90 ટકા એલપીજી સપ્લાય માટે ભારત આ રૂટ પર નિર્ભર છે. જો આ માર્ગ ખોરવાય તો દેશમાં ઊર્જા સંકટ ઘેરું બની શકે છે. હાલમાં સરકારે ડોમેસ્ટિક અને પ્રાયોરિટી સેક્ટર માટે એલપીજી સપ્લાય સુરક્ષિત રાખવાની યોજના બનાવી છે.
સરકારે બચાવ માટે શું પગલાં લીધાં છે?
સંકટને પહોંચી વળવા સરકારે ‘હોલ-ઑફ-ગવર્મેન્ટ’ એપ્રોચ અપનાવ્યો છે. વાસ્તવિક સમયના નિર્ણયો લેવા માટે દરરોજ સવારે 10:00 વાગ્યે ઇન્ટર-મિનિસ્ટ્રિયલ ગ્રૂપની બેઠક મળે છે. વેસ્ટ એશિયા ક્રાઇસીસ ડેસ્ક અને ટોલ-ફ્રી હેલ્પલાઇન (1800-111-550) શરૂ કરવામાં આવી છે. જલ્દી બગડી જાય તેવી વસ્તુઓ (પેરિશેબલ્સ) માટે અલગ સબ-ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. દવાઓની અછત ન સર્જાય તે માટે API અને સોલ્વન્ટ્સના સપ્લાય પર નજર રાખવામાં આવી રહી છે.
નિકાસકારોને મોટી રાહત, સરકારે સમયમર્યાદા લંબાવી
સરકારે નિકાસકારોને રાહત આપતા ઍડ્વાન્સ ઑથોરાઇઝેશન અને EPCG સ્કીમ હેઠળ નિકાસની જવાબદારી પૂર્ણ કરવાની મુદત 3 મહિના વધારીને 31 ઑગસ્ટ, 2026 કરી દીધી છે. આ સમયગાળા દરમિયાન કોઈ લાયસન્સ રદ કરવામાં આવશે નહીં અને કોઈ દંડ પણ વસૂલવામાં આવશે નહીં. સાથે જ RoDTEP લાભો ફરીથી 100 ટકા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે, જેનાથી નિકાસ ખર્ચ નિયંત્રણમાં રહેશે. ECGC કવર પણ વધારીને 100 ટકા કરવામાં આવ્યું છે, જે સામાન્ય રીતે 80થી 85 ટકા રહેતું હતું. પ્રીમિયમ વધશે નહીં અને આગામી સમયમાં 95 ટકા કવરનો વધારાનો ખર્ચ સરકાર ભોગવશે.


