પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર
Photo: IANS |
Natural Disaster Displacement: કુદરતનો પ્રકોપ દર વર્ષે લાખો લોકોને ઘરવિહોણા કરી રહ્યો છે. ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટરના નવા રિપોર્ટ અનુસાર, 2015થી 2024 સુધી વિશ્વભરમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ અને જંગલમાં દાવાનળ જેવી કુદરતી આફતોએ 26.48 કરોડ લોકોના ઘર નષ્ટ કરી દીધા છે. જેમાં 2024માં જ 4.58 કરોડ લોકો ઘરવિહોણા બન્યા હતા, જે દાયકાની સૌથી મોટી તબાહી રહી હતી. ભારતમાં 3.2 કરોડ લોકો કુદરતી આફતના કારણે ઘરવિહોણા બન્યા હતા. IDMCના રિપોર્ટ કાઉન્ટડાઉન ટુ 2030: અચિવિંગ ગ્લોબલ ટાર્ગેટ્સ ઓન ડિઝાસ્ટર ડિસ્પ્લેસમેન્ટ અનુસાર, 2015-2024 દરમિયાન 210 દેશો અને પ્રદેશોમાં કુદરતી આફતે લોકોના ઘર ઉઝાડ્યા હતા. જેમાં 89 ટકા વિસ્થાન પૂર અને વાવાઝોડાના કારણે થયું હતું.
એક દાયકામાં 27 કરોડ લોકો બેઘર થયા વિશ્વમાં
- 2015-2024માં 26.48 કરોડ લોકો વિસ્થાપિત થયા.
- 2024માં 4.58 કરોડ લોકો ઘરવિહોણા બન્યા હતા, જે છેલ્લા 10 વર્ષની એવરેજ (2.65 કરોડ) કરતાં બમણા છે.
- 2023ના અંત સુધીમાં 98 લાખ લોકો આફતના કારણે આંતરિક વિસ્થાપન(IDP)માં જીવી રહ્યા હતા.
- નિમ્ન અને નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોમાં 60 ટકાથી વધુ લોકો ઘરવિહોણા થયા હતા.
- ભારતમાં કુદરતી આફતના કારણે થયેલા નુકસાનની સ્થિતિ
- ભારતમાં 10 વર્ષમાં પૂર, તોફાન અને અન્ય આફતોથી 3.2 કરોડ લોકો વિસ્થાપિત થયા.
- 2024માં દક્ષિણ એશિયામાં 92 લાખ લોકો ઘરવિહોણા થયા હતા, જેમાં ભારતનો હિસ્સો વધુ.
- 2019માં ચક્રવાત ફાની અને બુલબુલના કારણે ભારતમાં 40 લાખથી વધુ લોકો બેઘર થયા.
મુખ્ય કારણો
આબોહવા પરિવર્તન: પૂર, તોફાન અને જંગલમાં દાવાનળની તીવ્રતા વધી છે.
સાવચેતીની નબળી તૈયારી: જોખમી વિસ્તારોમાં નબળી માળખાગત સુવિધાઓ અને વસાહતોના કારણે વિસ્થાપન વધ્યું.
ડેટાનો અભાવ: ઘણા વિસ્થાપનો રૅકોર્ડ કરવામાં આવતાં નથી, જેથી સહાયમાં વિલંબ થાય છે.
IDMC ડિરેક્ટર એલેક્ઝાન્ડ્રા બિલકે જણાવ્યું કે, વિસ્થાપન એ આજની મોટી સમસ્યા બની છે, જે વારંવાર થઈ રહી છે. ગરીબ દેશો સૌથી વધુ પ્રભાવિત છે. વધુ સારા ડેટા, નીતિઓ અને રોકાણ દ્વારા જોખમ ઘટાડી શકાય છે.
આ પણ વાંચોઃ VIDEO: અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, પરિસરમાં અન્ય 7 મંદિર પણ તૈયાર કરાયા
કઈ આફતોએ સૌથી વધુ વિનાશ સર્જ્યો?
પૂર અને તોફાન: 89% વિસ્થાપન પૂર અને તોફાનના કારણે થાય છે. 2023માં, ચક્રવાત ફ્રેડી (દક્ષિણ-પૂર્વ આફ્રિકા) એ 14 લાખ લોકોને બેઘર બનાવ્યા અને ચક્રવાત મોચા (હિંદ મહાસાગર) એ લાખો લોકોને બેઘર બનાવ્યા.
ભૂકંપ: 2023માં તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે 47 લાખ લોકોને ઘરવિહોણા કર્યાં.
જંગલમાં દાવાનળ: 2023માં કેનેડામાં લાગેલી આગમાં 1.85 લાખ લોકો વિસ્થાપિત થયા.
દુષ્કાળ: 2023માં આફ્રિકાના હોર્નમાં દુષ્કાળને કારણે 21 લાખ લોકો વિસ્થાપિત થયા, જેમાં સોમાલિયામાં 11 લાખ.
ભારતમાં મોટી કુદરતી આફત
2019: ચક્રવાત ફાની અને બુલબુલે ભારત અને બાંગ્લાદેશમાં 40 લાખથી વધુ લોકોને વિસ્થાપિત કર્યા.
2024: પૂર અને વાવાઝોડાએ દક્ષિણ એશિયામાં 92 લાખ લોકોને અસર કરી, જેમાં ભારતમાં ભારે વરસાદ અને પૂરે મુખ્ય ભૂમિકા ભજવી.
2023: ભારતમાં ચોમાસાના પૂરથી 82 લાખ લોકો વિસ્થાપિત થયા.
આબોહવા પરિવર્તનની ભૂમિકા
આબોહવા પરિવર્તને કુદરતી આફતોને વધુ ખતરનાક બનાવી છે. IDMC રિપોર્ટ દર્શાવે છે કે હવામાન સંબંધિત આફતો (પૂર, તોફાન, દુષ્કાળ) ના કારણે છેલ્લા 10 વર્ષમાં 21.9 કરોડ લોકો વિસ્થાપિત થયા છે, જે સરેરાશ દરવર્ષે 2.24 કરોડ લોકો બેઘર બન્યા હતા. જો આબોહવા પરિવર્તનને નિયંત્રિત કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં દર વર્ષે 50થી 10 કરોડ લોકો વિસ્થાપિત થઈ શકે છે. ગીચ વસ્તી અને નબળા માળખાગત સુવિધાઓ ધરાવતા ભારત જેવા દેશો સૌથી વધુ જોખમમાં છે.
વિસ્થાપનની અસર
આર્થિક નુકસાન: વિસ્થાપનને કારણે દર વર્ષે અબજો ડૉલરનું નુકસાન થાય છે, જે દેશના આર્થિક વિકાસને અસર કરે છે.
સામાજિક અસરો: વિસ્થાપિત લોકો શિક્ષણ, આરોગ્ય અને રોજગારથી વંચિત છે.
ખાદ્ય અસુરક્ષા: વિસ્થાપન 2022માં ખાદ્ય સંકટને વધુ ખરાબ કરશે, ખાસ કરીને આફ્રિકાના હોર્નમાં.
ગરીબ દેશો પર બોજ: 60%થી વધુ વિસ્થાપન ઓછી આવક ધરાવતા દેશોમાં થયું, જ્યાં સંસાધનોની પહેલેથી જ અછત છે.
ભારતમાં પૂર અને તોફાનોએ લાખો લોકોને કામચલાઉ શિબિરોમાં રહેવાની ફરજ પાડી. ખેતી અને આજીવિકા પર નિર્ભર ગ્રામીણ વસ્તી સૌથી વધુ પ્રભાવિત થઈ.
કુદરતી આફતથી આ રીતે બચી શકાય
આપત્તિ જોખમ ઘટાડા માટે IDMC અને સેન્ડાઈ ફ્રેમવર્ક (2015-2030) હેઠળ કેટલાક ઉકેલો સૂચવવામાં આવ્યા છે...
વધુ સારો ડેટા સંગ્રહ: વિસ્થાપન પર સચોટ ડેટા નીતિઓ બનાવવામાં મદદ કરશે.
આબોહવા-સ્થિતિસ્થાપક માળખાકીય સુવિધાઓ: મજબૂત ઘરો, રસ્તાઓ અને ડેમ વિસ્થાપન ઘટાડી શકે છે.
પ્રારંભિક ચેતવણી પ્રણાલી: ભારતમાં હવામાન વિભાગની ચેતવણીઓમાં સુધારો થયો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પહોંચ વધારવાની જરૂર છે.
લાંબા ગાળાના રોકાણો: આબોહવા અનુકૂલન અને આપત્તિ જોખમ ઘટાડવામાં રોકાણ જરૂરી છે.
રાષ્ટ્રીય યોજનાઓ: સેન્ડાઈ ફ્રેમવર્ક હેઠળ, 2023 સુધીમાં 131 દેશોએ આપત્તિ જોખમ ઘટાડવાની વ્યૂહરચના વિકસાવી છે.
ભારતે સેન્ડાઈ ફ્રેમવર્ક હેઠળ રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડવાની વ્યૂહરચના વિકસાવી છે. 2023 સુધીમાં, ભારતમાં 110 સ્થાનિક સરકારોએ આવી વ્યૂહરચના અપનાવી છે.