બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણી પંચનો આદેશ
Election Commission: ચૂંટણીપંચે મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. બિહારની જેમ હવે દેશભરમાં SIRની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચૂંટણીપંચ અનુસાર, મતદાર યાદીઓની તટસ્થતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાની બંધારણીય જવાબદારી નિભાવવા માટે દેશભરમાં SIR શરૂ કરવામાં આવશે.
SIR માટેનું શેડ્યૂલ જાહેરાશે
અહેવાલો અનુસાર, ચૂંટણી પંચે 24મી જૂનના રોજ મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા અંગેના આદેશમાં જણાવ્યું હતું કે, ' ચૂંટણીપંચ હવે મતદાર યાદીઓની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટેના તેના બંધારણીય આદેશનું પાલન કરવા માટે દેશભરમાં ખાસ સઘન સુધારા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દેશના બાકીના ભાગોમાં SIR માટેનું શેડ્યૂલ યોગ્ય સમયે જાહેર કરાશે.'
આ પણ વાંચો: હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધ્યું, સંસદમાં પ્રસ્તાવ મંજૂર
SIR શું છે અને આ પ્રક્રિયા કેમ જરૂરી છે?
ચૂંટણીપંચ દ્વારા શરૂ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામાં પર નોંધાયેલા છે.
બિહારમાં 51 લાખ ગેરરીતિ સામે આવી
અહેવાલો અનુસાર, બિહારમાં SIR હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસમાં 18 લાખ મૃત મતદારો, 26 લાખ મતદારો જેમણે પોતાની વિધાનસભા બેઠક બદલી છે અને 7 લાખ ડુપ્લિકેટ એન્ટ્રીઓ મળી આવી હતી.