રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની સુવર્ણ પ્રતિમા, જાણો તાંજાવુર શૈલીની આ કલાકૃતિની વિશેષતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ram Temple Golden Idol: અયોધ્યામાં રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને કિંમતી સુવર્ણ પ્રતિમા બિરાજમાન કરાશે. કર્ણાટકના બેંગલુરુના રહેવાસી જયશ્રી ફનીશ દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી ગઈ હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે. આ મૂર્તિનું મૂલ્ય જાહેર કરાયું નથી, પરંતુ એવું કહેવાય છે કે તેની કિંમત રૂ. 30 કરોડ જેટલી હોઈ શકે છે.
આ દક્ષિણ ભારતની પરંપરાગત તાંજાવુર શૈલીમાં તૈયાર કરાયેલી માત્ર એક કલાકૃતિ નથી, પરંતુ આપણો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે. સોનાના વરખ અને કિંમતી રત્નોના જડતર સાથેની આ કલાકૃતિ જયશ્રી ફનીશે જ તૈયાર કરી છે, જે તેમણે 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે. આ કલાકૃતિ બેંગલુરુથી 1,900 કિલોમીટર દૂર અયોધ્યા સુધી પહોંચાડવા જયશ્રી ફનીશે ભારતીય ટપાલ વિભાગની મદદ લીધી હતી.
આશરે 12 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી પ્રતિમા
દક્ષિણ ભારતીય શૈલીમાં તૈયાર કરાયેલી આ મૂર્તિ આશરે 12 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે, જ્યારે તેનું વજન 600 કિલો જેટલું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘આ દાતાએ તેમની ઓળખ ગુપ્ત રાખી છે. હાલ મૂર્તિની વિવિધ સ્તરે ચોકસાઈ કરાઈ રહી છે.’ આ ઉપરાંત હીરા, નીલમ અને સોનાથી મઢેલી આ મૂર્તિમાં કઈ ધાતુ-રત્નોનો કેટલો ઉપયોગ થયો છે, તેની પણ નિષ્ણાતો દ્વારા તપાસ કરાઈ રહી છે.
ક્યાં કરવામાં આવશે સ્થાપના?
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભવ્ય પ્રતિમાને રામ મંદિરના સંત તુલસીદાસ મંદિર પાસે આવેલા 'અંગદ ટીલા' પર સ્થાપિત કરાશે. પ્રતિમાના અનાવરણ બાદ એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે, જેમાં દેશભરના સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે.








