VIDEO: CM યોગીએ દિલ્હીની સરખામણી 'ગેસ ચેમ્બર' સાથે કરી, કહ્યું- 'તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CM Yogi on Delhi Pollution: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે 14 ફેબ્રુઆરીના રોજ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગોરખપુરના જંગલ કોડિયા બ્લોકમાં પુન નિર્માણ પામેલા બીડીઓ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં દિલ્હીની AQI(એર ક્વોલિટી ઇન્ડેક્સ)ની સરખામણી ગેસ ચેમ્બર સાથે કરી હતી.
'સૌથી મોટો પડકાર પર્યાવરણ નુકસાન'
દેશની રાજધાની દિલ્હીમાં અનેક વખત વિપક્ષ ખરાબ હવાનો મુદ્દો ઉઠાવી હાલની ભાજપ સરકારને ઘેરી રહ્યું છે તેવામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ દિલ્હીની સરખામણી ગેસ ચેમ્બર સાથે કરી દેતાં વિપક્ષને પ્રહાર કરવાનો મોકો આપી દીધો છે. પર્યાવરણ અંગે વાતચીત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે, 'આજે દુનિયા સામે સૌથી મોટો પડકાર પર્યાવરણ નુકસાનનો છે. તમે જુઓ કે અહીં પર્યાવરણ કેવું સરસ છે કોઈ પ્રદૂષણ નથી, જો પ્રદૂષણ ન હોય તો બીમારી પણ ન હોય, જ્યારે પ્રદૂષણ થશે ત્યારે ફેફસાને નુકસાન પહોંચશે. જો ઓક્સિજન સપ્લાય કરતું મશીન જ ખરાબ થઈ જાય ત્યારે સંપૂર્ણ શરીર ખરાબ થઈ જશે.
'દિલ્હી ગેસ ચેમ્બર બની ગયું, હાલત ખરાબ'
વધુમાં તેમણે દિલ્હીના પ્રદૂષણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'તમે જાઓ દિલ્હીની હાલત શું છે? એવું લાગે છે ત્યાં ગેસ ચેમ્બર બની ગયું છે. હાલત ખરાબ છે. તમે હવામાં શ્વાસ પણ નહીં લઈ શકો આંખોમાં બળતરા થશે. ત્યાં ડૉક્ટરોનું કહેવું છે કે જેમને અસ્થમા અને બીજી બીમારીઓ છે તેવા વૃદ્ધ અને બાળકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, શું આ જિંદગી છે? જ્યારે જ્યારે પર્યાવરણ સાથે કોઈ છેડછાડ કરશે ત્યારે આવી સ્થિતિ ઊભી થશે. આપણે નસીબદાર છીએ કે અહીં વિકાસ પણ છે સાથે દમ ઘૂંટે તેવો માહોલ નથી.'
આ પણ વાંચો: યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર
ડિસેમ્બર-જાન્યુઆરીમાં દિલ્હીનું હવામાન હતું અતિ ખરાબ
મહત્ત્વનું છે કે ગત ડિસેમ્બર મહિનામાં AQI સતત 400થી 450ને પાર જઈ રહ્યો હતો, જે બાદ UK, કેનેડા, સિંગાપોર હાઇ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઇઝરીમાં કહ્યું હતું કે ખાસ કરીને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોઈ પ્રવાસ કરે, બીજી તરફ જાન્યુઆરીમાં રાહુલ ગાંધીએ પણ દિલ્હીના પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં પોસ્ટ કરી હતી કે ‘આ સંકટને માત્ર શિયાળો પૂરો થતાં ભૂલી જવું જોઈએ નહીં. તમારો અવાજ બુલંદ છે, તેથી તમારો અવાજ બુલંદ કરવો મારી જવાબદારી છે. ઝેરી હવાનો સૌથી વધુ ખરાબ અનુભવ બાળકો અને વૃદ્ધોને થઈ રહ્યા છે. પ્રદૂષણને કારણે લાદવામાં આવતા પ્રતિબંધો અને ખરાબ હવાને લીધે આ ગરીબ વર્ગની આજીવિકા પર સીધી અસર પડી રહી છે. કરોડો સામાન્ય ભારતીયો દરરોજ આ બોજ સહન કરવા મજબૂર બન્યા છે.'









