વાઘ માટે 'ડેથ ટ્રેપ' બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
72 Tigers Die in Thailand’s Tiger Kingdom: ઉત્તર થાઇલૅન્ડના ચિયાંગ માઈમાં આવેલા લોકપ્રિય 'ટાઈગર કિંગડમ પાર્ક'ના બે સ્થળે છેલ્લા 12 દિવસમાં જ 72 વાઘ મૃત્યુ પામ્યા. આ પાર્કમાં પર્યટકો વાઘને નજીકથી જોઈ શકે છે, સ્પર્શ કરી શકે છે અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવી શકે છે. આ પાર્કના 'મે તેગ'(Mae Taeng) સ્થળે 51 વાઘ અને 'મે રિમ'(Mae Rim) સ્થળે 21 વાઘ મરી ગયા. આ બંને જગ્યા વચ્ચે લગભગ 30 કિલોમીટરનું અંતર છે, જ્યાં કુલ 240 વાઘ છે. ગુજરાત સહિત દુનિયાભરના પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જાણીએ થોડા જ દિવસોમાં પાર્કના 30 ટકા વાઘ મરી જવા પાછળ કયું કારણ જવાબદાર છે.
મોતનું કારણ શું હતું?
મૃત વાઘના પરીક્ષણોમાં ‘બર્ડ ફ્લૂ’(એવિયન ઈન્ફલ્યુએન્ઝા)ના કોઈ પુરાવા નથી મળ્યા. ‘કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ’(CDV) અને માયકોપ્લાઝ્મા બેક્ટેરિયાની હાજરી મળી આવી છે. CDV એક અત્યંત ચેપી વાઇરસ છે. આ વાઇરસ કૂતરાને અસર કરતો નથી, પણ વાઘ માટે જીવલેણ છે. તે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ વાઇરસે બેક્ટેરિયા સાથે મળીને ગંભીર ન્યુમોનિયા પેદા કર્યો હતો અને તેના કારણે વાઘોનો જીવ ગયો.
તપાસમાં શું સામે આવ્યું?
ચિયાંગ માઈના પશુ વિભાગે વાઘના ખોરાક અને આસપાસના વાતાવરણના સેમ્પલ્સ લઈને તપાસ કરી. 'મે તેગ' અને 'મે રિમ'ના તમામ વાઘને ખોરાકમાં કાચું ચિકન અપાય છે, જે એક જ સપ્લાયર પાસેથી મેળવવામાં આવે છે, તેથી કાચું ચિકન દૂષિત હોય એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. CDV કુદરતી રીતે ચિકનમાં હોતો નથી, પણ ચિકન બાહ્ય દૂષણ દ્વારા વાઇરસનું વહન કરી શકે છે. પશુચિકિત્સકો કહે છે કે આ વાઇરસનો ચેપ લાગે તો પણ એના લક્ષણો વાઘમાં મોડા દેખાય છે, તેથી પાર્કના વાઘને ચેપ લાગ્યાની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
72 વાઘના મોત પછી સરકાર સફાળી જાગી
- પાર્કને 14 દિવસ માટે બંધ કરી દેવાયો છે અને ત્યાં સંપૂર્ણ સફાઈ અને ડિસઇન્ફેક્શન કરાઈ રહ્યું છે.
- બચેલા વાઘોને વેક્સિન અપાઈ રહી છે.
- મૃત વાઘોના અવશેષોને પરીક્ષણ કર્યા પછી દફનાવી દેવાયા છે, જેથી તેમના અંગોની તસ્કરી ન થાય.
- CDVનો ચેપ સ્ટાફને લાગ્યો હોવાની આશંકામાં તમામને 21 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રખાયા છે.
વાઘ પર ત્રાટકેલી આફતના કારણો આ પણ છે
PETA અને 'વાઇલ્ડલાઇફ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન'ના જણાવ્યા મુજબ ઓછી જગ્યામાં વધુ પ્રાણીઓને રાખવાથી અને પર્યટકો સાથે સંપર્કમાં લાવવાને કારણે કોઈપણ પ્રકારના વાઇરસ સરળતાથી ફેલાતા હોય છે. પાર્ક જેવા સ્થળે વાઘ જેવું પ્રાણી સતત તણાવ અનુભવે છે. આ દરમિયાન સગપણના સંબંધમાં રહેલા પ્રાણીઓ(જેમ કે ભાઈ-બહેન, માતા-પિતા અને તેમના બચ્ચાં) વચ્ચે પણ પ્રજનન થાય છે, જેને લીધે નવા જન્મતાં બચ્ચાંની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને તેઓ સરળતાથી વાઇરસનો શિકાર બની જાય છે. પ્રાણી સંસ્થાઓએ પર્યટકોને આવા પાર્કમાં ન જવા અને વન્યજીવોના મનોરંજન માટેના વ્યવસાયને ટેકો ન આપવા અપીલ કરી છે.
અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે
- 2004માં ચોનબુરી પ્રાંતના એક વાઘ પાર્કમાં કાચા ચિકનથી બર્ડ ફ્લૂ ફેલાતા 147 વાઘ મૃત્યુ પામ્યા હતા.
- 2016માં વર્લ્ડ એનિમલ પ્રોટેક્શનના અહેવાલમાં થાઈ વાઘ પર્યટનમાં વ્યાપક ક્રૂરતા સામે આવી હતી. ત્યાં આશરે 830 વાઘ કેદમાં હતા અને તેમને ખરાબ સ્થિતિમાં રખાતા હતા. આ ઘટના વાઘ પર્યટન ઉદ્યોગ પર નવા પ્રશ્નો ઉઠાવે છે.
તાજેતરમાં બનેલી ઘટનાની તપાસ પૂરી થયા પછી વધુ સ્પષ્ટતા મળશે. હાલમાં પાર્ક બંધ છે અને અધિકારીઓ વાઘોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે.









