Mumbai Ganesh Visarjan : મુંબઈમાં ગણેશ ભક્તોની સાથે પોલીસે પણ ગણેશ વિસર્જનની ધમધોકાટ તૈયારી કરી દીધી છે. આવતીકાલે (6 સપ્ટેમ્બર) અનંત ચતુર્દશીના પાવન અવસરે શહેરમાં ભગવાન ગણેશની મૂર્તિઓના ભવ્ય વિસર્જનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે લગભગ 7000 સાર્વજનિક ગણેશ પ્રતિમાઓ અને ઘરે બિરાજમાન કરાયેલા દોઢ લાખથી વધુ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થવાનું છે. આ ભવ્ય આયોજનને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક અને જોરદાર વ્યવસ્થા ગોઠવી છે. સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું કે 21000થી વધુ પોલીસકર્મીઓ ફરજ પર તૈનાત રહેશે.
સુરક્ષા માટે કડક બંદોબસ્ત અને ટેકનોલોજીનો ઉપયોગ
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 10 એડિશનલ કમિશનર, 40 ડીસીપી, 3000 ઈન્સ્પેક્ટર અને 15000 કોન્સ્ટેબલોને બંદોબસ્તમાં સામેલ કરાયા છે. આ ઉપડાંત રાજ્ય રિઝર્વ પોલીસ દળની 14 કંપનીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળની ચાર કંપનીઓ, ક્વિક રિસ્પોન્સ ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ તૈનાત રહેશે. આ વર્ષે પોલીસ દ્વારા રૂટ મેનેજમેન્ટ અને ટ્રાફિક અપડેટ્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવશે.
ડ્રોન અને CCTVથી સુરક્ષા પર નજર
શહેરભરમાં 10 હજાર સીસીટીવી કેમેરાથી અને ડ્રોનથી ભીડ પર નજર રાખવામાં આવશે. જ્યારે ખાનગી ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. વિસર્જન સ્થળો પર ખાસ લાઈફગાર્ડ્સ પણ તૈનાત રહેશે અને નાગરિકોની મદદ કરવા માટે પોલીસ કંટ્રોલ રૂમનો 112 નંબર પર સંપર્ક કરી શકશે.
આ પણ વાંચો : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી... 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ
આતંકી હુમલાની ધમકી બાદ સુરક્ષા હાઈ એલર્ટ પર
હાલ મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે. તાજેતરમાં પોલીસને એક ધમકીવાળો મેસેજ મળ્યો હતો જેમાં 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા હોવાનો અને 400 કિલોગ્રામ RDXનો ઉપયોગ કરીને મુંબઈમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દીધી છે.
ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફાર
વિસર્જન શોભાયાત્રાને કારણે શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. પદ્મશ્રી ગોવર્ધન બાફના ચોકથી વિનોલી જંકશન અને નવજીવન જંકશનથી કૈલાશવાસી ગજાનન વર્તક ચોક જેવા મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બંધ રહેશે. દક્ષિણ મુંબઈ તરફ જતા વાહનોને છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.


