India

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'તમામ પક્ષ સંયમ રાખે'

By GS TEAM
28 Feb 20263 mins read
TukuTouch Logo
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ભારત સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ મંત્રાલયે શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં ઈરાન અને ખાડી ક્ષેત્રમાં સર્જાયેલા હાલના ઘટનાક્રમને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'તમામ પક્ષ સંયમ રાખે'

Iran Israel War: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ભારત સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ મંત્રાલયે શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં ઈરાન અને ખાડી ક્ષેત્રમાં સર્જાયેલા હાલના ઘટનાક્રમને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. 

તમામ પક્ષોને સંયમ જાળવે: ભારત સરકાર

ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરતાં તમામ પક્ષોને સંયમ જાળવવાની અપીલ કરી છે, કહ્યું છે કે તણાવ વધતો રોકવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા મળવી જોઈએ. મૂળ મુદ્દાઓના સમાધાન માટે સંવાદ અને કૂટનૈતિક રસ્તો અપનાવવો જોઈએ. તમામ દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન જળવાવું જોઈએ. 


સ્થાનિક તંત્રની સૂચનાનું પાલન કરો: ભારત સરકાર

આ ઉપરાંત ભારતના વિદેશ મંત્રાલયે પ્રભાવિત નાગરિકોનો સંપર્કમાં હોવાનું કહી યોગ્ય એડવાઈઝરી જાહેર કરી તેનું પાલન કરવા અપીલ કરી છે. તેમજ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રના નિર્દેશોનું પાલન કરવાની સૂચના આપી છે. 

આ પણ વાંચો: ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ કયા દેશનું કોને સમર્થન? પાકિસ્તાનના સૂર બદલાયા

ઈરાનના સંરક્ષણ મંત્રી અમિર હાતમી અને ઈરાની સેનાના કમાન્ડર માર્યા ગયા: સૂત્ર

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રોયટર્સના અહેવાલ અનુસાર, 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) અંતર્ગત કરવામાં આવેલા ચોકસાઈપૂર્વકના મિસાઈલ હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી અમીર હાતમી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વડા મોહમ્મદ પાકપુર માર્યા ગયા છે. આ ઓપરેશનમાં ઈરાનના પરમાણુ મથકો અને ટોચના નેતૃત્વને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ઈરાનની ન્યાયપાલિકાના વડા ગુલામ-હુસૈન મોહસેની-એજેઈ પણ ઠાર થયા હોવાના અહેવાલ છે. જોકે, આ અંગે ઈરાન કે ઇઝરાયલ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી.

રશિયાના વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રી સાથે કરી વાત

યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી લાવરોવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે વાતચીત કરી છે. રશિયાએ ઈરાન પર થયેલા હુમલાની નિંદા કરી છે. રશિયાએ કહ્યું કે, 'આ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે.'

50થી વધુ વિદ્યાર્થીના મોતની આશંકા

ઈરાનના શહેર મિનાબમાં આવેલી એક ગર્લ્સ સ્કૂલ પર કથિત ઇઝરાયલી હુમલામાં 50થી વધુ વિદ્યાર્થીના મોત થયા છે. સરકારી સમાચાર એજન્સી IRNAના અનુસાર, આ હુમલામાં અંદાજિત 60 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારી મોહમ્મદ રદમેહરે કહ્યું કે, હુમલાના સમયે સ્કૂલમાં લગભગ 170 વિદ્યાર્થી હાજર હતા. રાહત અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે. હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સ્કૂલ પર થયેલા હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ વિદ્યાર્થિનીઓના મોતે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈઝરાયલની કાર્યવાહી પર સવાલ ઉભા થયા છે.

ઈરાનનો ચોંકાવનારો દાવો

ઈરાન ખુદ પર થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તે અમેરિકન ઠેકાણાઓ અને ઇઝરાયલ પર સતત હુમલા કરી રહ્યું છે. આ વચ્ચે તેણે એક મોટો દાવો કરતા અમેરિકાને ધમકી આપી છે. ઈરાની સેનાએ કહ્યું છે કે, હજુ તો અમે જૂના હથિયારોનો ઉપયોગ કર્યો છે. નવા તો ટ્રમ્પે હજુ જોયા પણ નથી.