Get The App

દિવાળીએ મુંબઈમાં હોનારત, ઇમારતના 3 માળ આગમાં લપેટાતા 6 વર્ષની બાળકી સહિત 4ના મોત

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
દિવાળીએ મુંબઈમાં હોનારત, ઇમારતના 3 માળ આગમાં લપેટાતા 6 વર્ષની બાળકી સહિત 4ના મોત 1 - image

Mumbai Fire News: આખો દેશ જ્યારે દિવાળીના દીવડાઓ અને રોશનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે નવી મુંબઈના વાશી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. સોમવારે મોડી રાત્રે વાશી સેક્ટર-14માં આવેલી રહેજા રેસીડેન્સી નામની હાઇ-રાઇઝ સોસાયટીમાં ભીષણ આગ ફાટી નીકળતાં 6 વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા ચાર લોકોના દર્દનાક મોત થયા છે. આ ઘટનામાં અન્ય 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચોઃ 'આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના...' પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ

ઇમારતના ત્રણ માળ આગમાં લપટાયા 

મળતી માહિતી મુજબ, આગ બિલ્ડિંગના 10મા, 11મા અને 12મા માળે લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેણે જોતજોતામાં ઉપરના માળને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઊંચી ઇમારત હોવાના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ EPFOના આવા નિયમ ખાતાધારકોને નથી મંજૂર! 100% PF ઉપાડનો નિયમ ગણાવે છે ભ્રામક

આગ લાગવાનું કારણ શું હતું?  

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, ફાયર બ્રિગેડના અધિકારીઓ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે દિવાળીના તહેવારને કારણે કોઈ ફટાકડાનું રોકેટ બાલ્કનીમાં પડવાથી તો આગ નથી લાગી ને. મૃતકોમાં 12મા માળે રહેતી એક 6 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. ઘાયલોને નજીકની મનપા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગ ઓપરેશન ચાલુ છે અને પોલીસ આ દુર્ઘટનાના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે.