કાશ્મીર-લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ દર્શાવતો નક્શો બહાર પડાયો
- 31મીથી જમ્મુ કાશ્મીર-લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા
- પીઓકેના મુઝફ્ફરાબાદનો જમ્મુ-કાશ્મીરમાં અને અકસાઈ ચીનનો લદ્દાખમાં સમાવેશ
શ્રીનગર, તા. 2 નવેમ્બર, 2019, શનિવાર
જમ્મુ કાશ્મીર અને લદ્દાખને નવા કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. જે સાથે જ તેનો અમલ પણ ગત 31મી ઓક્ટોબરે કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે હવે દેશનો નવો નક્શો સરકાર દ્વારા જારી કરવામા આવ્યો છે જેમાં આ બન્ને પ્રાંતને કેન્દ્ર શાસિત પ્રદેશ દર્શાવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ દર્શાવતા બન્નેના નક્શાને જારી કરી દીધો છે. મહત્વપૂર્ણ એ છે કે આ નક્શામાં મુઝફ્ફરાબાદને પણ સામેલ કરી લેવામાં આવ્યું છે.
જ્યારે લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશમાં અક્સાઇ ચીનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારનું માનવુ છે કે આ નક્શામાં જે વાસ્તવીક સ્થિતિ છે તેને દર્શાવવામાં આવી છે. આર્ટિકલ 370ને ગત ઓગસ્ટ મહિનામાં જ નાબૂદ કરી દેવામાં આવી હતી.
જે સાથે જ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષ અધિકારોનો પણ અંત આવ્યો હતો અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયું હતું સાથે લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવાયું છે. સાથે જ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા ઉપ રાજ્યપાલની પણ વરણી કરવામાં આવી છે.
એટલે કે સરકારે આ બન્ને પ્રાંતમાં પોતાની કામગીરીને શરૂ કરી દીધી છે. આ પહેલા ભાજપ અધ્યક્ષે દાવો કર્યો હતો કે યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ કાશ્મીરને જે સ્થિતિમાં ત્યાંની વિધાનસભા હતી તે જ સ્થિતિમાં લાગુ કરવામાં આવશે.