મોહરમ : મધ્યપ્રદેશમાં તાજિયામાં કરંટથી 3ના મોત, 20 દાઝ્યા; બિહારના અથડામણમાં 15ને ઇજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Muharram 2026: દેશભરના વિવિધ રાજ્યોમાંથી મોહરમના સરઘસો દરમિયાન થયેલા અકસ્માતો અને વિવાદોની તસવીરો સામે આવી છે. બિહારના શિવહરમાં મોહરમની તૈયારી કરી રહેલા બે અખાડાને રસ્તો આપવાના વિવાદે ઝડપથી હિંસક અથડામણમાં પરિણમી હતી. જેમાં બંને પક્ષોએ પથ્થરમારો અને લાકડીઓનો ઉપયોગ કરતા 10 થી 15 લોકો ઘાયલ થયા હોવાનું જણાય છે. જ્યારે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના હટનારા ગામમાં, એક તાજિયા સરઘસને એક દુ:ખદ અકસ્માતનો સામનો કરવો પડ્યો. જેમાં 10 ફૂટ ઉંચો તાજિયા હાઇ-ટેન્શન પાવર લાઇનના સંપર્કમાં આવતા ઇલેક્ટ્રિક કરંટ ફેલાયો હતો. આ દુર્ઘટનાને લઈને સરઘસમાં અરાજકતા ફેલાઈ હતી, જેના કારણે ત્રણ લોકોના મોત થયા અને લગભગ 20 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. બીજી તરફ, ઉજ્જૈનના બડનગરમાં મોહરમ સરઘસ દરમિયાન એક ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં લગભગ 40 ફૂટની ઊંચાઈએ ક્રેનમાંથી ટાટા મેજિક વાન હવામાં લટકાવવામાં આવી અને ધડાકા સાથે ઉડાવી દેવામાં આવી હતી.
બિહારના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
બિહારના શિવહર જિલ્લામાં મોહરમની તૈયારીઓ દરમિયાન યોજાયેલા અખાડાઓના પ્રથા શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચેનો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાયો હતો. મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારમાં લેબર ચોક પાસે વોર્ડ નંબર 7 ના ઇસ્લામિયા અખાડા અને વોર્ડ નંબર 8 ના મન્સૂરિયા અખાડા વચ્ચે રસ્તો આપવા અને ક્રોસ કરવા અંગે દલીલ થયા બાદ ગાંધી ચોક પાસે બંને જૂથો ફરીથી અથડાયા હતા. જેમાં થોડીવારમાં જ બંને પક્ષોએ લાકડીઓ અને ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો.
10 થી 15 લોકો ઘાયલ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લગભગ એક કલાક સુધી આ વિસ્તારમાં માહોલ ગરમ રહ્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના 10 થી 15 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અથડામણ સમયે ઘટનાસ્થળે લગભગ 150 થી 200 લોકો હાજર હતા. સમગ્ર ઘટનામાં બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા હતા.
પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી
માહિતી મળતાં, બે જૂથ વચ્ચે અથડામણને લઈને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસનું કહેવું છે કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવાના આધારે ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં હાઇ-ટેન્શન લાઇન સાથે અથડાયું તાજિયા સરઘસ
મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના પીપલોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હતનારા ગામમાં મોહરમ સરઘસ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. આશરે 10 ફૂટ ઉંચો તાજિયા પંચમુખી મહાદેવ મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનો ઉપરનો ભાગ 11 kV હાઇ-ટેન્શન પાવર લાઇનના સંપર્કમાં આવતા કરંટ લાગ્યો હતો. જેમાં તાજિયા લઈ જતા લોકો તેની ચપેટમાં આવી ગયા અને આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે આશરે 20 લોકો દાઝ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રતલામ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સમયે અંદાજે 200 લોકો સરઘસમાં હતા. અકસ્માતથી આખું ગામ સ્તબ્ધ થઈ ગયું હતું.
ઉજ્જૈનમાં ક્રેનથી 40 ફૂટ ઉપર લટકાવી વાન
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહરમના શોભાયાત્રા દરમિયાન એક ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં ટાટા મેજિક વાનને ક્રેનથી હવામાં આશરે 40 ફૂટ ઉંચી લટકાવવામાં આવી છે. બે યુવાનો લાલ ઝંડા લહેરાવતા જોવા મળે છે અને થોડીવાર પછી વાહનને જોરદાર વિસ્ફોટ સાથે ઉડાવી દેવામાં આવે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની વ્યાપક ટીકા થઈ રહી છે.
સંતોએ સવાલ ઉઠાવ્યા, પોલીસે તપાસ શરૂ કરી
હરિદ્વારના સંત સ્વામી શિવાનંદ ગિરિએ આ ઘટના પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, જ્યારે અન્ય કાર્યક્રમોમાં ફટાકડા ફોડવા અને વિસ્ફોટક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે ત્યારે આવા પ્રદર્શન માટે કઈ પરવાનગી આપવામાં આવી. હિન્દુ જાગરણ મંચના અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, વાહન પર વાંધાજનક પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા.
પોલીસે શું કહ્યું?
બડનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, વાઈરલ વીડિયો પોલીસ નિયંત્રણ હેઠળ છે. આયોજકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિસ્ફોટ માટે વપરાયેલી સામગ્રી અને વહીવટીતંત્ર પાસે પરવાનગી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વહીવટીતંત્રની અપીલ
આ ઘટનાઓ બાદ, સંબંધિત જિલ્લાઓના વહીવટીતંત્રે જનતાને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે, તમામ કેસોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે, તેમજ કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારા અથવા બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.








