રાજસ્થાનમાં 400 બંગાળીઓને કસ્ટડીમાં લેવાતા મમતા બેનરજી ભડક્યા, ભાજપ શાસિત રાજ્યો પર લગાવ્યો ગંભીર આક્ષેપ
Rajasthan-West Bengal Political News : રાજસ્થાનમાં 400 બંગાળીઓને કસ્ટડીમાં લેવાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે મંગળવારે (24 જૂન) કહ્યું કે, ‘કેટલીક ભાજપ શાસિત રાજ્યોની પોલીસ પશ્ચિમ બંગાળના બંગાળી ભાષી લોકોને ગેરકાયદે બાંગ્લાદેશી અપ્રવાસી ગણાવી કસ્ટડીમાં લઈ રહ્યા છે. અમને માહિતી મળી છે કે, ઈટાહાર (બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા ઉત્તર બંગાળના કૂચ બિહાર જિલ્લો)ના 300-400 લોકોને રાજસ્થાનમાં એક ઘરમાં બળજબરીથી બંધ કરાયા છે. તેઓ બંગાલી ભાષા બોલતા હોવાથી તેઓને બાંગ્લાદેશી ગણાવ્યા છે. જોકે તેઓએ પોતાનો ઓળખપત્ર દેખાડ્યા છે.’
પશ્ચિમ બંગાળના નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે : મમતા
તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી (CM Mamata Banerjee)એ કહ્યું કે, ‘હું રાજસ્થાનમાં બંગાળીઓને થયેલી હેરાનગતીની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સુધી પહોંચાડીશ. ભાજપ શાસિત રાજ્યો દ્વારા બંગાળી બોલનારા લોકોને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યા છે. ભાજપ શાસિત રાજ્યોમાં પશ્ચિમ બંગાળના વાસ્તવિક નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : અમે ચર્ચા માટે તૈયાર, તારીખ અને સમય ઈમેલ કરો: રાહુલ ગાંધીને ચૂંટણી પંચનો જવાબ
‘બંગાળી બોલવું ગુનો હોય તો, કેન્દ્ર ભાષા પર પ્રતિબંધ લગાવે’
તેમણે કહ્યું કે, ‘માર્ચ 1971 (પૂર્વ પાકિસ્તાન બાંગ્લદેશ તરીકે અલગ દેશ બન્યો) બાદ બાંગ્લાદેશથી ભારત આવેલો કોઈપણ વ્યક્તિ ભારતીય નાગરિક છે. જો બંગાળી બોલવું ગુનો છે, તો કેન્દ્ર સરકારે તે ભાષા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. આ ભાષા રવિન્દ્રનાથ ટાગોર અને સુભાષ ચંદ્ર બોઝ પણ બોલતા હતા. અમારા ત્યાં 15 મિલિયન પ્રવાસી શ્રમિકો છે. અમારા ત્યાં અન્ય રાજ્યના લોકો પણ કામ કરે છે, તો શું તે ગુનો છે? મધ્યપ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં પણ આવી ઘટનાઓ બની છે.’
‘રાજસ્થાનમાં 400 બંગાળીઓને કસ્ટડી લેવાયા’
વાસ્તવમાં ઈટાહારના ટીએમસી ધારાસભ્ય મુસર્રફ હુસૈને આક્ષેપ કર્યો છે કે, ‘રાજસ્થાન તંત્ર દ્વારા કથિત રીતે કસ્ટડીમાં લેવાયેલા લોકોને ભિવાડી શહેરમાં આંબેડકર ભવન નામના એક ઘરમાં રાખ્યા છે. હુસૈને કહ્યું કે, તેમણે આ મામલો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અમારા ધારાસભ્ય મુશર્રફ હુસૈનના વિસ્તારના લોકો રાજસ્થાનમાં કામ કરવા માટે ગયા હતા, તેઓ હંમેશા ત્યાં જ કામ કરે છે. સમાચાર મળ્યા છે કે, પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. બંગાળીઓને રાજસ્થાનના બેવરી વિસ્તારમાં આંબેડકર ભવનમાં કસ્ટડીમાં લેવાયા છે. ધારાસભ્યએ દાવો કર્યો છે કે, લગભગ 400 બંગાળીઓને કસ્ટડીમાં લેવાયા છે. તેઓએ પોતાનું આધાર કાર્ડ અને મતદાન કાર્ડ દેખાડ્યું હતું, પછી તેમને છોડી મુકવામાં આવ્યા છે.’ મમતા બેનરજીએ બંગાળના મુખ્ય સચિવને હસ્તક્ષેપ કરવાની અને રાજસ્થાનના મુખ્ય સચિવને કસ્ટડીમાં લેવાયેલો બંગાળી શ્રમિકોને છોડવા માટે વાત કરવાનો નિર્દેશ આપ્યો છે.