મુંબઈમાં ઠાકરે બંધુઓ એક થઈને ભાજપને ટક્કર આપી શકશે? જાણો MNSની રાજકીય સફર
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણી મુદ્દે મેની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિફિકેશન જાહેર કરવા આદેશ આપ્યો હતો. બીએમસી ચૂંટણી આ વખતે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના (યુબીટી) માટે અત્યંત મહત્ત્વની છે. બીજી બાજુ મનસેના ચીફ રાજ ઠાકરે પણ રાજકારણમાં અત્યંત લોકપ્રિય છે. આ બંને બંધુઓ ફરી પાછા એક થવાની અટકળો વેગવાન બની છે. જો આ બંધુઓ એક થયા તો ભાજપને મજબૂત ટક્કર મળવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.
ભાજપના મનસે સાથે ગઠબંધનના પ્રયાસો
હાલમાં જ મનસેના ચીફ રાજ ઠાકરેએ 12 જૂનના રોજ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે આશ્ચર્યજનક બેઠક કરી હતી. જો કે, આ બેઠકમાં જોડાણનો કોઈ નિર્ણય લેવાયો ન હોવાનું સ્વંય રાજ ઠાકરેએ જણાવ્યું હતું. બીજી બાજુ ભાજપે પણ મોટું નિવેદન આપ્યું હતું કે, અમારા દ્વાર મનસે માટે ખુલ્લા છે. જેમાં રાજ ઠાકરેની ભૂમિકા મહત્ત્વની હોઈ શકે છે. કારણકે, રાજ ઠાકરેની મોટી વોટ બેન્ક મરાઠા છે. આ જ વોટ બેન્ક ઉદ્ધવ પાસે પણ છે.
આ પણ વાંચોઃ ભાજપમાં જોડાશે શશી થરૂર? કહ્યું- કોંગ્રેસમાં મારા મતભેદ છે, પક્ષમાં જ ચર્ચા કરીશ
મનસેની રાજકીય સફર
હાલના રાજકીય વિકાસથી તમામ પક્ષો માટે અનિશ્ચિતતા વધી છે, પરંતુ 2009 માં પહેલી લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડ્યા પછી MNSનો રાજકીય પ્રભાવ મર્યાદિત રહ્યો છે. મનસે હજુ સુધી એક પણ લોકસભા બેઠક જીતી શકી નથી અને તેની પહેલી ચૂંટણીમાં તેનો મત હિસ્સો 4.1% હતો. જો કે, વિધાનસભા ચૂંટણીમાં, મનસેએ 13 બેઠક જીતીને સારી શરૂઆત કરી હતી. ત્યારબાદ ફરી તેનું ભાગ્ય ખરાબ થયુ હતું. 2014 અને 2019માં ફક્ત એક-એક બેઠક જીતી હતી અને 2024માં તે શૂન્ય થઈ હતી. તેમ છતાં મનસેએ અત્યાર સુધીની ત્રણેય મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું છે.
2006થી 2009ની ચૂંટણી પર અસર
2006થી 2009 દરમિયાન મનસે દ્વારા લડવામાં આવેલી મ્યુનિસિપલ ચૂંટણીઓના પહેલા તબક્કામાં પક્ષે 12 કોર્પોરેશનમાંથી 45 બેઠકો પર વિજય મેળવ્યો હતો. અને કુલ મત હિસ્સો 5.87% હતો. મહારાષ્ટ્રમાં 22 કોર્પોરેશનોમાં કુલ 2118 બેઠક છે. જેમાં મનસેએ નાસિકમાં પ્રભાવ પાડ્યો હતો. ત્યાં પક્ષે કુલ 108 બેઠકોમાંથી 12 બેઠકો 12.97% વોટ શેર સાથે જીતી હતી, ત્યારબાદ પુણેમાં 144 બેઠકોમાંથી 8 બેઠક 7.74% વોટ શેર સાથે બીજા ક્રમે રહી હતી. મનસેને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં 10.43% વોટ શેર મળ્યો હતો.
આ પણ વાંચોઃ રાજા રઘુવંશી કેસમાં વધુ એક યુવતીની એન્ટ્રી, પોલીસે કરી રહી છે પૂછપરછ, જાણો મામલો
અવિભાજિત શિવસેના અને કોંગ્રેસ બેઠકોની દ્રષ્ટિએ નાસિક અને બૃહદ મુંબઈમાં સૌથી મોટા પક્ષો હતા, જ્યારે અવિભાજિત NCP પુણેમાં સૌથી આગળ હતી. નાસિક અને બૃહદ મુંબઈમાં મનસેનો મત હિસ્સો ભાજપ કરતાં વધુ હતો. 2006 થી 2009 દરમિયાન યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં અંતિમ વિશ્લેષણ દર્શાવે છે કે મનસે દ્વારા જીતવામાં આવેલી કુલ 45 બેઠકમાંથી, શિવસેના અને NCP તેના મુખ્ય હરીફ હતા. જોકે, મનસે કુલ 63 બેઠકમાં બીજા ક્રમે રહ્યું હતું. 25 શિવસેનાએ, 13 કોંગ્રેસે, 12 NCP અને સાત બેઠક ભાજપે જીતી હતી. આ ચૂંટણીઓમાં બેઠકોની સંખ્યાની દ્રષ્ટિએ, મનસે અને શિવસેનાને ગઠબંધનથી સૌથી વધુ ફાયદો થયો હતો.
2014-2019 સુધીનો મનસેનો રાજકીય રેકોર્ડ
2014થી 2019 દરમિયાન મહારાષ્ટ્રમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીઓમાં મનસેની કારમી હાર થઈ હતી. તેના શહેરી વિસ્તારોમાં પ્રભાવ ઘટ્યા હતાં. 27 કોર્પોરેશનમાંથી 21માં ચૂંટણી લડનારી મનસે કુલ 2736 બેઠકમાંથી માત્ર 26 બેઠક જ જીતી શકી હતી. એક સિવાયની તમામ કોર્પોરેશનમાં મનસેની જીતેલી બેઠકોમાં ઘટાડો થયો હતો. કલ્યાણ-ડોમ્બિવલીમાં માત્ર નવ બેઠક અને બૃહદ મુંબઈમાં સાત અને નાસિકમાં પાંચ બેઠક સાથે તેનો પ્રભાવ સમેટાઈ ગયો હતો. શિવસેના અને ભાજપે મુંબઈ અને કલ્યાણ-ડોમ્બિવલીમાં અનુક્રમે 84-82 અને 52-42 બેઠક સાથે વર્ચસ્વ વધાર્યુ હતું. નાસિકમાં ભાજપને 66 બેઠકો મળી હતી.