ભાજપમાં જોડાશે શશી થરૂર? કહ્યું- કોંગ્રેસમાં મારા મતભેદ છે, પક્ષમાં જ ચર્ચા કરીશ
Shashi Tharoor: ઓપરેશન સિંદૂર વિશેની સચોટ માહિતી વિશ્વ સુધી પહોંચાડવાના કેન્દ્ર સરકારના ડેલિગેશન મિશન બાદ કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અને તેમના પક્ષ કોંગ્રેસ વચ્ચે અંતર સતત વધી રહ્યું છે. થરૂરે પણ સ્વીકાર્યું છે કે, અનેક મુદ્દાઓ પર તેમના વિચાર પક્ષથી અલગ છે. જેથી થરૂર અને કોંગ્રેસ વચ્ચે વધી રહેલું અંતર પક્ષ પલટાનો સંકેત આપી રહ્યું છે.
સમય આવશે ત્યારે વાત કરીશઃ થરૂર
હાલમાં જ શશિ થરૂરે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસ સાથે કામ કરી રહ્યો છું. પક્ષની સાથે મારા કેટલાક મતભેદો છે. હું પક્ષ સાથે આ મુદ્દે ચર્ચા કરીશ. પરંતુ હાલ આ સમય નથી. સમય આવશે ત્યારે વાત કરીશ. (પક્ષના જવાબદાર લોકો) સાથે મળીને આ મુદ્દે ચર્ચા કરીશ. વડાપ્રધાન સાથે માત્ર સાંસદોના ડેલિગેશન મિશન સંબંધિત ચર્ચા થઈ હતી. જ્યારે પણ દેશ માટે કોઈ મુદ્દો ઉઠે ત્યારે આપણી જવાબદારી છે કે, આપણે દેશની સાથે ઉભા રહીએ. જ્યારે પણ દેશને મારી સેવાની જરૂર પડશે, હું હંમેશા તત્પર રહીશ.
આ પણ વાંચોઃ FASTag પાસની જાહેરાત પછી મોટો સવાલ, એન્ટ્રી અને એક્ઝિટ જુદી જુદી ટ્રીપ ગણાશે? જાણો જવાબ
ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકાર દ્વારા આ ડેલિગેશન મિશનમાં થરૂરની પસંદગી થતાં કોંગ્રેસના અમુક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતાઓએ થરૂરની ટીકા કરી હતી કે, વિદેશ જનારા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસે થરૂરની ભલામણ ન કરી હોવા છતાં તેમની પસંદગી થઈ અને થરૂર વિશ્વમાં જઈને PM મોદી સરકારની વાહવાહી કરી રહ્યા છે.
PM મોદીના વખાણથી અટકળો વહેતી થઈ
શશિ થરૂરે ડેલિગેશન મિશન દરમિયાન અનેક સ્થળોએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. તેમણે એસ. જયશંકરને વિદેશ મંત્રી અને અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રી બનાવવાના નિર્ણય પર પણ આનંદ વ્યક્ત કર્યો હતો. આ બંને નેતા શશિ થરૂરના સારા મિત્ર છે. ત્યારબાદ થરૂર સમય-સમય પર વડાપ્રધાન મોદી અને તેમના નિર્ણયોના વખાણ કરતાં જોવા મળ્યા હતા. ભારતના સર્વદળીય પ્રતિનિધિમંડળમાં સામેલ થરૂરે પનામામાં 2016 અને 2019ની સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેથી કોંગ્રેસ નેતા ઉદિત રાજ થરૂરથી નારાજ થયા હતા. તેમણે ટીકા કરતાં થરૂરને ભાજપના પ્રવક્તા ગણાવ્યા હતા.