Mumbai Train Accident : મુંબઈના મુખ્ય રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે ગુરુવારે સાંજે (6 નવેમ્બર) રેલવે કર્મચારીઓની હડતાળના કારણે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાતાં એક દર્દનાક અકસ્માત થયો હતો. સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર ચાલી રહેલા મુસાફરોને એક તેજ ગતિવાળી ટ્રેને ટક્કર મારતાં ત્રણ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
હડતાળના કારણે હજારો મુસાફરો ટર્મિનસ પર ફસાયા
આ ઘટના ગુરુવારે સાંજે 5.50 વાગ્યાથી 6.45 વાગ્યાની વચ્ચે બની હતી. આજે રેલવે કર્મચારીઓએ ટર્મિનસ પર કામ બંધ કરીને હડતાળ કરી હતી. આ વિરોધ પ્રદર્શન મુમ્બ્રા અકસ્માતના સંબંધમાં બે એન્જિનિયરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRના વિરોધમાં કરવામાં આવ્યો હતો. લગભગ એક કલાક સુધી ટ્રેન સેવાઓ સ્થગિત રહેતા હજારો મુસાફરો ટર્મિનસ સ્ટેશન પર ફસાયા હતા.
આ પણ વાંચો : બિહારમાં બમ્પર વોટિંગે તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા તબક્કામાં 64.46 ટકા મતદાન
ભીડના કારણે ટ્રેકના કિનારે ચાલતી વખતે દુર્ઘટના બની
ટ્રેન સેવાઓ ઠપ થતાં અને સ્ટેશન પર ભારે ભીડ જમા થવાના કારણે કેટલાક મુસાફરો ટ્રેકના કિનારે અને ટ્રેક પર ચાલીને આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન અંબરનાથ ફાસ્ટ લોકલ ટ્રેન તેજ ગતિએ આવી અને ટ્રેક પર ચાલી રહેલા ચાર મુસાફરોને અથડાઈ હતી. આ અકસ્માતમાં કુલ ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાના અને એક વ્યક્તિને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તાત્કાલિક પોલીસ અને રેલવે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. રેલવે દ્વારા હજુ સુધી સત્તાવાર મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી.
મુસાફરો પાટા પર ચાલી રહ્યા હતા : રેલવે અધિકારી
સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ સ્વપ્નિલ નીલાએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘મુંબઈ સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પર ટ્રેનની ટક્કરથી ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તેઓ પાટા પર ચાલી રહ્યા હતા અને ત્યારે ટ્રેન આવી ગઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.’


