Supreme Court on Ravi Uppal: ₹6000 કરોડથી વધુના મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડના આરોપી રવિ ઉપ્પલના દુબઈમાંથી ભાગી જવાને કારણે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને આ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલને શોધીને ધરપકડ કરવા માટે આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, વ્હાઇટ કોલર આરોપીઓને અદાલતો અને તપાસ એજન્સીઓને 'રમકડાંની જેમ ઉપયોગ' કરવા દેવામાં આવશે નહીં.
આરોપી દુબઈથી અજ્ઞાત સ્થળે ફરાર
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આરોપી ઉપ્પલ કાયદાથી બચી જતાં ગંભીર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, 'આ કોર્ટના વિવેકને હચમચાવે છે, હવે કંઈક કરવું જ પડશે.' એવું કહેવાય છે કે ભારતમાં તપાસ એજન્સીઓથી બચી રહેલો ઉપ્પલ દુબઈથી કોઈ અજ્ઞાત સ્થળે ભાગી ગયો છે, જેના કારણે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અધિકારીઓએ તેની પ્રત્યાર્પણ પ્રક્રિયા અટકાવી દીધી છે.
EDને તાત્કાલિક ધરપકડનો આદેશ
આ મામલે કોર્ટે સખત ટકોર કરતાં કહ્યું કે, 'આવા ગુનેગારો માટે અદાલતો અને તપાસ એજન્સીઓ ફક્ત રમકડાં બનીને નથી રહી શકતી. EDએ તેને વહેલી તકે શોધીને ધરપકડ કરવી જોઈએ.' સર્વોચ્ચ અદાલત રવિ ઉપ્પલ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં તેણે છત્તીસગઢ હાઈકોર્ટના 22 માર્ચના આદેશને પડકાર્યો હતો, જેણે ઉપ્પલને રાયપુરની નીચલી અદાલતમાં ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસની કાર્યવાહીમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
વકીલને પરત ફરવા સમજાવવાનો નિર્દેશ
ED વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કોર્ટને જણાવ્યું કે, ઉપ્પલ 2023માં દુબઈમાં કસ્ટડીમાં હતો, પણ હવે તે ત્યાંથી ભાગી ગયો છે. તેમણે એ પણ ઉમેર્યું કે આવા આર્થિક ગુનેગારો સામાન્ય રીતે એવા દેશોમાં છુપાઈ જાય છે જેમની સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ નથી, જેમ કે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ. ઉપ્પલના વકીલે સમય માંગતા, બેન્ચે આ કેસની આગામી સુનાવણી 14 નવેમ્બર પર નક્કી કરી. બેન્ચે વકીલને સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે તે ઉપ્પલને ભારત પરત આવીને કાયદેસર કાર્યવાહીનો સામનો કરવા માટે સમજાવે.
ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી
નોંધનીય છે કે, ડિસેમ્બર 2023માં ઇન્ટરપોલ નોટિસના આધારે ઉપ્પલની દુબઈમાં અટકાયત થઈ હતી, પરંતુ પાછળથી તેને નિરીક્ષણ હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો. EDના મતે, ઉપ્પલ અને તેના સાથી સૌરભ ચંદ્રાકરે 2018માં મહાદેવ સટ્ટાબાજી એપ શરૂ કરી હતી, જેના દ્વારા ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીનું સંચાલન થતું હતું.
આ પણ વાંચો: 'રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા....', વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ
એજન્સીઓના આંકડા મુજબ, આ કૌભાંડનું કદ આશરે ₹6,000 કરોડનું છે અને તે ઘણાં રાજ્યોમાં ફેલાયેલું છે. ઉપ્પલના સાથી ચંદ્રાકરની ઓક્ટોબર 2024માં દુબઈમાં ધરપકડ થઈ છે અને તેના પ્રત્યાર્પણની વિનંતી હજી બાકી છે. આ કેસ મૂળરૂપે છત્તીસગઢ પોલીસ દ્વારા તપાસવામાં આવતો હતો, જેમણે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ આરોપી બનાવ્યા હતા, પરંતુ બાદમાં તેની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને સોંપાઈ હતી.


