ટેકઑફ સમયે ઉડી જ ના શક્યું ઈન્ડિગોનું વિમાન, લખનઉ એરપોર્ટ પર મોટી હોનારત ટળી
Indigo Flight Lucknow Airport: ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર આજે 14 સપ્ટેમ્બરે રવિવારે દર્દનાક દુર્ઘટના બનતા ટળી છે. દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ટેકઑફ દરમિયાન જ રનવે પર રોકાઈ ગઈ છે. કેપ્ટને સમય સૂચકતા સાથે વિમાન રોકી 151 પેસેન્જરનો જીવ બચાવ્યો છે. આ વિમાનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ હતા.
મીડિયા સૂત્રો અનુસાર, વિમાન રનવે પરથી ટેકઑફ કરી રહ્યું હતું. તે સમયે સ્પીડમાં દોડવા તો લાગ્યું પણ હવામાં ઉડી શક્યુ નહીં. ફ્લાઈટના કેપ્ટને સમય સૂચકતાથી રનવેના અંતિમ માર્ગ પહેલાં જ વિમાન અટકાવી દીધું. આ ઘટનાથી વિમાનમાં હાજર પેસેન્જર ભયભીત બન્યા હતા. જો કે, તમામ પેસેન્જર સુરક્ષિત રહ્યા હતા. બાદમાં તેમને અન્ય ફ્લાઈટમાં દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
સુરતથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ખામી
સુરતથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં પણ ઉડાન દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેથી ફ્લાઈટનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં 170થી વધુ પેસેન્જર સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઈમરજન્સી લેન્ડિંગ ન હતું. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે સુરક્ષિત ઓપરેશન સુનિશ્ચિત કરતાં આ પગલું લેવામાં આવ્યું હતું. જેથી વિમાનનું અમદાવાદમાં લેન્ડિંગ કરાવ્યું હતું. અધિકારીઓએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે, આ નિર્ણય પેસેન્જરની સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. ઈન્ડિગો એરલાઈન્સે તુરંત બીજા વિમાનની વ્યવસ્થા કરી હતી. તમામ પેસેન્જરને દુબઈ એરપોર્ટ સુધી સુરક્ષિત પહોંચાડ્યા હતા.