બિહાર ચૂંટણી ટાણે લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી, IRCTC કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ
IRCTC Scam: IRCTC કૌભાંડ મામલે લાલુ યાદવ, રાબડી યાદવ અને તેજસ્વી યાદવ સહિત અનેક આરોપીઓ વિરુદ્ધ ચાર્જ નિર્ધારિત કરવા સ્પેશિયલ કોર્ટ 13 ઑક્ટોબરના રોજ નિર્ણય લેશે. કોર્ટે આ મામલે તમામ આરોપીને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. આરોપીઓએ IRCTC (રેલવે મંત્રાલય) સાથે જોડાયેલી હોટલની જાળવણીના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ કર્યું હતું. રાઉઝ એવેન્યુ કોર્ટ આ મામલે 13 ઑક્ટોબરના રોજ તેમના પર કયો ગુનો નોંધવો તેનો નિર્ણય લેશે.
સીબીઆઇએ ચાર્જશીટમાં લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સહિત અનેક નામ આરોપી તરીકે રજૂ કર્યા છે. રેલવેમાં IRCTCની બે હોટલ બીએનઆર હોટલ રાંચી અને પુરીના ટેન્ડરમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે રાઉજ એવન્યુ કોર્ટ આરોપ નિર્ધારિત કરશે. કોર્ટ 13 ઓક્ટોબરના રોજ નિર્ણય લેશે કે, ચાર્જશીટમાં દર્શાવવામાં આવેલા આરોપોમાંથી કયા કયા આરોપ કેસનો આધાર બનશે અને કયા-કયા આરોપ કેસમાંથી દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે લાલુ, રાબડી અને તેજસ્વી યાદવે આ કેસમાં સીબીઆઇ પાસે પર્યાપ્ત પુરાવો ન હોવાની દલીલ કરી હતી.
શું છે મામલો?
લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા, ત્યારે તેમણે IRCTCના બે હોટલની જાળવણીનો કોન્ટ્રાક્ટ એક કંપનીને આપવામાં કથિત કૌભાંડ કર્યું હતું. સીબીઆઇએ આ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર અને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. આ મામલે દલીલ થઈ હતી કે, સીબીઆઇની પાસે આ મામલે કેસ ચલાવવા માટે પર્યાપ્ત પુરાવા નથી. સીબીઆઇના સ્પેશિયલ જજે તપાસ એજન્સી અને આરોપીઓના વકીલોને રોજિંદા સુનાવણીના આધારે દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.