'ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરાયા', સોનમ વાંગચુક પર લદાખના DGPનો ગંભીર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ladakh Violence: લદાખના લેહમાં થયેલી હિંસા બાદ કર્ફ્યુ હજુ પણ અમલમાં છે. જ્યારે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન લદાખના ડીજીપી ડૉ. એસ.ડી. સિંહ જામવાલે જણાવ્યું હતું કે, '24મી સપ્ટેમ્બરના રોજ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. લદાખના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હતી, જેના કારણે વ્યાપક હિંસા, તોડફોડ અને આગચંપી થઈ હતી. ચાર લોકો માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં નાગરિકો, પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો ઘાયલ થયા હતા.
સોનમ વાંગચુક પર DGPના આરોપ
લદાખના ડીજીપી ડૉ. એસ.ડી. સિંહ જામવાલે જણાવ્યું હતું કે, 'જ્યારથી લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે, ત્યારથી છઠ્ઠી અનુસૂચિ અને રાજ્યનો દરજ્જો મેળવવાની રાજકીય માંગ વધી રહી છે. લેહ એપેક્સ બોડી અને કેડીએએ સરકાર સાથે વ્યાપક ચર્ચાઓ કરી છે. આ એક ચાલુ પ્રક્રિયા છે, પરંતુ આ પ્રક્રિયાને વિક્ષેપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. એક કહેવાતા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને અન્ય જૂથો જેમની વિશ્વસનીયતા શંકાસ્પદ છે.'
સોનમ વાંગચુક પર આરોપ લગાવતા ડીજીપી ડૉ. એસ.ડી. સિંહ જામવાલે જણાવ્યું હતું કે, 'ભૂખ હડતાળના નામે શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે અસામાજિક તત્ત્વોને આમંત્રણ આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે કરવામાં આવ્યો હતો. 25મી અને 26મી સપ્ટેમ્બર માટે દિલ્હીમાં પ્રારંભિક વાટાઘાટોનું આયોજન પહેલાથી જ કરવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક રીતે 24મી સપ્ટેમ્બરના રોજ એક મોટું જૂથ એકત્ર થયું હતું, જેમાં નોંધપાત્ર સંખ્યામાં અસામાજિક તત્ત્વો જોડાયા હતા. 5,000-6,000 લોકોના જૂથે કૂચ કરી અને સરકારી ઇમારતો અને પાર્ટી કાર્યાલયોને નુકસાન પહોંચાડ્યું. આ તત્ત્વોએ પથ્થરમારો કર્યો અને સુરક્ષા દળો પર હુમલો કર્યો.'
સરકારે શું કાર્યવાહી કરી?
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ લદાખમાં હિંસા ફાટી નીકળી હતી. ઠેર ઠેર હિંસામાં ચાર લોકોના મોત થયા જ્યારે આશરે 80 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સરકારે આ હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયે SECMOL (સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદાખ)નું FCRA લાયસન્સ રદ ર્ક્યું છે.
નિયમોના ઉલ્લંઘનના આરોપ સાથે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે અગાઉ 20મી ઑગસ્ટે આ NGOને નોટિસ પણ ફટકારી હતી. વાંગચુકે કહ્યું છે, કે 'મને બલિનો બકરો બનાવી સરકાર મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે. બેરોજગારીના કારણે પહેલેથી જ યુવાનોમાં અસંતોષ છે. જો સરકાર મારી ધરપકડ કરવા માંગતી હોય તો હું તેના માટે પણ તૈયાર છું પરંતુ જો મને જેલ થઈ તો સરકાર માટે પડકારો વધશે જ.'








