'કુલદીપ સિંહ સેંગરની અરજી પર 3 મહિનામાં ચુકાદો આપો', દિલ્હી હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kuldeep Sengar Case Supreme Court: ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટડીમાં મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને આ પ્રકરણ સાથે સંકળાયેલી તમામ અપીલો પર ત્વરિત સુનાવણી હાથ ધરવા તાકીદ કરી છે. આ આદેશ ભાજપના પૂર્વ નેતા કુલદીપ સિંહ સેંગરની અરજી પર સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સેંગરને 10 વર્ષની જેલની સજા થયેલી છે અને તેણે પોતાની સજા પર રોક લગાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં માંગ કરી હતી. જોકે, હાઈકોર્ટે તેની માંગ ફગાવી દેતા અંતે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ એન.વી. અંજરિયાની બેન્ચે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, આ કેસની ગંભીરતા જોતા હાઈકોર્ટે તમામ અપીલો પર 'આઉટ ઓફ ટર્ન' એટલે કે અન્ય કેસો કરતા પહેલા પ્રાથમિકતા આપીને સુનાવણી કરવી જોઈએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને આગામી ત્રણ મહિનામાં આ સમગ્ર મામલાનો નિકાલ લાવવા માટે કડક આદેશ આપ્યો છે.
પીડિત પક્ષે રજૂ કરેલી દલીલો
કોર્ટની કાર્યવાહી દરમિયાન પીડિત પક્ષના વકીલે ધ્યાન દોર્યું હતું કે, ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી એક અલગ અપીલ તેમણે પણ દાખલ કરી છે, જેમાં સજાની અવધિ સહિતના મુદ્દા પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જોકે, હાઈકોર્ટના હાલના આદેશમાં આ અપીલનો કોઈ ઉલ્લેખ ન હોવાથી સુપ્રીમ કોર્ટે તેના પર હાલ તુરંત કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. આરોપી સેંગરે જેલમાં વિતાવેલા સમય અને કેસની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આગ્રહ કર્યો છે કે તેઓ વહેલી તકે સુનાવણી પૂર્ણ કરી નિર્ધારિત સમયમાં પોતાનો ફેંસલો સંભળાવે.
આજની સુનાવણીની મોટી વાતો
વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ દવે અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અનુક્રમે કુલદીપ સેંગર અને CBI તરફથી પક્ષ રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને એક સપ્તાહમાં અપીલ પર સુનાવણી શરૂ કરવા અને ત્રણ મહિનામાં તેનો નિકાલ લાવવા આદેશ આપતા જરૂર પડે તો બેન્ચની પુનઃરચના કરવા પણ સૂચન કર્યું છે.
કોર્ટે નોંધ્યું કે સેંગર અગાઉથી જ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હોવાથી તેના ગુનાની ગંભીરતા ઓછી થતી નથી. બીજી તરફ, પીડિતા પક્ષે 'ક્રોસ-અપીલ' દ્વારા સેંગરની સજા વધારીને હત્યાની કલમ હેઠળ કરવાની માંગ કરી છે. ન્યાયની જરૂરિયાત પર ભાર મૂકતા જસ્ટિસ સૂર્યકાંતે વકીલોને મીડિયામાં બિનજરૂરી પ્રચાર અને કોર્ટ બહારના નાટકોથી દૂર રહેવાની કડક ચેતવણી આપી હતી.
શું છે સમગ્ર કેસ, સરળ શબ્દોમાં સમજો
આ કેસની વિગત એવી છે કે, માર્ચ 2020માં પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. આ મામલે માર્ચ 2020માં સેંગરને દોષિત ઠેરવી 10 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી. ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલ 2018ના રોજ સેંગરના ભાઈ અને અન્ય શખસોએ પીડિતાના પિતાને માર માર્યો હતો, જેના કારણે તેમનું કસ્ટડીમાં અવસાન થયું હતું.
આ દરમિયાન ડિસેમ્બર 2025માં દિલ્હી હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં સેંગરની આજીવન કેદની સજા મોકૂફ રાખવાનો(સસ્પેન્ડ કરવાનો) નિર્ણય લીધો હતો. આ નિર્ણયના પગલે ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા અને CBI દ્વારા આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. ત્યાર પછી 29 ડિસેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સજા મોકૂફીના આદેશ પર સ્ટે આપ્યો હતો અને સેંગરે જેલમાં જ રહેવું પડશે તેવો આદેશ કર્યો હતો.








