Get The App

LIVE | ભારતને ફ્યુલ સપ્લાય ચાલુ જ રહેશે, પુતિનની જાહેરાતથી અમેરિકાને ઝટકો

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
LIVE | ભારતને ફ્યુલ સપ્લાય ચાલુ જ રહેશે, પુતિનની જાહેરાતથી અમેરિકાને ઝટકો 1 - image

Putin India Visit :રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ગઇકાલે વડાપ્રધાન મોદીએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું અને પછી બંને નેતાઓ એક જ ગાડીમાં બેસીને વડાપ્રધાનના નિવાસ સ્થાને બેઠક માટે ગયા હતા. આજે બંને નેતાઓ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ. 

Putin Visit India LIVE UPDATES :  

કોઈપણ અવરોધ વિના શરૂ રહેશે ઈંધણની સપ્લાઇઃ પુતિન

સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું, "હું ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, ભારતીય વડાપ્રધાન અને મારા બધા ભારતીય સાથીઓનો રશિયન પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા અને આતિથ્યપૂર્ણ સ્વાગત માટે આભાર માનું છું. ગઈકાલે તેમના નિવાસસ્થાને આયોજિત રાત્રિભોજન માટે હું વડાપ્રધાન મોદીનો પણ આભાર માનું છું. રશિયા ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્રને ઈંધણનો સતત અને અવિરત પુરવઠો પૂરો પાડવાનું ચાલુ રાખવા માટે તૈયાર છે. બંને દેશો ચુકવણી સમાધાનમાં રાષ્ટ્રીય ચલણોના ઉપયોગ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે, જે હવે 96 ટકા વાણિજ્યિક વ્યવહારો માટે જવાબદાર છે.

આ પણ વાંચોઃ ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં

'આતંકવાદ સાથે ખભેથી ખભો મિલાવીને ઊભો'

આતંકવાદ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારત અને રશિયા લાંબા સમયથી આતંકવાદ સામે ખભેથી ખભો મિલાવીને ઊભું છે. ભલે પહલગામ આતંકી હુમલો હોય કે ક્રોકસ સિટી હૉલ પર કરવામાં આવેલો કાયરતાપૂર્વકનો હુમલો... આ તમામ ઘટનાના મૂળ એક જ છે. ભારતનો અતૂટ વિશ્વાસ છે કે, આતંકવાદ માનવતાના મૂલ્યો પર સીધો હુમલો છે અને તેની સાથે વૈશ્વિક એકજૂટતા આપણી સૌથી મોટી તાકત છે. ભારત અને રશિયાનું સંયુક્ત રાષ્ટ્ર, G20, BRICS, SCO અને અન્ય મંચો પર ગાઢ સહયોગ છે. અમે આ તમામ મંચ પર સંવાદ અને સહયોગ આગળ પણ શરૂ રાખીશું.'

રશિયન નાગરિકો માટે 30 દિવસના ફ્રી ઈ-ટુરિસ્ટ વિઝા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને રશિયા યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે એફટીએને જલ્દી અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં કામ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવું આપણી પ્રાથમિકતા છે અને તે માટે 2030 સુધીના આર્થિક સહયોગ કાર્યક્રમ પર સંમતિ બની છે. ભારત રશિયાના નાગરિકો માટે ફ્રી ઈ-ટુરિસ્ટ વિઝા શરૂ કરશે, જેની માન્યતા 30 દિવસની રહેશે. 

ભારત-રશિયાના સંબંધ વિશે વડાપ્રધાન મોદીની ટિપ્પણી

સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "પંદર વર્ષ પહેલાં, 2010માં, આપણી ભાગીદારીને સ્પેશ્યિલ પ્રિવિલેજ્ડ સ્ટ્રૈટેજિક પાર્ટનરશીપનો દરજ્જો આપવામાં આવ્યો.  છેલ્લા અઢી દાયકામાં, પ્રમુખ પુતિને તેમના નેતૃત્વ અને દ્રષ્ટિકોણથી આ સંબંધને સતત આગળ વધાર્યો છે. તેમના નેતૃત્વએ દરેક પરિસ્થિતિમાં આપણા સંબંધોને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે. હું મારા મિત્ર, પ્રમુખ પુતિનનો તેમની મિત્રતા અને ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.


દુનિયામાં ઉતાર-ચઢાવ આવ્યા પણ રશિયા-ભારતની મિત્રતા ધ્રુવ તારાની જેમ ચમકતી રહીઃ PM મોદી

ઊર્જા સુરક્ષા ભારત-રશિયા ભાગીદારીનો એક મજબૂત અને મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ રહ્યો છે. નાગરિક પરમાણુ ઊર્જામાં આપણો દાયકાઓ જૂનો સહયોગ આપણી સહિયારી સ્વચ્છ ઊર્જા પ્રાથમિકતાઓને પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ રહ્યો છે અને આ સહકારને આગળ પણ ચાલુ રાખીશું. મહત્ત્વપૂર્ણ ખનીજોમાં આપણો સહયોગ સમગ્ર વિશ્વમાં સુરક્ષિત અને વૈવિધ્યસભર સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. આ સ્વચ્છ ઊર્જા, હાઇ-ટેક ઉત્પાદન અને ઉભરતા ઉદ્યોગોમાં આપણી ભાગીદારી માટે મજબૂત પાયો પૂરો પાડશે. શિપબિલ્ડિંગમાં આપણો સહયોગ મેક ઇન ઇન્ડિયાને વધુ મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ આપણા સહકારનું બીજું એક ઉત્તમ ઉદાહરણ છે, જે રોજગાર, કૌશલ્ય અને પ્રાદેશિક જોડાણને વેગ આપશે. છેલ્લા આઠ દાયકામાં, વિશ્વએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. માનવતાએ ઘણા પડકારો અને મુશ્કેલ સમયનો સામનો કર્યો છે અને આ બધા દરમિયાન, ભારત-રશિયા મિત્રતા હંમેશા ધ્રુવ તારાની જેમ અડગ અને મજબૂત રહી છે.

વડાપ્રધાન મોદી અને પુતિનની સંયુક્ત પત્રકાર પરિષદ

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ પુતિને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અનેક કરારો પર આદાન-પ્રદાનની જાહેરાત કરી. આ કરાર બંને દેશોના આપસી સહયોગને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભારત અને રશિયા વચ્ચે નીચે મુજબના કરાર કરાયા છે. 

  • કોઑપરેશન અને માઇગ્રેશન એગ્રીમેન્ટ
  • અસ્થાયી શ્રમિક ગતિવિધિ પર કરાર
  • હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન પર કરાર
  • ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ પર કરાર
  • પોલર શિપ્સ અને મેરિટાઇમ કોઑપરેશન પર કરાર
  • ફર્ટિલાઇઝર પર કરાર

ભારત અને રશિયા વચ્ચે મહત્ત્વના કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને દિલ્હીમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં ભારત અને રશિયા વચ્ચે અનેક કરારો વિશે જાહેરાત કરી. ભારત અને રશિયા વચ્ચે બે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા: કોઑપરેશન અને માઇગ્રેશન પર કરાર અને બીજું અસ્થાયી શ્રમિક ગતિવિધિ સાથે જોડાયેલો કરાર. આ બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલાં માનવામાં આવે છે.

'વૈશ્વિક પડકારો જલ્દી પાર કરાશે...': PM મોદી

પુતિન સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દુનિયાએ કોવિડ-19થી લઈને આજ સુધી અનેક સંકટોનો સામનો કર્યો છે અને આશા છે કે, વૈશ્વિક પડકારો જલ્દી પાર કરી લેવાશે. મને વિશ્વાસ છે કે, આજે અમે અનેક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરીશું. ભારત અને રશિયાના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવામાં આવશે અને સાથે મળીને નવી ઊંચાઈ પાર કરવાનો લક્ષ્ય રાખવો જોઈએ. આ પ્રકારની આશાવાદી દ્રષ્ટિકોણ સાથે અમારી આ બેઠક આગળ વધારીશું.'

આ પણ વાંચોઃ કોવિડ પછી વિશ્વએ ઘણાં સંકટ જોયા, આશા છે હવે શાંતિ સ્થપાશે: પુતિન સાથે બેઠકમાં યુક્રેન અંગે PM મોદીનું નિવેદન

PM મોદીએ પુતિનને દીર્ઘદૃષ્ટા નેતા ગણાવ્યા 

પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે 2001માં તમે પદ સંભાળ્યું અને પહેલીવાર ભારત આવ્યા હતા, તે વાતને 25 વર્ષ થઈ ગયા. તે પહેલી ભારત મુલાકાતમાં તમે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો નાંખ્યો હતો. મારા માટે પણ ખુશીની વાત છે કે તમારા અને મારા સંબંધોને પણ 25 વર્ષ થયા. તમે 2001માં જે ભૂમિકા નિભાવી તે એક દીર્ઘદૃષ્ટા નેતાનું ઉત્તમ ઉદાહરણ છે. 

વિશ્વમાં ટૂંક સમયમાં જ શાંતિ સ્થપાશે: પીએમ મોદી

હૈદરાબાદ હાઉસમાં પુતિને યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવા માટે ભારતના પ્રયાસોના વખાણ કર્યા. જે બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, કે ભારત તટસ્થ નથી, ભારત શાંતિના પક્ષમાં છે. યુક્રેન સંકટ પર સતત વાતચીત થઈ રહી છે અને શાંતિ માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. શાંતિના માર્ગથી જ વિશ્વનું કલ્યાણ થશે અને શાંતિના દરેક પ્રયાસમાં ભારત તમારી સાથે છે. આ વિશ્વ ટૂંક સમયમાં જ ચિંતાઓથી મુક્ત થશે અને શાંતિ સ્થપાશે. 

'ભારત તટસ્થ નથી, ભારત શાંતિના પક્ષમાં...': PM મોદી

હૈદરાબાદ હાઉસમાં પુતિન અને વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય વાર્તા શરૂ થઈ ચુકી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને કહ્યું કે, અમને વિશ્વાસ છે કે રશિયા અને યુક્રેન જલ્દી શાંતિના રસ્તે આગળ વધશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે, ભારત તટસ્થ નથી પરંતુ, ભારત મજબૂતી સાથે શાંતિના પક્ષમાં ઊભું છે. 

PM મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ

PM મોદી અને પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ ચુકી છે. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે  ટ્રેડ અને ડિફેન્સ સહિત અનેક મુદ્દે વાટાઘાટો થશે.

હૈદરાબાદ હાઉસ પહોંચ્યા પુતિન, વડાપ્રધાન મોદીએ કર્યું સ્વાગત

પ્રમુખ પુતિન હૈદરાબાદ હાઉસ પહોંચી ચુક્યા છે, જ્યાં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું. અહીં બંને નેતા 23મી ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે જેમાં બંને વચ્ચે ટ્રેડ અને ડિફેન્સ સહિત અનેક મુદ્દે વાટાઘાટો થશે.

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન રાજઘાટ પહોંચી ચુક્યા છે. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. 


રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઑફ ઑનર બાદ રાજઘાટ માટે રવાના થયા પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઑફ ઑનર પ્રાપ્ત કર્યા બાદ રાજઘાટ માટે રવાના થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું અને તેમને વિદાય આપી. પુતિન હવે રાજઘાટ જશે, જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. 

રાષ્ટ્રપતિ મૂર્મુ અને પુતિને બંને દેશોના મહાનુભાવોનો પરિચય કરાવ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં બંને દેશોના મહાનુભાવોનો પરિચય કરાવ્યો.

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી આપવામાં આવી

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આગમન પર, પુતિનને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. હવે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે.


રશિયન પ્રમુખ પુતિન અને પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા 

રશિયન પ્રમુખ પુતિન અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં રાષ્ટ્રપતિ મુર્મૂ તેમનું ઔપચારિક સ્વાગત કરશે. 

પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર અપાશે 

રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ પુતિનના સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનરની તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં એસ.જયશંકર, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના અને સીડીએસ જનરલ અનિલ ચૌહાણ હાજર છે. 

આજે પુતિનના પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ (5 ડિસેમ્બર 2025)

આજે વડા પ્રધાન મોદી સાથેની બેઠકમાં અનેક ક્ષેત્રો પર વાતચીત થવાની અને વેપાર, સંરક્ષણ અને ઊર્જા સંબંધિત ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. 

સવારે 11:00 વાગ્યે : સેરેમોનિયલ વેલકમ (ઔપચારિક સ્વાગત) માં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે.

સવારે 11:30 વાગ્યે: પુષ્પાંજલિ અર્પણ કરવા માટે રાજઘાટની મુલાકાત લેશે.

સવારે 11:50 વાગ્યે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે.

બપોરે 1:50 વાગ્યે : હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જ્યાં મુખ્ય જાહેરાતો થવાની સંભાવના છે.

સાંજે 7:00 વાગ્યે : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે.

રાત્રે 9:00 વાગ્યે : ભારતમાંથી રશિયા માટે પ્રસ્થાન કરશે અને તેમનો પ્રવાસ સમાપ્ત થશે.

પીએમ મોદી સાથે પુતિનની બેઠકનું મહત્વ

નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચેની આ રાજદ્વારી બેઠક ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. વાતચીતમાં મુખ્યત્વે આ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે:

ઊર્જા સહયોગ: ઓઇલ સપ્લાય અને ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં સહયોગના નવા માર્ગો શોધવા પર વાત થશે.

સંરક્ષણ ડીલ્સ: ભારતની મહત્ત્વપૂર્ણ S-400 એર ડિફેન્સ સિસ્ટમ અને Su-57 ફાઇટર જેટ્સની ખરીદી અંગે પણ વાતચીત આગળ વધવાની સંભાવના છે.

વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geopolitical) પરિવર્તનો વચ્ચે પુતિનનો આ પ્રવાસ ભારત-રશિયાના સંબંધોના મહત્વને દર્શાવે છે, જેમાં બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે.