'જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કાયદો બનાવો...', રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર
(PHOTO - IANS) |
Rahul Gandhi on Jammu Kashmir: લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે બિલ લાવવું જોઈએ.
જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ
રાહુલ ગાંધી પત્રમાં લખ્યું છે કે, 'માનનીય વડાપ્રધાન, છેલ્લા પાંચ વર્ષથી જમ્મુ અને કાશ્મીરના લોકો પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાની માંગ કરી રહ્યા છે. આ માંગ માત્ર કાયદેસર જ નથી પરંતુ તેમનો બંધારણીય અને લોકશાહી અધિકાર પણ છે. એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે ભૂતકાળમાં કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હોવાના ઉદાહરણો જોવા મળ્યા છે, પરંતુ સ્વતંત્ર ભારતમાં જમ્મુ અને કાશ્મીરનો મામલો કંઈક અલગ રહ્યો છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ પૂર્ણ રાજ્યને તેના વિભાજન પછી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે.
પત્રમાં વડપ્રધાન મોદીના નિવેદનનો પણ ઉલ્લેખ
પત્રમાં આગળ લખ્યું છે કે, 'તમે પોતે અનેક વખત પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી છે. 19 મે, 2024ના રોજ ભુવનેશ્વરમાં આપેલા તમારા ઇન્ટરવ્યૂમાં, તમે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું એ અમારું વચન છે. અમે તેના પર અડગ છીએ. તેમજ 19 સપ્ટેમ્બર, 2024ના રોજ શ્રીનગરમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, તમે ફરીથી કહ્યું હતું કે અમે સંસદમાં કહ્યું છે કે અમે આ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો ફરી આપીશું. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે પણ કલમ 370 ના મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવી જ ખાતરી આપી હતી, જેમાં કહ્યું હતું કે શક્ય તેટલી વહેલી તકે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે.'
લદ્દાખ અંગે પણ મોટી માંગ
રાહુલ ગાંધીએ લદ્દાખ અંગે વાત કરતા પત્રમાં લખ્યું છે કે, 'અમે સરકારને સંસદના આગામી ચોમાસા સત્રમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે બિલ રજૂ કરવાની અપીલ કરીએ છીએ. આ ઉપરાંત, અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ કે તે બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને સમાવવા માટે પણ બિલ લાવે. લદ્દાખના લોકોની સાંસ્કૃતિક, વિકાસલક્ષી અને રાજકીય આકાંક્ષાઓને પૂર્ણ કરવા તરફ આ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે. આ સાથે તે તેમના અધિકારો, જમીન અને ઓળખનું પણ રક્ષણ કરશે.'