છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે
Sukma Naxalites Surrendered : છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે (2 જૂન) વધુ 16 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર 16 લાખનું ઈનામ હતું. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, આ 16 પૈકી નવ નક્સલી કેરલાપેંદા ગ્રામ પંચાયતના રહેવાસી છે. તેમના આત્મસમર્પણ બાદ આ ગ્રામ પંચાયત નક્સલમુક્ત જાહેર કરવામાં આવી છે.
કેરલાપેંદા ગ્રામ પંચાયત નક્સલમુક્ત જાહેર
રાજ્ય સરકારની નવી યોજના મુજબ નક્સલમુક્ત જાહેર થયેલ કેરલાપેંદા ગ્રામ પંચાયતને વિકાસ પ્રોજેક્ટ માટે એક કરોડ રૂપિયા આપવામાં આવશે. સુકમા જિલ્લાના પોલીસ અધિક્ષક ચવ્હાણે કહ્યું કે, એક મહિલા સહિત 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેઓએ અમાનવીય વિચારધારાથી પ્રેરાઈ તેમજ સ્થાનિક આદિાસીઓ પર નક્સલીઓના અત્યાચારથી પરેશાન થઈને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં ભૂકંપના ત્રણ આંચકા
એક મહિલા તેમજ 18 વર્ષીય નક્સલીનું પણ આત્મસમર્પણ
અધિકારીઓએ કહ્યું કે, નક્સલીઓ રાજ્ય સરકારની ‘નિયદ નેલ્લાર’ યોજના એટલે કે ‘તમારું સારુ ગામ’ યોજનાથી પ્રભાવિત થયા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દૂરના ગામડાંનો વિકાસ કરવાનો છે. અધિકારીએ કહ્યું કે, આત્મસમર્પણ કરનારામાં નક્સલવાદીઓની કેન્દ્રીય ક્ષેત્રીય સમિતિની બીજા નંબરની 36 વર્ષીય સભ્ય રીતા ઉર્ફે ડોડી સુક્કીએ તેમજ નક્સલવાદીઓની પીએલજીએ બટાલિયનની 18 વર્ષિય એક સભ્ય રાહુલ પુનમે પણ આત્મસમર્પણ કર્યું છે. આ બંને પર 8-8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.
આ પણ વાંચો : સિક્કિમમાં ભૂસ્ખલન, અનેક જવાનો દબાયા
ગત વર્ષે 792 નક્સલીએ આત્મસમર્પણ કર્યું હતું
પોલીસે કહ્યું કે, ‘28 વર્ષીય લેખમ લખમા, જેના પર ત્રણ લાખનું ઈનામ, અન્ય ત્રણ નક્સલવાદીઓ, જેમના પર બે-બે લાખનું ઈનામ હતું. તેઓએ પણ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓને 50-50 રૂપિયાની સહાયતા આપવામાં આવી છે, તેમજ સરકારની નીતિ મુજબ તેમનું પુનર્વસન કરવામાં આવશે. ગત વર્ષે બસ્તરમાં 792 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. બસ્તરમાં સુકમા સહિત સાત જિલ્લાઓ સામેલ છે.