VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગંભીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kerala Blast : કેરળમાં ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ત્રિશૂર શહેરનાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાના યુનિટમાં આગ લાગ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગ લાગ્યા બાદ ફટાકડાના પાંચેય યુનિટ બળીને ખાક થઈ ગયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, અનેક કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો છે.
યુનિટમાં 40 કર્મચારીઓ કામ કરતા હતા
રાજ્ય સરકારના અધિકારીએ કહ્યું કે, આયોજકો દ્વારા યુનિટમાં લગભગ 40 કર્મચારીઓ માટે બપોરનું ભોજન લવાયું હતું. અધિકારીએ પણ કહ્યું કે, સાત લોકો ભાગમાં સફળ થયા છે. રિપોર્ટ મુજબ ફટાકડા રાખવામાં આવેલા યુનિટમાં આતશબાજી માટે સેમ્પલ તૈયાર કરવામાં આવતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ દૂર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયા બાદ અંદાજ લગાવાયો છે કે, યુનિટમાં મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી હતી.
મૃત્યુઆંક વધવાની સંભાવના
ઘટનામાં 13 લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં 8ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયા છે. ઘટનાસ્થળે હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં 18ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.
અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો ધડાકાનો અવાજ
વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, અનેક કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો છે. તેના પરથી અંદાજ લગાવાયો છે કે, યુનિટમાં મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી હશે. રાજ્ય સરકારના KILAના કર્મચારીઓએ કહ્યું કે, તેઓને દૂર સુધી વિસ્ફોટ સંભળાયો હતો, તેથી તેમને ભૂકંપ આવ્યો હોવાનું લાગ્યું હતું.
ઉત્સવમાં આતશબાજી માટે ફટાકડા લવાયા હતા
મળતી માહિતી મુજબ ‘ત્રિશૂર પૂરમ’ની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ દુર્ઘટના બની છે. ત્રિશૂર પુરમ કેરળનો સૌથી ભવ્ય અને પ્રસિદ્ધ વાર્ષિક મંદિર ઉત્સવ છે. આ ઉત્સવને ‘પૂરમોંની જનની’ પણ કહેવામાં આવે છે. ત્રિશૂરના વડક્કૂનાથન મંદિરમાં મલયાલમ મહિનામાં (એપ્રિલ-મે)માં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. 18મી સદીથી શરૂ કરાયેલા આ ઉજવણીમાં સજાવાયેલા હાથીઓ, પારંપરિક ચેંડા મેલમ સંગીત, રંગબેરંગી છત્રીઓનું પ્રદર્શન અને શાનદાર આતશબાજી મુખ્ય આકર્ષણ જમાવે છે.
ફટાકડા ભરેલા પાંચ શેડ બળીને ખાખ
રિપોર્ટ મુજબ, ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવમાં આતશબાજી કરવા માટે ફટાકડા લાવવામાં આવ્યા હતા, જેને તિરુવંબડીમાં પાંચ શેડની અંદર રખાયા હતા. ત્યારે મંગળવારે અચાનક આ ફાટકડાઓમાં આગ લાગ્યા બાદ ભાયનક વિસ્ફોટ થયો હતો. જોતજોતામાં ફટાકડા ફૂટવા લાગ્યા હતા. બીજીતરફ આ ઉત્સવ માટે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. મૃત્યુઆંક 13 સુધી પહોંચી ગયો છે, જ્યારે અનેક ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે, જેમાંથી કેટલાક હાલત હજુ પણ ગંભીર છે.
આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
8ની હાલત ગંભીર, 5 શેડમાં ફટાકડા રખાયા હતા
18 ઈજાગ્રસ્તોને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ કરાયા છે, જ્યારે 22 લોકોને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા છે. ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ 18 ઈજાગ્રસ્તોમાંથી 8ની હાલત ગંભીર હોવાની વિગત સામે આવી છે. ત્રિશૂર પૂરમની ઉજવણી માટે લવાયેલા ફટાકડા રાખવા માટે પાંચ શેડ બનાવાયા હતા, જેમાં તમામ પાંચેય શેડમાં આગ લાગી ગઈ છે.








