ઘીના ઠામમાં ઘી: કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે સમાધાન, સિદ્ધારમૈયાએ કહ્યું- 5 વર્ષ સુધી હું જ CM રહીશ
Karnataka CM: કર્ણાટકના રાજકારણમાં આ દિવસોમાં ખૂબ જ હંગામો ચાલી રહ્યો છે. એવી ચર્ચા છે કે હવે રાજ્યની કમાન કોઈ બીજાને સોંપવામાં આવશે. પરંતુ બુધવારે ખુદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ બધી અફવાઓને ફગાવી દીધી અને સ્પષ્ટતા કરી કે, 'હા, 5 વર્ષ સુધી હું જ CM રહીશ. શું આ બાબતે તમને કોઈ શંકા છે?'
સિદ્ધારમૈયાએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે વિપક્ષો દાવો કરી રહ્યા હતા કે કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક મતભેદો છે અને કદાચ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનાવી શકાય છે.
આ અંગે ડીકે શિવકુમારે પણ આપી પ્રતિક્રિયા
આ મામલે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પણ પ્રતિકિયા આપી અને કહ્યું કે, 'મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મારે પાર્ટીના નિર્ણયનો સ્વીકાર કરવો પડશે અને હું મુખ્યમંત્રીની સાથે ઊભો રહીશ. લાખો લોકોએ પાર્ટીને ટેકો આપ્યો છે અને હું પાર્ટીના નિર્ણયોનું પાલન કરીશ.'
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને એમ પણ કહ્યું કે, 'જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હોય છે, ત્યારે નેતૃત્વ પર કોઈ વિવાદ ન હોવો જોઈએ. પાર્ટી શિસ્ત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેં ક્યારેય કોઈને મને મુખ્યમંત્રી બનાવવા માટે કહ્યું નથી.'
કર્ણાટકના બંને ટોચના નેતાઓના નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે પાર્ટીના ધારાસભ્યો ઘણા અઠવાડિયાથી ખુલ્લેઆમ માંગ કરી રહ્યા હતા કે શિવકુમારને તેમના કાર્યકાળની મધ્યમાં મુખ્યમંત્રી બનાવવામાં આવે.
રોટેશનલ મુખ્યમંત્રી ફોર્મ્યુલા શું હતી?
લગભગ 2 વર્ષ પહેલાં, મે 2023માં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, લાંબા સમય સુધી ચર્ચા-વિચારણા કર્યા પછી, પાર્ટી નેતૃત્વ શિવકુમારને મનાવવામાં સફળ રહ્યું અને તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા.
જોકે, તે સમયે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 'રોટેશનલ મુખ્યમંત્રી ફોર્મ્યુલા' હેઠળ બંને નેતાઓ વચ્ચે એક કરાર છે, જે મુજબ શિવકુમાર અઢી વર્ષ પછી મુખ્યમંત્રી બનશે, પરંતુ પાર્ટી દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.