2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત?
Pakistan Karachi Earthquake: પાકિસ્તાનના ટોચના શહેર કરાચીમાં છેલ્લા બે દિવસમાં ભૂકંપના 26 આચંકા અનુભવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો રાત્રે પણ ઘરમાં જતાં ડરી રહ્યા હતાં. જેના પગલે પાકિસ્તાનમાં જુમ્મા(શુક્રવાર)ના રોજ કયામત (આફત) આવવાની અટકળો વહેતી થઈ હતી. કરાચીમાં છેલ્લા કેટલાક સમયથી ગમે ત્યારે ભૂકંપ અને વરસાદ આવી રહ્યો છે.
પાકિસ્તાનના હવામાન વિભાગ પાકિસ્તાન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લા 48 કલાકમાં ભૂકંપના હળવા-હળવા 26 આચંકા અનુભવાયા છે. આ આચંકા હજુ પણ ચાલુ છે. અમુક નિષ્ણાતોએ જણાવ્યું છે કે, ભૂકંપનો આ સિલસિલો જુમા(શુક્રવાર)ના રોજ મોટા આચંકામાં બદલાઈ શકે છે. જેના લીધે કરાચીના લોકો ભયભીત થઈ ગયા છે. કરાચી યુનિવર્સિટીના ભૂગોળ વિભાગના પ્રોફેસર ડૉ. ઈમરાન અહમદ ખાને જણાવ્યું કે, હાલ ઇન્ડિયન, યુરેશિયન અને અરેબિયન પ્લેટ્સ વચ્ચે સંતુલન ખોરવાયું છે. જેથી કરાચીમાં ભૂકંપની ઘટના વધી છે. રવિવાર રાતથી કરાચી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતા ઓછીથી મધ્યમ રહી છે. રિક્ટર સ્કેલ પર 2.1થી 3.6ની તીવ્રતા નોંધાઈ છે.
સૌથી વધુ 3.6ની તીવ્રતાનો ભૂકંપ
કરાચીમાં સૌથી વધુ 3.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રવિવારે રાત્રે શહેરમાં મલીર જેલની એક દિવાલ ધરાશાયી થઈ હતી. જેના લીધે 216 કેદીઓ જેલમાંથી ફરાર થયા હતા. પાકિસ્તાન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટે લોકોને અપીલ કરી છે કે, તે અફવાઓ પર ધ્યાન ન આપે. ભૂકંપના આચંકાઓ ધીમે-ધીમે શાંત થઈ જશે. ભયભીત થવાની જરૂર નથી. ઉલ્લેખીય છે, 48 કલાકમાં ભૂકંપના 26 આચંકાઓના કારણે સોશિયલ મીડિયા પર 'પાકિસ્તાનમાં કયામત આવવાની' અફવાઓએ જોર પકડ્યું છે.
આગામી ત્રણ દિવસ સુધી ભૂકંપના હળવા આચંકા ચાલુ રહેશે
પીએમડીના ડિરેક્ટર જનરલ મહર સાહિબજાદ ખાને જણાવ્યું કે, આગામી બેથી ત્રણ દિવસ સુધી કરાચીમાં ભૂકંપના હળવા આચંકા અનુભવાશે અને ભૂકંપની તીવ્રતા ઘટવાની સાથે સ્થિતિમાં સુધારો થશે. શહેરમાં સતત ભૂકંપના આચંકાના કારણે એક ખાનગી પાકિસ્તાની ભૂવિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, તેણે કરાચીમાં આવેલા ભૂકંપની ભવિષ્યવાણી અગાઉથી જ કરી દીધી હતી કે, શુક્રવારે અને શનિવારની રાત્રે એક મોટો ભૂકંપ આવવાનો છે.
ભૂકંપની આગાહીના કારણે લોકોમાં ભય
અર્થક્વેક એન્ડ રિસર્ચ સેન્ટરના સીઈઓ શાહબાઝ લધારીએ દાવો કર્યો છે કે, તેમની ટીમે કરાચીમાં હાલમાં જ નોંધાયેલા ભૂકંપની અગાઉથી જ આગાહી કરી દીધી હતી. અમે કહ્યું હતું કે, શુક્રવાર અને શનિવારની રાત કરાચીવાસીઓ માટે મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે ભૂકંપનો મોટો ભયાવહ આચંકો આવવાનો છે. સિંધ સરકારે પહેલાંથી જ આગાહીને માન્ય ગણી લોકોને એલર્ટ કરી દેવાના હતાં. કરાચીના કોરંગી અને માલિર વિસ્તારમાં નાની-નાની ફોલ્ટ લાઈન છે. જે ભૂકંપનું કારણ બની છે.
મુખ્યમંત્રીના નિવેદનથી ભયનો માહોલ
સિંધ પ્રાંતના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે જણાવ્યું કે, 'આવા નાના-નાના ભૂકંપના આચંકા મોટા આચંકાથી રક્ષણ આપે છે. જો કે, ઘણી વખત એક શક્તિશાળી ભૂકંપ નોંધાય તે પહેલાં નાના-નાના આચંકાઓ અનુભવાય છે. જેથી સૌએ ઍલર્ટ રહેવું જોઈએ. હું આ મુદ્દે ભૂકંપના નિષ્ણાતો સાથે વાત કરી રહ્યો છું.' મુખ્યમંત્રીના આ નિવેદનથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.