Get The App

ભારત-ચીન વચ્ચે ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, વિદેશ મંત્રાલયની જાહેરાત, જાણો ક્યારથી શરૂ ફ્લાઈટ

Updated: Jan 28th, 2025

GS TEAM

Google News
Google News
ભારત-ચીન વચ્ચે ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, વિદેશ મંત્રાલયની જાહેરાત, જાણો ક્યારથી શરૂ ફ્લાઈટ 1 - image

Kailash Mansarovar Yatra 2025 : વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 26 અને 27 જાન્યુઆરીએ ચીનની બે દિવસની મુલાકાત કર્યા બાદ મોટી ખુશખબરી સામે આવી છે. વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી કહ્યું છે કે, 2025ની ગરમીની સિઝનમાં ફરી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે. આ ઉપરાંત બંને દેશોમાં વહેતી નદીઓનો ડેટા પણ શેર કરવામાં આવશે અને નિષ્ણાતો સાથે મુલાકાત પણ થશે. એવી પણ જાહેર કરાઈ છે કે, બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવા સૈદ્ધાંતિક સંમતિ પર વાતચીત કરવામાં આવશે.

કૈલાશ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે 

ચીનના બીજિંગમાં ભારત અને ચીનના વિદેશ સચિવ, નાયબ વિદેશ મંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ નિર્ણય લેવાયો છે કે, ઉનાળામાં કૈલાશ-માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, આ યાત્રા શરૂ કરવાના નિયમો અંગે ચર્ચા કરવામાં આવશે. 

આ પણ વાંચો : PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત-અમેરિકાના સંબંધો પર થઈ ચર્ચા

મોદી-જિનપિંગની સંમતીને ધ્યાને રાખી નિર્ણય લેવાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઓક્ટોબરમાં કજાનમાં યોજાયેલી બેઠકમાં સંમતીને ધ્યાને રાખીને બંને દેશોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી હતી અને સંબંધોને સ્થિર રાખવા માટે આ નિર્ણય લેવામાં સંમતી વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવી, તે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણય મુજબ તિબેટના કૈલાશ પર્વત અને માનસરોવરની યાત્રા સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં કોરોના વાયરસને ધ્યાને રાખી યાત્રા મોકુફ રાખવામાં આવી હતી. કોરોના બાદ બિજિંગ અને નવી દિલ્હી વચ્ચે સંબંધો વણસવાના કારણે ચીને નવી વ્યવસ્થા શરૂ કરી ન હતી. ત્યારબાદ ગલવાન ખીણમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ પણ થતા સ્થિતિ વધુ વણસી હતી.

આ પણ વાંચો : સનાતન બોર્ડ બનાવો પણ સરકારને દૂર રાખો: ધર્મ સંસદ પર બોલ્યા શંકરાચાર્ય