Get The App

કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભાવના

Updated: May 8th, 2025

GS TEAM

Google News
Google News
કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભાવના 1 - image

Justice Yashwant Verma Cash Case : દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી રોકડ મળવા મામલે નવો વળાંક આવ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની ઈન હાઈસ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો છે અને હવે રિપોર્ટ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીય ખન્નાએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલી દીધો છે. વર્માએ આપેલો જવાબ પણ રાષ્ટ્રપતિ-વડાપ્રધાનને મોકલાયો છે. સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયધીશોએ વર્મા સાથે ચર્ચા કર્યા બાદ આ રિપોર્ટ મોકલ્યો છે.

રાજીનામું નહીં આપે તો મહાભિયોગની કાર્યવાહી થશે

કેશ કાંડની તપાસ પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટની ત્રણ જજની સમિતિએ મુખ્ય ન્યાયાધીશને તપાસનો સંપૂર્ણ રિપોર્ટ મોકલ્યો હતો, જેના આધારે જસ્ટિસ વર્માને રાજીનામું આપવા આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો એમની સામે મહાભિયોગની કાર્યવાહી થશે.

43 દિવસની તપાસ બાદ CJIને મોકલાયો રિપોર્ટ

જસ્ટિસ વર્માએ પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા અને એને તેમના વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું. દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્નાએ 22 માર્ચે ત્રણ જજની સમિતિની રચના કરીને સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા હતા. પંજાબ-હરિયાણા કોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ. સંઘાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ સુશ્રી અનુ શિવરામનની બનેલી સમિતિએ 25 માર્ચે તપાસ શરૂ કરી હતી અને 43 દિવસો પછી 4 માર્ચના રોજ CJI સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી દીધો હતો.  રિપોર્ટમાં જસ્ટિસ વર્માને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને શુક્રવાર, 9 મે સુધીમાં CJI ને જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો હતો. કાયદાકીય નિષ્ણાતોના મતે કેશ કાંડમાં જસ્ટિસ વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ સાબિત થશે તો તેમણે રાજીનામું આપવું પડશે. જો તેઓ રાજીનામું નહીં આપે, તો મહાભિયોગની ભલામણ કરવા માટે રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

આ પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસ : કોંગ્રેસ નેતા સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધની સુનાવણી ટળી, જાણો શું કહ્યું કોર્ટે

શું હતો મામલો ?

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં 14-15 માર્ચની રાતે આગ લાગી હતી. આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા અને તેમની પત્ની મધ્યપ્રદેશમાં હતા, ઘરે તેમના પુત્રી અને વૃદ્ધ માતા હતાં. આગ બુઝાવવા ગયેલા અગ્નિશમન દળના કર્મચારીઓને અન્ય સામાન સાથે સળગી ગયેલી બિનહિસાબી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો, જે જોઈને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આ બનાવને પગલે જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરાઈ હતી, જેનો વકીલોએ ભારે વિરોધ કર્યો હતો. 

આ પણ વાંચો : ભારત-બાંગ્લાદેશ સરહદ સીલ, ઘૂસણખોરીની ઘટના બાદ સુરક્ષા વધારાઈ, હિલ્સ અને કછારમાં બે મહિના સુધી રાત્રી કર્ફ્યૂ