India

વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી જાહેર

By GS TEAM
18 Nov 20252 mins read
TukuTouch Logo
ભારતીયોને રોજગારના ખોટા વચનો આપીને કે પછી અન્ય દેશોમાં આગળની મુસાફરીની ખાતરી આપીને છેતરવાના બનાવો વધતાં, ઈરાને સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકો માટેની વીઝા-મુક્ત યાત્રાની સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. પરિણામે, 22 નવેમ્બરથી ઈરાન જતાં તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વીઝા મેળવવો ફરજિયાત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી જાહેર
(image - envato)

Iran Visa: ભારતીયોને રોજગારના ખોટા વચનો આપીને કે પછી અન્ય દેશોમાં આગળની મુસાફરીની ખાતરી આપીને છેતરવાના બનાવો વધતાં, ઈરાને સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકો માટેની વીઝા-મુક્ત યાત્રાની સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. પરિણામે, 22 નવેમ્બરથી ઈરાન જતાં તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વીઝા મેળવવો ફરજિયાત રહેશે.

વિદેશ મંત્રાલયનું નિવેદન

વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય નાગરિકોને નોકરીના વાયદા કે ત્રીજા દેશની મુસાફરીની ખાતરી આપીને ઈરાન લઈ જવાના અનેક બનાવો સરકારના ધ્યાનમાં આવ્યા છે. ઈરાન પહોંચ્યા બાદ આમાંથી કેટલાક લોકોનું ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. 

આ ગુનાહિત તત્વોને સુવિધાનો દુરુપયોગ કરતા અટકાવવા માટે જ ઈરાન દ્વારા વીઝા-મુક્ત સુવિધા સ્થગિત કરવામાં આવી છે. મંત્રાલયે ઈરાન જવાની ઈચ્છા ધરાવતા તમામ ભારતીય નાગરિકોને સાવધ રહેવા અને ઈરાન થઈને ત્રીજા દેશોમાં વીઝા-મુક્ત યાત્રા કે આગળની મુસાફરીની ઓફર કરતા એજન્ટોથી દૂર રહેવાની સલાહ આપી છે.

વીઝા-મુક્ત યાત્રાનો દુરુપયોગ

તાજેતરમાં, કેટલાક એજન્ટો દ્વારા ભારતીયોને નકલી નોકરીઓ કે અન્ય દેશોમાં મોકલવાના બહાને છેતરીને ઈરાન લઈ જવામાં આવ્યા હતા, કારણ કે તેઓ કહેતા હતા કે ઈરાન જવા માટે વીઝાની જરૂર નથી અને યાત્રા સરળ છે. જોકે, વિદેશ મંત્રાલયની એડવાઇઝરી મુજબ, ઈરાન પહોંચ્યા પછી ઘણા લોકો સાથે ગંભીર છેતરપિંડી થઈ. મંત્રાલયે ખુલાસો કર્યો કે કેટલાક ભારતીયોનું ત્યાં અપહરણ કરવામાં આવ્યું અને પરિવારો પાસેથી ખંડણી માંગવામાં આવી. આવા ગુનાઓ પર અંકુશ લાવવા માટે ઈરાન સરકારે વીઝા-મુક્ત સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: શેખ હસીનાને ફાંસી સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી! આખી રાત સળગતો રહ્યો દેશ, ઠેર ઠેર આગચંપી

વિદેશ મંત્રાલયની સખત ચેતવણી

વિદેશ મંત્રાલયે ભારતીય લોકોને સખત ચેતવણી આપી છે કે કોઈપણ એજન્ટની વાતોમાં ન આવવું, વીઝા-ફ્રી યાત્રા કે ઈરાન થઈને અન્ય દેશમાં મોકલવાના દાવાઓ પર વિશ્વાસ ન કરવો, અને નોકરીની ઓફરની સંપૂર્ણ તપાસ કરવી. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે તમામ ભારતીયોએ સતર્ક રહેવું, કારણ કે ખોટા વચનો આપીને અનેક લોકોને છેતરીને મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા છે. આ રીતે, ઈરાન દ્વારા લેવામાં આવેલું આ પગલું ભારતીય નાગરિકોને છેતરપિંડી અને અપરાધથી બચાવવા માટેનું છે.

હવે શું બદલાયું છે?

ઈરાનના આ નિર્ણય બાદ 22 નવેમ્બરથી ભારતીયોને ઈરાન જવા માટે વીઝા લેવો ફરજિયાત બનશે. તેથી, ઈરાન થઈને કોઈ ત્રીજા દેશમાં જનારા લોકોએ પણ વીઝા લેવો પડશે. વીઝા વિના યાત્રાની સુવિધા હવે બંધ થઈ ગઈ છે.