Get The App

ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન 1 - image
Images Sourse: IANS

Strait Of Hormuz: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાની સંસદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz)ની ખાડી બંધ કરવાનો ઠરાવને મંજૂરી આપી દીધી છે. જો આ ખાડીનો જળમાર્ગ બંધ થવાથી ક્રૂડની ખૂબ જ મોટી તાણ ઊભી થશે. તેના કારણે ક્રૂડના ભાવ વધી જશે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો ભડકો થઈ શકે છે. ત્યારે હોર્મુઝની ખાડી બંધ થવાની અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીની પ્રતિક્રિયા સામે આવી છે.

ક્રૂડની આયાત માટે અન્ય ઘણાં માર્ગો છે: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'અમે છેલ્લા બે અઠવાડિયાથી મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ પર નજર રાખી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ક્રૂડના પુરવઠામાં વિવિધતા લાવ્યા છીએ અને હવે ક્રૂડના પુરવઠાનો મોટો ભાગ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવતો નથી. અમારી ક્રૂડ વિતરણ કંપનીઓ પાસે ઘણાં અઠવાડિયા સુધી ક્રૂડનો પુરવઠો રહે છે. આ ઉપરાંત ક્રૂડની આયાત માટે અન્ય ઘણાં માર્ગો દ્વારા કરવામાં આવે છે. અમે અમારા નાગરિકો માટે ક્રૂડનો પુરવઠો પૂરો પાડવા માટે તમામ જરૂરી પગલાં લઈશું.'


વૈશ્વિક બજારોમાંથી વધુને વધુ ક્રૂડ ભારતમાં આવે છે

ક્રૂડના ભાવને લઈને અગાઉ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી કહ્યું હતું કે, 'ક્રૂડના ભાવની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે. લાંબા સમય સુધી ક્રૂડની કિંમત 65થી 70 ડોલર પ્રતિ બેરલની વચ્ચે હતી અને પછી તે 70થી 75 ડોલર પ્રતિ બેરલની વચ્ચે પહોંચી ગઈ હતી. સોમવારે (23મી જૂન) બજારો ખુલશે ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાના પરિણામોને ધ્યાનમાં લેવામાં આવશે, પરંતુ જેમ હું લાંબા સમયથી કહી રહ્યો છું તેમ, વૈશ્વિક બજારોમાં પૂરતું ક્રૂડ ઉપલબ્ધ છે. વૈશ્વિક બજારોમાંથી વધુને વધુ ક્રૂડ ભારતમાં આવી રહ્યું છે.'

આ પણ વાંચો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો


હોર્મુઝની ખાડીની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એવો સામુદ્રિક માર્ગ છે જેની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે. આ રસ્તો ફારસની ખાડી દ્વારા ઓમાનની ખાડી અને હિંદ મહાસાગરમાં અરબ સાગરને જોડે છે. 33 કિ.મી પહોળા આ જળમાર્ગને ખૂબ જ સંવેદનશિલ માનવામાં આવે છે. હાલમાં તો આ જળમાર્ગ ખુલ્લો છે, પરંતુ જો તેને બંધ કરવામાં આવે તો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોની નિકાસ અટકી જાય તેમ છે. આ જળમાર્ગ બંધ થવાથી વિશ્વને મોટું નુકસાન થવાનું જ છે સાથે સાથે ભારતની હાલત પણ કફોડી થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ભારતની ક્રૂડની આયાતને પણ મોટો ફટકો પડી શકે છે.

ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન 2 - image

Tags :