અજિત પવાર સામે બાથ ભીડવી IPS અંજનાને ભારે પડ્યું, સર્ટિફિકેટ તપાસની માગ કરાઈ
Deputy CM Ajit Pawar Viral Audio: NCP (અજિત પવાર જૂથ) મહારાષ્ટ્ર વિધાન પરિષદના સદસ્ય અમોલ મિટકરીએ IPS અધિકારી અંજના કૃષ્ણાના સર્ટિફિકેટની UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) તપાસની માગ કરી છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે જોડાયેલા વાઈરલ વીડિયો વિવાદ બાદ આ માગ કરવામાં આવી છે. મિટકરીએ 5 સપ્ટેમ્બર 2025ના રોજ UPSC, નવી દિલ્હીના સચિવને આ સંદર્ભમાં એક પત્ર લખ્યો છે.
સર્ટિફિકેટ તપાસની માગ કરાઈ
અમોલ મિટકરીએ પોતાના પત્રમાં IPS અધિકારી અંજના કૃષ્ણા દ્વારા રજૂ કરાયેલા શૈક્ષણિક, જાતિ પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજોની પ્રામાણિકતા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે UPSCને આ દસ્તાવેજોનું વિગતવાર વેરિફિકેશન કરવા વિનંતી કરી છે.
મિટકરીએ કહ્યું કે, વેરિફિકેશન બાદ UPSCએ પોતાના પરિણામો સંબંધિત વિભાગો સાથે શેર કરવા જોઈએ.
અધિકારીના આચરણ પર ઉઠ્યા સવાલ
અમોલ મિટકરીએ પોતાની માગમાં સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, આ તપાસ જરૂરી છે જેથી કોઈપણ પ્રકારની અનિયમિતતા વિશે જાણી શકાય. આ વિવાદ અજિત પવાર સાથે સંબંધિત વાઈરલ વીડિયો પછી સામે આવ્યો છે, જેના પછી અધિકારીના આચરણ પર સવાલ ઉઠ્યા હતા.
શું છે વિવાદ?
IPS અંજના કૃષ્ણા રસ્તાના બાંધકામ માટે મુરુમ (કાંકરી-કાંકરા)ના ગેરકાયદે ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે સોલાપુરના કુર્દુ ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે બાચાલાચી થઈ હતી. ત્યારબાદ એનસીપીના એક કાર્યકર બાબા જગતાપે સીધો ડેપ્યુટી સીએમ અજિત પવારને ફોન કર્યો અને ફોન અંજના કૃષ્ણાને આપ્યો.
આ દરમિયાન અંજના કૃષ્ણા ડેપ્યુટી સીએમ અજિત પવારનો અવાજ ઓળખી શકી નહીં. અજિત પવારે પોતાની ઓળખ જાહેર કરી અને કાર્યવાહી રોકવા કહ્યું. તેમણે કહ્યું કે, 'મુંબઈમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું છે, વાતાવરણ તંગ છે, હવે આ કાર્યવાહી કરવાની કોઈ જરૂર નથી.'
આ પણ વાંચો: 'તું મને નથી ઓળખતી? એક્શન લઇશ', અજિત પવાર અને મહિલા IPSની કથિત ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ
અજિત પવારની વાત ન સાંભળીને IPS અધિકારીએ કહ્યું કે, 'તમારે મારા નંબર પર ફોન કરવો જોઈએ!' જેના પર અજિત પવાર ગુસ્સે થયા અને ગુસ્સામાં કહ્યું, "કામ બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું, તમારી પાસે આટલી હિંમત છે! મને તમારો નંબર આપો, હું વીડિયો કોલ કરી રહ્યો છું, તમે મને વીડિયો કોલ પર ઓળખી શકશો ને?' ત્યારબાદ અજિત પવારે અધિકારીનો નંબર લીધો હતો અને તેમની સાથે વીડિયો કોલ દ્વારા સીધી તેમના ફોન પર વાત કરી હતી. વીડિયો કોલ દરમિયાન અજિત પવારે અધિકારીને કાર્યવાહી બંધ કરવા અને તહસીલદાર સાથે વાત કરવા સૂચના આપી.