રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ

ત્રણેયના એમએલએ-એલએડી ખાતા ફ્રીઝ
ભાજપ અને કોંગ્રેસે પોતાના ધારાસભ્ય પાસેથી જવાબ માંગવા માટે નોટિસ જારી કરી
આ કાર્યવાહી હેઠળ તપાસનું પરિણામ આવવા સુધી આરોપી નેતાઓના એમએલએ-લોકલ એરિયા ડેવલોપમેન્ટ (એમએલએ-એલએડી) એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
આ કાર્યવાહી એક અખબારના સ્ટિંગ ઓપરેશન પછી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં ખિંવસારના ભાજપ એમએલએ રેવંતરામ ડાંગા, હિંડૌનના કોંગ્રેસ એમએલએ અનિતા જાટવ તથા બયાનાથી અપક્ષ એમએલએ રિતુ બનાવત પર એમએલએ-એલએડી ફંડથી રકમ મંજૂર કરવાનાં બદલામાં કમિશન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમારી સરકાર કોઇ પણ સરકારી સેવકના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલેરન્સ નીતિ અપનાવે છે. કોઇ પણ વ્યકિત ગમે તેટલો વગદાર કેમ ન હોય જો તે ભ્રષ્ટાચારનાં દોષિત ઠેરવવવામાં આવે છે તો તેને છોડવામાં આવશે નહીં.
શર્માએ જણાવ્યું હતું કે મુખ્ય સચિવ અને પોલીસ ડાયરેક્ટર જનરલ તથા ચીફ વિજિલન્સ કમિશનરનાં નેતૃત્ત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તપાસ કરાવવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ નિર્દેશ અનુસાર એસીએસ ભાસ્કર એ સાવંતનાં નેતૃત્ત્વમાં ચાર સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જે ૧૫ દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

