'તું શું પ્લેન ચલાવીશ, જા જૂતાં-ચંપલ સાફ કર', ઈન્ડિગોના ત્રણ અધિકારીઓ પર જ્ઞાતિવાદના આરોપ બાદ FIR
Images Sourse: IANS |
Indigo Pilot Racism: ઈન્ડિગો એરલાઈન્સના ત્રણ અધિકારીઓ પર જ્ઞાતિવાદ કરવાના આરોપ લાગ્યા છે. આ આરોપો કંપનીના જ એક ટ્રેઈની પાયલટે લગાવ્યા છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ઈન્ડિગોના ત્રણ અધિકારીઓ ટ્રેઈની પાયલટને તેની જ્ઞાતિને લઈને અપશબ્દોનો ઉપયોગ કરતા હતા. તે કહેતા કે, 'તું શું વિમાન ઉડાવીશ. પાછો જા અને જૂતાં-ચંપલ સાફ કરવાનું શરૂ કરી દે.' હાલ આ મામલે હરિયાણાના ગુરુગ્રામ DLF ફેઝ-1 પોલીસ તપાસ કરી છે.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, પીડિત ટ્રેઈની પાયલટનું નામ શરણ કુમાર છે. આરોપી અધિકારીઓના નામ તાપસ ડે, મનીષ સાહની અને કેપ્ટન રાહુલ પાટીલ છે. આ ઘટના ઈન્ડિગોની ગુરુગ્રામ ઓફિસમાં 28મી એપ્રિલના રોજ બની હતી. ઈન્ડિગોના અધિકારીઓએ ટ્રેઈની પાયલને મીટિંગ માટે બોલાવ્યા. આ મીટિંગ દરમિયાન ટ્રેઈની પાયલટ શરણ કુમારને અધિકારીઓએ કહ્યું હતું કે, 'તું શું વિમાન ઉડાવીશ. પાછો જા અને જૂતાં-ચંપલ સાફ કરવાનું શરૂ કરી દે. તમે મારા જૂતા ચાટવા માટે પણ યોગ્ય નથી. તમારી પાસે આ બિલ્ડિંગમાં ચોકીદાર બનવાની હેસિયત નથી અને તું મને ખુલાસો પૂછી રહ્યા છો?'
આ પણ વાંચો: ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન
આ મામલે SC/ST એક્ટ અને BNSની અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ, આ ફરિયાદ બેંગલુરુમાં શૂન્ય FIR તરીકે નોંધવામાં આવી હતી. પરંતુ તેને ગુરુગ્રામના DLF-1 પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ મામલે આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર દલવિંદર સિંહે જણાવ્યું હતું કે, 'પોલીસે પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં તમામ પક્ષોના નિવેદનો નોંધવામાં આવશે.'
ઈન્ડિગોએ આરોપોને નકારી કાઢ્યા
ઇન્ડિગોએ આરોપોને નકારી કાઢ્યા છે, એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'ઇન્ડિગો કોઈપણ પ્રકારના ભેદભાવ, ઉત્પીડન અથવા પૂર્વગ્રહ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ જાળવી રાખે છે અને સમાવિષ્ટ અને આદરણીય કાર્યસ્થળ બનવા માટે પ્રતિબદ્ધ છે. ઈન્ડિગો આ પાયાવિહોણા દાવાઓને સખત રીતે નકારે છે અને ન્યાયીપણા, પ્રામાણિકતા અને જવાબદારીના તેના મૂલ્યો સાથે રહે છે અને જરૂર પડ્યે કાયદા અમલીકરણ એજન્સીઓને તેનો સમર્થન આપશે.'