Indigo Flight Fuel Leak news : ઇન્ડિગોની કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ફ્લાઈટ '6E-6961'ને બુધવારે સાંજે ફ્યુઅલ ટેન્કમાં લીકેજને કારણે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં સવાર તમામ 166 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. આ ઘટનાને કારણે એરપોર્ટ પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
ફ્યુઅલ લીકેજની ફરિયાદ મળતા ઈમરજન્સી લેન્ડિંગ
વારાણસી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, "આજે, 22 ઓક્ટોબરે, ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં ફ્યુઅલ લીકેજની ફરિયાદ મળી હતી. જે બાદ, વિમાનને સાંજે 4:10 વાગ્યે વારાણસી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું." માહિતી મુજબ, વિમાન હવામાં હતું ત્યારે જ પાઇલટને ટેકનિકલ ખામીની જાણ થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, પાઇલટે તરત જ વારાણસી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી.
આ પણ વાંચો : RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ
વિમાનને રનવે પર સુરક્ષિત ઉતારાયું
પરવાનગી મળતા જ, વિમાનને સુરક્ષિત રીતે રનવે પર ઉતારવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારીને એરાઇવલ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા. એરલાઈન દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં, ટેકનિકલ ટીમ વિમાનની તપાસ અને સમારકામમાં લાગી ગઈ છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટ પર હવે કામગીરી સામાન્ય થઈ ગઈ છે.
ફ્લાઈટમાં ટેકનિકલ ખામીની બીજી ઘટના
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઇન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામીની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા 10 ઓક્ટોબરે, મદુરાઈથી ચેન્નઈ જતી ઇન્ડિગોની ફ્લાઈટના આગળના કાચમાં હવામાં જ તિરાડ પડી ગઈ હતી, જે બાદ તેની પણ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, કાર બગડી તો હાઈવે પર ઉતરતાં જ અજાણ્યા વાહને 3ને કચડ્યાં


