રાયપુર એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો ગેટ ન ખુલ્યો, 30 મિનિટ પૂર્વ CM ભૂપેશ બધેલ સહિતના મુસાફરો ફસાયા
IndiGo Flight Gate Did Not Open At Raipur Airport : છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર મંગળવારે બપોરના સમયે દિલ્હીથી આવેલી આઈ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6312નો મુખ્ય દરવાજો ટેક્નિકલ ખામીના કારણે ન ખુલતા મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા. આ ફ્લાઈટ બપોરે 2:25 વાગ્યે વીર નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, ધારાસભ્ય ચતુરી નંદ અને રાયપુરના મેયર મીનલ ચૌબે સહિત અનેક મુસાફરો સવાર હતા.
30 મિનિટ સુધી ફ્લાઇટનો દરવાજો ન ખુલ્યો
જ્યારે લેન્ડિંગ પછી મુસાફરોને લગભગ 30 મિનિટ સુધી ફ્લાઇટની અંદર જ રાહ જોવી પડી હતી, કારણ કે વિમાનનો મુખ્ય દરવાજો ખુલ્યો ન હતો. દરવાજો ખોલવાનો પ્રયાસ કરતી વખતે, કેબિન સ્ક્રીન પર ગેટ સંબંધિત કોઈ સિગ્નલ મળ્યો નહીં. આનાથી પરિસ્થિતિ થોડી ચિંતાજનક બની અને મુસાફરોમાં ખળભળાટ મચી ગયો.
પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલે જણાવ્યું હતું કે, દરવાજામાં ટેક્નિકલ ખરાબી હતી. લગભગ અડધા કલાકની કોશિશ પછી દરવાજો ખુલ્યો હતો અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: એર ઈન્ડિયાની વધુ ત્રણ ઉડાનો રદ, ટેક્નિકલ ખામી અને મેન્ટેનન્સના કારણે થઈ કેન્સલ
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે એક ટેકનિકલ સમસ્યા હતી જેને સમયસર ઠીક કરી લેવામાં આવી હતી. ઘટના પછી ફ્લાઇટની ટેક્નિકલી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ એરપોર્ટની તૈયારી અને એરલાઇન કંપનીના ટેક્નિકલ દેખરેખ પર પણ સવાલો ઉભા કર્યા છે. જોકે, સમગ્ર મામલે કોઈ ઈજા કે નુકસાનની જાણ કરવામાં આવી નથી.