સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઇકોર્ટની ફિટકાર બાદ નિર્ણય

Indigo Crisis : છેલ્લા કેટલાક દિવસોથી પોતાની સેવાઓમાં વિક્ષેપ બદલ ઇન્ડિગોએ મુસાફરોની માફી માંગી છે અને વળતરના પગલાંની જાહેરાત કરી છે. એરલાઇને જણાવ્યું કે, રદ થયેલી તમામ ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે, જે ટૂંક સમયમાં મુસાફરોના ખાતામાં જમા થઈ જશે. જે મુસાફરોએ ટ્રાવેલ પાર્ટનર દ્વારા બુકિંગ કરાવ્યું હોય, તેમને customer.experience@goindigo.in પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
કોને અને કેવી રીતે મળશે વળતર?
આ ઉપરાંત, એરલાઇને જણાવ્યું છે કે 3, 4 અને 5 ડિસેમ્બરે મુસાફરી કરનારા કેટલાક મુસાફરોને ભારે ભીડને કારણે ઍરપોર્ટ પર કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું હતું. આવા "ગંભીર રીતે પ્રભાવિત" થયેલા મુસાફરોને, એરલાઇન આગામી 12 મહિનામાં ભવિષ્યની મુસાફરી માટે વાપરી શકાય તેવા ₹10,000ના ટ્રાવેલ વાઉચર ઓફર કરશે. ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું કે આ વળતર, સરકારના નિયમો મુજબ ડિપાર્ચર ટાઇમથી છેલ્લા 24 કલાકમાં ફ્લાઇટ રદ થવા પર મળતાં ₹5,000થી ₹10,000ના વળતર ઉપરાંતનું છે.
કેન્દ્ર સરકારે ભાડાની મર્યાદા નક્કી કરી હતી
ઇન્ડિગો એરલાઇનમાં ચાલી રહેલા 'ઓપરેશનલ સંકટ'ને કારણે મુસાફરોને પડી રહેલી હાલાકી અને અન્ય એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવી રહેલા મનફાવે તેવા ઊંચા ભાડાને પગલે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (ફેર કેપ) નક્કી કરી દીધી હતી.

