હવે ભુતાન જવું સરળ, IRCTC શરૂ કરી રહ્યું છે ‘મિસ્ટિક માઉન્ટેન ટુર’, જાણો ટિકિટના દર અને તારીખો
IRCTC Tour Packages : પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ભારત ગૌરવ ટ્રેનો દ્વારા પ્રવાસીઓને ભારતના વિવિધ સ્થળો તેમજ પાડોશી દેશોની મુલાકાત લેવાની તક પૂરી પાડવા માટે ‘ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન’ (IRCTC) 14 દિવસની રોમાંચક ‘ભારત-ભુતાન મિસ્ટિક માઉન્ટેન ટુર’ શરૂ કરી રહ્યું છે, જે પ્રવાસીઓને ઉત્તરપૂર્વ ભારત અને પાડોશી દેશ ભુતાનના અફાટ કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સંસ્કૃતિક વારસાનો પરિચય કરાવશે. આ ટુર 28 જૂને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે.
ભુતાન જતાં પહેલાં પ્રવાસીઓને ઉત્તર-પૂર્વના જોવાલાયક સ્થળોએ લઈ જવાશે
- દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થનારી રેલયાત્રા સૌથી પહેલાં ઉત્તરપૂર્વ ભારતના પ્રવેશદ્વાર ગણાતા ગુવાહાટી સુધી લઈ જશે. ત્યાં પહોંચ્યા પછી પ્રવાસીઓને નીલાચલ હિલ્સની ટોચ પર આવેલા ‘કામાખ્યા મંદિર’ની મુલાકાતે લઈ જવાશે. બ્રહ્મપુત્ર નદીમાં ક્રુઝનો આનંદ પણ માણી શકાશે.
- ગુવાહાટીથી રોડ ટ્રિપ શરૂ થશે, જે પ્રવાસીઓને મેઘાલયની રાજધાની શિલોંગ લઈ જશે. ‘પૂર્વના સ્કોટલેન્ડ’ તરીકે પ્રખ્યાત શિલોંગમાં ‘ઉમિયમ સરોવર’, ‘કેથેડ્રલ ઓફ મેરી હેલ્પ’, ‘વોર્ડ્સ લેક’ અને ‘ડોન બોસ્કો મ્યુઝિયમ’ની મુલાકાત કરાવાશે.
- એ પછી જ્યાં ભારતમાં સૌથી વધુ વરસાદ પડે છે એ પૈકીના એક સ્થળ ‘ચેરાપુંજી’ની મુલાકાત યોજાશે. એ વિસ્તારમાં પ્રવાસીઓ ‘સેવન સિસ્ટર્સ ફોલ્સ’, ‘નોહકાલીકાઈ ફોલ્સ’ અને ચૂના પથ્થરોની અનોખી ભાત ધરાવતી ‘મૌસમાઈ ગુફાઓ’ નિહાળશે. શિલોંગ પરત ફરતી વેળા ‘એલિફન્ટ ફોલ્સ’ની મુલાકાતે લઈ જવાશે.
- મેઘાલયનો પ્રવાસ પૂરો થયા પછી પ્રવાસીઓને પશ્ચિમ બંગાળના ‘હાસીમારા રેલવે સ્ટેશન’ લઈ જવાશે, જે ભુતાનનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અહીં ઈમિગ્રેશનની ઔપચારિકતાઓ પૂરી કરાયા બાદ પ્રવાસીઓ ‘ફુએન્ટશોલિંગ’ થઈને ભુતાનમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચો : બાળકને મોબાઈલની લત છોડવવા માટે આ પાંચ રીત અપનાવો, દરેક માતા-પિતાને ઉપયોગી થશે ટિપ્સ
ભુતાનમાં કયા-કયા સ્થળોએ લઈ જવાશે?
- ભુતાનમાં સૌપ્રથમ પડાવ હશે રાજધાની ‘થિમ્ફુ’, જ્યાં પ્રવાસીઓ ‘બુદ્ધ પોઈન્ટ’, ‘મોતીથાંગ તકિન પ્રિઝર્વ’ અભ્યારણ્ય, ‘રાષ્ટ્રીય પુસ્તકાલય’, ‘થિમ્ફુ હસ્તકલા બજાર’ અને બૌદ્ધ મઠ ‘તાશી છો ઝોંગ’ની મુલાકાત લેશે.
- ત્યારબાદ પ્રવાસીઓને ભુતાનની જૂની રાજધાની ‘પુનાખા’ લઈ જવાશે. ત્યાં જતાં રસ્તામાં દોચુલા પાસ પર રોકાઈને પુનાખા ડઝોંગની મુલાકાત લેવાશે.
- ભુતાનનું અંતિમ સ્થળ હશે ‘પારો’ નગર, જ્યાં ‘લેમ્પેરી રોયલ બોટનિકલ પાર્ક’, ‘તામચોગ લાખાંગ આયર્ન બ્રિજ’, ‘ટાઈગર્સ નેસ્ટ’ મઠ, ‘પારો ઝોંગ’ અને ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’ની મુલાકાતો લેવાશે.
- પાડોશી દેશના પ્રવાસ દરમિયાન પરંપરાગત ગરમ પથ્થર સ્નાન અને સાંસ્કૃતિક પ્રદર્શનોનો પણ સમાવેશ થાય છે.
પ્રવાસનો સમયગાળો શું હશે?
- સમયગાળો: 13 રાત અને 14 દિવસ.
- પ્રવાસીઓની સંખ્યા: 150
આ પણ વાંચો : હૃદયમાં દુઃખાવા જેવી સમસ્યા થતી હોય તો આ બે વસ્તુ ખાવાનું તાત્કાલિક બંધ કરો
ટિકિટના દર શું હશે?
ટિકિટના દર નીચે મુજબ રહેશે. દર્શાવેલ કિંમતો પ્રતિ વ્યક્તિ અને ડબલ ઓક્યુપન્સીના ધોરણે લાગુ પડશે.
- સુપિરિયર એસી I (કૂપ): રૂ. 1,58,850
- સુપિરિયર એસી I (કેબિન): રૂ. 1,44,892
- ડીલક્સ એસી II ટિયર: રૂ. 1,29,495
- કમ્ફર્ટ એસી III ટિયર: રૂ. 1,18,965
આ કિંમતોમાં ટ્રેન મુસાફરી, 3 - સ્ટાર હોટેલ રહેવાની વ્યવસ્થા, શાકાહારી ભોજન, ટ્રાન્સફર, જોવાલાયક સ્થળોનો પ્રવાસ, મુસાફરી વીમો અને ટુર ગાઈડ/એસ્કોર્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : 6 સુપરફૂડ જે મહિલાઓને લાંબા સમય સુધી રાખશે ફિટ અને જવાન, જાણો કયા કયા
ટિકિટ બુકિંગ કરતી વખતે શું ધ્યાન રાખશો?
‘ભારત-ભુતાન મિસ્ટિક માઉન્ટેન ટુર’ની ટિકિટોનું બુકિંગ IRCTC ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ‘વહેલા તે પહેલાના ધોરણે’ કરી શકાશે. ભારતીય રેલવે આ પ્રવાસ માટે આશરે 33 ટકા છૂટ આપી રહી છે, જે પહેલાથી જ ઉપર નોંધેલા ભાડામાં શામેલ કરાઈ દેવાયું છે.
- મુસાફરોએ બુકિંગ પછી PAN કાર્ડની વિગતો આપવી ફરજિયાત રહેશે.
- ભુતાન ઈમિગ્રેશન માટે ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ અથવા હોલોગ્રામ સાથેનું મૂળ મતદાર ID કાર્ડ અને તાજેતરના બે પાસપોર્ટ-કદના ફોટા જરૂરી છે.
- પ્રસ્થાનના ત્રણ દિવસ પહેલા બેઠક વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.