India

ભારત-યુકે વચ્ચે 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ'ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી, જાણો કયા કયા ઉત્પાદનો પર ટેક્સમાં મળશે રાહત

By GS TEAM
22 Jul 20252 mins read
TukuTouch Logo
ભારત અને યુનાઇટેડ કિંગડમ (બ્રિટન-UK) વચ્ચેના બહુપ્રતિક્ષિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને મંગળવારે ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. આ કરાર પર 24 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લંડન મુલાકાત દરમિયાન સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-યુકે વચ્ચે 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ'ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી, જાણો કયા કયા ઉત્પાદનો પર ટેક્સમાં મળશે રાહત
Photo Source: IANS

India-UK Free Trade Deal gets Cabinet nod: ભારત અને યુનાઇટેડ કિંગડમ (બ્રિટન-UK) વચ્ચેના બહુપ્રતિક્ષિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને મંગળવારે ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. આ કરાર પર 24 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લંડન મુલાકાત દરમિયાન સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરારને વ્યાપક આર્થિક અને વેપાર કરાર કહેવામાં આવી રહ્યો છે, જે બંને દેશો વચ્ચેના વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

વડાપ્રધાન મોદીનો ચાર દિવસનો વિદેશ પ્રવાસ બુધવારથી શરૂ થઈ રહ્યો છે, જેમાં તેઓ બ્રિટન અને માલદીવ્સની મુલાકાત લેશે. તેમની સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ હશે, જે ભારત તરફથી આ કરાર પર હસ્તાક્ષર કરશે. 6 મેના રોજ બંને દેશો વચ્ચેની વાતચીત પૂર્ણ થયા બાદ આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હવે BCCIએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે ! વિધેયક તૈયાર, આવતીકાલે સંસદમાં રજૂ કરાશે

કઈ વસ્તુઓ પર ટેક્સમાં મળશે રાહત?

આ કરાર હેઠળ બંને દેશો કસ્ટમ ડ્યુટી અથવા આયાત ડ્યુટી ઘટાડશે અથવા નાબૂદ કરશે. ભારતમાંથી બ્રિટનમાં નિકાસ થતા ચામડા, કાપડ અને જૂતા જેવા શ્રમ-સઘન ઉત્પાદનો પર કર મુક્તિ આપવામાં આવશે. જ્યારે બ્રિટનથી ભારતમાં આવતી વ્હિસ્કી અને કારની આયાત પરની ડ્યુટી પણ ઘટાડવામાં આવશે. આ કરારનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં બંને દેશોના વેપારને 120 અબજ યુએસ ડોલર સુધી લઈ જવાનો છે.

સેવાઓ અને રોકાણને પણ મળશે સુવિધા

આ કરાર ફક્ત માલ પૂરતો મર્યાદિત નથી. તેમાં સેવાઓ, સરકારી ખરીદી, બૌદ્ધિક સંપદા અધિકારો (IPR), નવીનતા અને રોકાણ જેવા વિષયો પણ સામેલ છે. આ કરાર બંને દેશોના વ્યાવસાયિકો અને કંપનીઓના કાર્યને પણ સરળ બનાવશે.

સામાજિક સુરક્ષા કરારને પણ મળી મંજૂરી

આ સિવાય ભારત અને બ્રિટન વચ્ચે ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન એગ્રીમેન્ટ (સામાજિક સુરક્ષા કરાર) ને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આનાથી ભારતના તે વ્યાવસાયિકોને ફાયદો થશે જેઓ બ્રિટનમાં કામચલાઉ ધોરણે કામ કરી રહ્યા છે. હવે તેમને ભારત અને બ્રિટન બંનેમાં સામાજિક સુરક્ષામાં અલગથી યોગદાન આપવું પડશે નહીં.

આ પણ વાંચો: વાહનચાલકો સાવધાન... આવી ભૂલ કરશો તો ‘ફાસ્ટેગ’ બ્લેકલિસ્ટ કરાશે, NHAIનો કડક નિયમ લાગુ

વધી રહ્યો છે દ્વિપક્ષીય વેપાર

સરકારી માહિતી અનુસાર, 2024-25માં ભારતથી બ્રિટનમાં નિકાસ 12.6% વધીને 14.5 અબજ ડોલર થઈ છે, જ્યારે આયાત 2.3% વધીને 8.6 અબજ ડોલર થઈ છે. 2023-24માં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર 21.34 બિલિયન સુધી પહોંચશે, જે 2022-23માં 20.36 બિલિયન હતો. એ સ્પષ્ટ છે કે FTAથી વેપારને વધુ વેગ મળશે. જોકે, કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ બ્રિટિશ સંસદમાં પસાર થયા બાદ જ તેનો સંપૂર્ણ અમલ થશે. હાલ તો ભારતમાં તેને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. અગાઉ, રોકાણ સંધિ (BIT) પર પણ વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ તેના પર અંતિમ સર્વસંમતિ બની નથી.